Posted by : Harsh Meswania Sunday, 13 July 2014


વર્ષે દહાડે હવાઈ મુસાફરી કરતા અસંખ્ય મુસાફરોનો કેટલો બધો બેશકીમતી સામાન આસમાનથી જમીન સુધી પહોંચતા પહોંચતા ગુમ થઈ જાય છે! આટલી વ્યવસ્થા છતાં શું કામ સામાન ગુમ થાય છે? ઉસ્તાદ અમઝદ અલી ખાન અને મીરા નાયરની જેમ ક્યાં સેલિબ્રિટીનો સામાન અધ્ધરતાલ રહી ગયો હતો? સામાન ખોવાઈ જાય પછી પાછો મુસાફરોને મળે છે કે કેમ?

'ઈજાઝત'  ફિલ્મ માટે ગુલ્ઝાર સાહેબની કલમમાંથી શબ્દો નીકળ્યા હતાઃ 'મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ' આ શબ્દો કદાચ હમણાં ગુલ્ઝાર સાહેબે જેના પર ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી હતી એ સરોદ વાદક ઉસ્તાદ અમઝદ અલી ખાને ગણગણ્યાં હશે. એના ગણતરીના દિવસોમાં જ એ શબ્દો ફિલ્મ મેકર મીરા નાયરને પણ યાદ આવ્યાં હશે. આ બંને મહાનુભાવોને એ શબ્દો એરલાઇન્સના સંદર્ભમાં યાદ આવ્યા હોવા જોઈએ. કેમ કે, ૪૫ વર્ષથી જે સરોદ ઉસ્તાદ અમઝદ અલી ખાન ખૂબ કાળજીપૂર્વક સંભાળીને રાખતા હતા એ સરોદ બ્રિટિશ એરવેઝે કલાકોમાં ગુમ કરી દીધી! જોકે, શોધખોળને અંતે સરોદ તો મળી ગઈ, પણ આ ઘટના હજુ તો માંડ વિસરાઈ જ હતી કે ફિલ્મ મેકર મીરા નાયરનું બેગ એ જ એરલાઇન્સે ખોઈ નાખ્યું. જે પંદરેક દિવસ થવા છતાં હજુ સુધી મળ્યું નથી.
હવાઈ મુસાફરી દરમિયાન ખોવાયેલા લગેજની આ ઘટનાઓએ સમાચારોમાં સ્થાન એટલા માટે મેળવ્યું, કારણ કે સામાન જાણીતી વ્યક્તિઓનો ગુમ થયો હતો. પરંતુ આવો સામાન તો દિવસમાં કંઈ કેટલોય ગુમ થઈ જાય છે. માની ન શકાય એટલા જથ્થામાં અને માની ન શકાય એવી વસ્તુઓ ક્યારેક માનવ સહજ ક્ષતિના લીધે તો ક્યારેક કર્મચારીઓની બેદરકારીને કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ અથવા તો એક વ્યક્તિને બદલે બીજી વ્યક્તિ સુધી પહોંચી જતો હોય છે.
વળી, અમઝદ અલી ખાન અને મીરા નાયર પહેલા પણ વિશ્વભરની જાણીતી વ્યક્તિઓએ પોતાનો સામાન ગુમાવ્યો છે. મહારાણીથી લઈને મોડેલ સુધી ઘણા કિસ્સાઓ એવા નોંધાયા છે જેનો સામાન એરલાઇન્સ દ્વારા ખોવાઈ ગયો હોય.
વર્ષે કેટલો સામાન હવાઈ મુસાફરી દરમિયાન ગુમ થઈ જાય છે?
વર્ષે ખરેખર કેટલા મુસાફરો પોતાનો સામાન ગુમાવી દે છે એનો ચોક્કસ આંકડો મેળવવો શક્ય નથી. અલગ અલગ સંસ્થાઓ દ્વારા તૈયાર થતાં રિપોર્ટમાં જુદા જુદા તારણો મળે છે, પરંતુ એર ટ્રાન્સપોર્ટ ઈન્ડસ્ટ્રી બેગેજનો રિપોર્ટ વધારે સ્વીકૃત મનાય છે. એ રિપોર્ટના આધારે કહીએ તો ૨૦૧૩ના વર્ષેમાં ૨ કરોડ ૯ લાખ નંગ પેસેન્જર બેગ્સ ખોવાઈ ગયા હતા. એમાંના કેટલાક સાવ ડેમેજ થયા પછી તેના માલિક સુધી પહોંચ્યા હતા.
વિશ્વમાં એવરેજ ૧૦૦ પેસેન્જર્સમાંથી ૧.૨ દરરોજ તેનો સામાન ખોવાઈ જવાની ફરિયાદ જે તે એર લાઇન્સ પાસે નોંધાવે છે. ૨૬ લાખ બેગ્સ એરપોર્ટ ચેકિંગ વખતે જ આમથી તેમ થઈ જતા હોવાના બનાવો બને છે. વિભિન્ન અમેરિકન એરલાઇન્સ વર્ષે લગભગ ૫૦ લાખ મુસાફરોના બેગ ખોઈ નાખે છે. ફિલાડેલ્ફિયા એરપોર્ટ આ બાબતે સૌથી વધુ બદનામ છે. આ એરપોર્ટ તેના નિયમિત પેસેન્જરોના બેગ્સ વર્ષમાં એક વખત તો ખોઈ જ નાખે છે. ભારત અમેરિકા કરતા આ મામલે થોડું પાછળ છે. આપણાં દેશમાં આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક એરપોર્ટ વર્ષે ૪૩ લાખ બેગ્સ ખોઈ નાખે છે અથવા અલગ જગ્યાએ પહોંચાડી દે છે. જોકે, એ વાત પણ નોંધવી જ પડે કે અમેરિકાની તુલનાએ ભારતના એરપોર્ટ ઓછા વ્યસ્ત હોય છે.
આવી ઘટનાઓ રોકવા માટે એર લાઇન્સ ખાસ કાળજી રાખતી થઈ છે. ઘણી અમેરિકન-બ્રિટિશ એર લાઇન્સે પોતાની સ્માર્ટફોન એપ ક્રિએટ કરી છે જેના દ્વારા પેસેન્જર પોતાનો સામાન ક્યાં પહોચ્યો એ જાણી શકે છે. એટલે પોતાનો સામાન ક્યાં પહોંચ્યો એ અંગે જો મુસાફરો જ સભાન રહે તો ઘણા ખરા અંશે આ સ્થિતિમાં કાબૂ મેળવી શકાય છે. પાંચ વર્ષ પહેલા સ્થિતિ એવી હતી કે પેસેન્જર્સની સંખ્યામાં જેટલો વધારો નહોતો થયો એનાથી અનેક ગણો વધારો લગેજ મિસિંગમાં થયો હતો. જોકે, છેલ્લા બે-ત્રણ વર્ષથી થોડો સુધારો નોંધાયો છે.

કયા સેલિબ્રિટીનો સામાન એરપોર્ટ પરથી ગુમ થયો હતો?
નેધરલેન્ડના મહારાણી બેટ્રિક્સ ૨૦૦૬માં લંડનમાં આવ્યા હતા ત્યારે તેમનું બેગ ગુમ થયું હતું. જેમાં વિક્ટોરિયન એરાનો મહામૂલો ડાઇમંડ સેટ પણ હતો. આ બેગની અંદાજિત કીંમત એક કરોડ રૃપિયા આંકવામાં આવી હતી. પછીથી મહારાણીએ હંમેશા માટે એ સામાનને ભૂલી જવો પડયો હતો. રોકસ્ટાર એલિસ કુપરનું બેગ ૨૦૧૦માં એક બ્રિટિશ એર લાઇન્સની ભૂલના કારણે ગુમ થયું હતું. કુપરનું બેગ મેળવવા એર લાઇન્સે પ્રવાસો તો કર્યા, પણ તેમાં સફળતા હાથ લાગી નહીં. કુપરના કહેવા પ્રમાણે તેમાં તેના મૂલ્યવાન ડોક્યુમેન્ટ્સ હતા. અમેરિકન ડિઝાઇનર અને મોડેલ રિશેલ જોએ સેન્ટ બાર્ટ જતી વખતે એરપોર્ટ પર પોતાનું બેગ ગુમાવ્યું હતું. તેમાં તેણે તૈયાર કરેલો નવી ડિઝાઇનનો સેમ્પલ પોશાક હતો. એ સિવાય ૬૦ હજારની એક એવી ૧૫-૧૭ બ્રાન્ડેડ કપડાની જોડી પણ એ બેગમાં હતી. એમ તો કિમ કાર્ડિયાશિનનું બેગ પણ બે વર્ષ પહેલા ગુમ થયું હતું. કિમના કહેવા પ્રમાણે તેમાં તેના કીંમતી કપડા હતા(જોકે, કિમ ક્યાં બહુ કપડા પહેરે છે કે ચિંતા હોય!) અમઝદ અલી ખાન અને મીરા નાયરની જેમ આવા તો કેટલાય બનાવો બનાવો રહે છે, પરંતુ સેલિબ્રિટીની વસ્તુ ગુમ થવાની બદનામીમાંથી બચવા માટે જે તે એર લાઇન્સ મહેનત કરીને પણ તેનો સામાન પરત લાવી આપતી હોય છે.

લગેજ ખોવાય તો વળતર શું મળે?
આમ તો વિભિન્ન એરલાઇન્સના પોતાના અલગ અલગ નિયમો હોય છે. ટર્મ એન્ડ કન્ડિશન્સમાં સામાનની જવાબદારી અંગે એરલાઇન્સે હાથ ઊંચા કરી જ દીધા હોય છે, પણ તેમ છતાં સામાન ખોવાય જાય તો ૨૧ દિવસ સુધી પરત મળવાની શક્યતા હોય છે. ત્રણ સપ્તાહના સમય પછી પણ જો એરલાઇન્સમાંથી સામાન મળી ગયાનો કોલ ન આવે તો સમજવું રહ્યું કે એ સામાન હવે સત્તાવાર રીતે ખોવાય જ ગયો છે. એવા કિસ્સાઓમાં એરલાઇન્સ સામેથી જ બેગમાં શું હતું એની વિગતો મંગાવીને તેનું વળતર આપવાની પ્રક્રિયા હાથ પર લઈ લે છે. ઘણા મુસાફરો રોકડ રકમ મેળવવાને બદલે પોતાની ચીજ-વસ્તુઓ જ પરત મળે એનો આગ્રહ રાખતા હોય છે એવા સમયે એરલાઇન્સ પોતાના ધારા-ધોરણ મુજબ અને સામાનની પાવતીના આધારે ખરીદી કરી આપે છે. જો સામાન ઉસ્તાદ અમઝદ અલી ખાનની સરોદની જેમ બહુ જ મૂલ્યવાન હોય તો પછી એ ગુમાવવો જ રહ્યો! એના માટે આંસુ સારવા એ એક માત્ર વિકલ્પ બચે છે.

સામાન શું કામ ખોવાઈ જાય છે?
બેગ ઉપર લગાડેલું લેવલ ખરાબ થવાથી સામાન ખોવાઈ જવાની કે બીજા કોઈને ભૂલથી અપાઈ જતો હોવાનું બને છે. સામાન જે તે મુસાફર સાથે જ રહે તો તો બહુ વાંધો આવતો હોતો નથી, પરંતુ સામાન વધુ હોય ત્યારે વ્યવસ્થાના ભાગરૃપે અન્ય મુસાફરોના સામાનની સાથે જ સામાન રાખવામાં આવે અને સામાન પર ઓળખ માટે લગાવેલું લેબલ મુસાફરી દરમિયાન ખરાબ થઈ જાય તો એ સામાન હંમેશા માટે ગુમાવવાનો વખત પણ આવી શકે છે. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે સાવ નવું જ બેગ મુસાફરી માટે ખરીદ્યું હોય અને એનો રંગ આપણને તરત જોતા જ ઓળખવામાં મુશ્કેલી થાય તો પણ સામાનની અદલા-બદલી થઈ શકે છે.
બેગ લેતા ભૂલી જવાય તો એરલાઇન્સ પાસે તપાસ કરીએ ત્યારે એ બેગ મળવાની શક્યતા ઓછી થઈ જતી હોય છે. ઉતાવળે ઘણો બધો સામાન હોય ત્યારે ખાસ એવું બનતું હોય છે. ક્યારેક મુસાફરીમાં વધુ સામાન લઈ જવાની આદત ન હોય અને માત્ર હેન્ડ બેગથી ચલાવી લેતા હોઈએ અને એમાં જો સૂટકેસ સાથે હોય તો પણ ઘણા ખરાં મુસાફરો સમાનમાંથી સુટકેસ લેવાનું એ સમયે ભૂલી જતાં હોવાના ઘણાં બનાવો વિશ્વભરના એરપોર્ટ પર બનતાં હોય છે. મુસાફરો જ પોતાનો સામાન ભૂલીને જતાં રહેતા હોય એવા કેસમાં એરલાઇન્સ એ સામાનને બિનવારસી જાહેર કરીને એના બિનવારસી સામાન વિભાગમાં મૂકી રાખે છે. આવો સામાન લાંબી કડાકૂટના અંતે પરત મળતો હોય છે. 
સામાનના સ્થળના કોડમાં ભૂલ થઈ હોય તો સામાન અલગ જગ્યાએ પહોંચી જાય છે. જેમ કે, અમદાવાદથી દહેરાદૂન જતા કોઈ મુસાફરના સામાનમાં દિલ્હીનો કોડ લાગી જાય તો સામાન દિલ્હી પહોંચી જાય છે. બેગમાં મુસાફરની ઓળખ સ્પષ્ટ હોય તો બેગ પરત મેળવવામાં સરળતા રહે છે, પણ જો ઉપરના કારણ પ્રમાણે ઓળખનું લેબલ ખરાબ થઈ ચૂક્યું હોય તો સામાન પાછો મેળવવામાં મુશ્કેલી પડે છે. ઓળખ વગરનો સામાન થોડા દિવસમાં એરલાઇન્સના 'બિનવારસી સામાન' વિભાગમાં મોકલી દેવામાં આવે છે.
બેગેજ કાર્ટ બદલાઈ જાય તો પણ સમાન ચોક્કસ જગ્યાએ પહોંચવાને બદલે કોઈ ભળતા-સળતા સ્થળે પહોંચી જાય છે. છેક છેલ્લી ઘડીએ મુસાફરનો સામાન હ્યુમન એરરના કારણે કર્મચારી જે તે પ્લેનને બદલે બીજા પ્લેનમાં ચડાવી દે તો આપણે નિશ્વિત જગ્યાએ પહોંચીએ ત્યાં સુધીમાં સામાન કોઈ બીજા જ એરપોર્ટે પહોંચી ગયો હોય છે. આવી સ્થિતિમાં જો ઓળખ અને કોર્ડમાં ગફલત થઈ ન હોય તો સામાન સરળતાથી થોડી કલાકો પછી કે એકાદ દિવસમાં મુસાફરને મળી જતો હોય છે. નહીંતર જો લેબલમાં કે કોર્ડમાં ભૂલ રહી ગઈ હોય તો સામાનની રાહ જોવી રહી!

આ ઘટનાઓ મુસાફરો ભૂલી નથી શક્યા, એર લાઇન્સ ભૂલવા માંગે છે!
એકલ દોકલ બેગ ચોરાઈ જાય અને પછી તે પરત મેળવવાની કવાયત હાથ ધરાઈ એ તો જાણે રોજિંદો ક્રમ થયો, પરંતુ એવીય દૂર્ઘટનાઓ બની છે જે મુસાફરો માટે ક્યારેય ન ભૂલી શકાય એવું દુઃસ્વપ્ન છે. તો એર લાઇન્સ દુઃ સ્વપ્ન માનીને તેને ભૂલી જવા માંગે છે.
લંડનના હિથ્રો એરપોર્ટ પર ૨૦૧૦માં આવી જ એક વિચિત્ર ઘટના બની હતી. ૨૪૦ સૂટકેસ સફાઈ દરમિયાન કચરામાં અને પછી ગટરમાં ભળી ગઈ હતી. એરપોર્ટ સત્તાધીશોને આ બાબત ધ્યાનમાં આવી ત્યારે બહુ મોડું થઈ ગયુ હતું. એ તમામ બેગ્સ મેળવીને તેની વ્યવસ્થિત સફાઈ કરવામાં આવી, પણ એ બધુ જ વ્યર્થ હતું. અંતે તમામ મુસાફરોને એરપોર્ટ ઓથોરિટીએ એક હજાર પાઉન્ડનું વળતર આપવું પડયું હતું. આ જ હિથ્રો એરપોર્ટ પર ૨૦૦૭માં એક મુસાફરને ખૂબ ખરાબ અનુભવ થયો હતો. સખત વરસાદના કારણે જ્યારે તેનો સામાન એરપોર્ટ સુધી પહોંચ્યો ત્યારે એ હજુ એરપોર્ટે આવ્યો નહોતો. થોડી કલાકો પછી જ્યારે મુસાફર પોતાનો સામાન લેવા આવ્યો તો એનો બધો જ સામાન પલળી ગયો હતો. એરપોર્ટ ઓથોરિટીનો બચાવ હતો કે તમારે હાજર રહેવું જોઈએને!
અમેરિકામાં એક યુવતીએ આનાથી તદ્ન અલગ અનુભવ થયો હતો. એ તેનો સામાન શોધતા શોધતા પ્લેનના એન્જિન પાસે આવી ત્યારે એન્જિયરે તેને પૂછ્યું કે આ બેગ શોધી રહ્યાં છો? યુવતીએ હા પાડી તો તેણે અફસોસ વ્યક્ત કરીને કહ્યું કે એન્જિનની પાસે હોવાથી તમારો બધો જ સામાન બળી ગયો છે, તમે આવ્યા નહીં એટલે કોઈએ અહીંથી સામાન ખસેડયો નહીં!

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

47,155
By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
હર્ષ મેસવાણિયા લેખક-પત્રકાર (એમ.ફિલ - પત્રકારત્વ-માસ કોમ્યુનિકેશન) 15 વર્ષથી લેખન-પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત. ગુજરાતી અખબાર-સામયિકોમાં 1200 જેટલાં માહિતીપ્રદ, અભ્યાસપૂર્ણ લેખો પ્રસિદ્ધ થયા છે. 2020માં પ્રસિદ્ધ થયેલાં ‘ગ્રેટ ઇન્ડિયન સર્કસ’ પુસ્તકને હાસ્ય-વ્યંગની કેટેગરીમાં ‘ગુજરાત સાહિત્ય અકાદમી’નો પ્રતિષ્ઠિત દ્વિતીય પુરસ્કાર મળ્યો હતો. ‘સુપર વુમન’ પુસ્તક 2024માં વિશ્વ મહિલા દિવસે પ્રસિદ્ધ થયું હતું. ‘ભોંયરાના ભોમિયા’ કિશોર-સાહસ કથા પ્રસિદ્ધ થઈ ચૂકી છે. ગુજરાત સમાચારની ‘સાઇન ઇન’ કૉલમને 2020માં શ્રેષ્ઠ ગુજરાતી કૉલમની કેટેગરીમાં ‘લાડલી મીડિયા ઍવૉર્ડ’ મળ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ શ્રેષ્ઠ કોલમનો એવોર્ડ આપ્યો હતો. ‘ગુજરાત સમાચાર’માં પૂર્તિસંપાદક તરીકે ગુજરાતી નવલકથાના 150 વર્ષ, શેક્સપિયરની 400મી પુણ્યતિથિ, પ્રથમ વિશ્વયુદ્ધનાં 100 વર્ષ, મધર્સ ડેની ઉજવણીના 100 વર્ષ, ભારતની સ્વતંત્રતાના 70 વર્ષ. ગાંધીજી અને કસ્તૂરબાના જન્મનાં 150 વર્ષ, ઓસ્કર ઍવૉર્ડ્સ, ભારતના રાષ્ટ્રપતિ, હિંદ છોડો આંદોલનના 75 વર્ષ, પર્યાવરણ, સાયન્સ, હેરિટેજ, નોબેલ પ્રાઇઝ, કળા, સંગીત, સાહિત્ય જેવાં વિધવિધ વિષયોમાં સ્પેશિયલ એડિશન પર કાર્ય કર્યું છે. રાજકીય વ્યંગની સાપ્તાહિક કૉલમ ‘આપનાં તો અઢાર વાંકાં’ અને આંતરરાષ્ટ્રીય રાજકીય પ્રવાહો પર વર્લ્ડ વિન્ડો કોલમ પ્રસિદ્ધ થાય છે.

- Copyright © 2025 Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -