Posted by : Harsh Meswania Sunday 24 January 2016

સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

હૈદરાબાદ યુનિ.ના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી એ કિસ્સાથી રાજકારણમાં ગરમાટો આવ્યો છે. રાજકારણ ભળ્યું એટલે દેશભરમાં દિવસો સુધી એ મુદ્દો ચર્ચાયો, નહીંતર દેશમાં દરરોજ ૨૦૦ યુવાનો જીવન ટૂંકાવી નાખે છે અને કોઈના પેટનું પાણી ય નથી હાલતું 

ડબલ્યુએચઓના અહેવાલમાં દાવો કરાયો હતો કે ભારત આપઘાતની બાબતે પહેલા નંબરે છે, યુવાનોની આત્મહત્યાના મુદ્દે ય કમનસીબે ભારત પહેલા નંબરે છે. ખુદ સરકારી આંકડા કહે છે કે દેશમાં વર્ષે ૯૮ હજાર યુવાનો આપઘાત કરે છે!

હૈદરાબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થી રોહિત વેમુલાએ આત્મહત્યા કરી એ વાતે ભારતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. તમામ રાજકીય પક્ષોએ જેવી અને જેટલી તક મળી એટલી ઝડપી લીધી છે. સામ સામા આક્ષેપ-પ્રતિઆક્ષેપમાં આખી ય ઘટનાને બરાબર રાજકીય રંગ લાગી ગયો છે, એટલે દિવસો સુધી તેની ચર્ચા ય પૂરજોશમાં ચાલી. જ્ઞાાતિ આધારિત રાજકારણ ખેલવામાં કુશળ આપણા રાજકારણીઓને આ ઘટનામાં ભાવતું મળી ગયું, બાકી જો ક્યારેક આ જ તકવાદી રાજકારણીઓએ આસપાસમાં નજર દોડાવી હોત તો કેટલાય રોહિતો હિજરાઈને મોતને નોતરે છે એ જાણી શકાયું હોત.
આત્મહત્યાનો આ મુદ્દો ચાલતો હશે ત્યાં સુધીના એક સપ્તાહમાં બીજાં ૧૪૦૦-૧૫૦૦ યુવાનોએ આપઘાત કરી લીધો હતો. ના, હૈદરાબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થી રોહિતે આપઘાત કર્યો એ ઘટનાના વિરોધ કે સમર્થનમાં નહીં, પરંતુ ભારતમાં ચાલતી આપઘાતની રૃટિન ઘટનાના ભાગરૃપે! ડબલ્યુએચઓએ ગયા વર્ષે જાહેર કર્યું હતું એ પ્રમાણે ભારત આપઘાતની બાબતે તો પહેલા નંબરે છે જ છે,  યુવાનોની આત્મહત્યામાં પણ કમનસીબે યુવાધનથી છલકતા ભારતનો પહેલો ક્રમ છે.
ખુદ સરકારી આંકડા જ એ વાત સાબિત કરી આપે છે કે ભારતમાં આપઘાતની સમસ્યા ગંભીર હદે વકરી ચૂકી છે. એમાં પણ ભણેલા-ગણેલા યુવાનો આપઘાત કરીને જીવન ટૂંકાવતા જાય છે એ સંખ્યા ભયજનક રીતે સતત વધી ગઈ છે.
                                                                              ***   
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના અંદાજ પ્રમાણે વિશ્વમાં વર્ષે ૮ લાખ લોકો આપઘાત કરીને જીવન ટૂંકાવે છે અને એમાં અઢી લાખ આપઘાત સાથે ભારત પહેલા નંબરે છે. મતલબ કે ભારતમાં એક દિવસમાં ૭૦૦ આત્મહત્યા થાય છે એવું ડબલ્યુએચઓનું કહેવું છે. જોકે, સરકાર આટલો ઊંચો આંકડો હોવાનો ઈન્કાર કરે છે. નેશનલ ક્રાઇમ બ્યૂરો પ્રમાણે છેલ્લા એક દશકામાં એટલે કે ૨૦૦૪થી ૨૦૧૪ દરમિયાન વર્ષે એવરેજ ૧ લાખ લોકો આત્મહત્યા કરે છે. ૨૦૦૪ની તુલનાએ ૨૦૧૪ સુધીમાં આત્મહત્યાનો આંકડો ૧૬ ટકા જેટલો વધી ચૂક્યો છે. ૨૦૦૪માં ૧,૧૩,૬૯૭ કેસ નોંધાયા હતા. સામે આપઘાત ખાળવાના સરકારી-ખાનગી આટ-આટલા પ્રયાસો છતાં ૨૦૧૪માં કેસની સંખ્યા વધીને ૧,૩૧,૬૬૬ સુધી પહોંચી હતી. ભારતના સરકારી આંકડા આપઘાતની દૈનિક એવરેજ ૩૭૫ હોવાનું કહે છે.
ગયા વર્ષે મહારાષ્ટ્રમાં આત્મહત્યાના ૧૬,૩૦૭ કેસ નોંધાયા હતા. આટલી માતબર સંખ્યા સાથે મહારાષ્ટ્રનો દેશમાં પહેલો ક્રમ હતો. આ આપઘાતમાં ખેડૂતોની સંખ્યા ઘણી મોટી હતી. બીજા નંબરે રહેલા તમિલનાડુમાં ૧૬,૧૨૨ કેસ નોંધાયા હતા. ત્રીજા નંબરે ૧૪,૩૧૦ કિસ્સા સાથે પશ્વિમ બંગાળ છે. એ પછી કર્ણાટક અને તેલંગણાનો ક્રમ આવે છે. ભારતમાં સૌથી વધુ આત્મહત્યા આ પાંચ રાજ્યોમાં થાય છે. આ પાંચ રાજ્યો દેશના કુલ આત્મહત્યાના કિસ્સામાં ૫૧ ટકા હિસ્સો ધરાવે છે. આ તમામ રાજ્યોમાં આત્મહત્યા સૌથી વધુ થઈ રહી છે અને એમાં છેલ્લા વર્ષોમાં ઘટાડો થવાને બદલે વધારો થયો છે એ આઘાતજનક બાબત છે. તેમાં ૫ ટકાના વાર્ષિક વધારા સાથે આંકડો સતત મોટો થતો જાય છે. મહારાષ્ટ્ર અને પશ્વિમ બંગાળમાં જે આત્મહત્યા થાય છે તેમાં ખેડૂતો વધારે સંખ્યામાં છે, જ્યારે દક્ષિણ ભારતના રાજ્યોમાં આત્મહત્યા કરવામાં વિદ્યાર્થીઓ મોખરે છે.
૨૦૧૪માં દેશના ૨,૪૦૩ વિદ્યાર્થીઓએ આપઘાત કરીને જીવન ટૂંકાવી લીધુ હતું. અભ્યાસ પછી નોકરી મેળવવામાં વિલંબ થયો હોય અને કંટાળીને આપઘાત કર્યો હોય એવા દુર્ભાગી લોકો ગયા વર્ષે ૨,૨૦૭ હતાં. કુલ આપઘાતમાંથી બેરોજગારીના કારણે વર્ષે ૭.૫ ટકા યુવાનો આપઘાત કરે છે. બીજી એક આંખ ઉઘાડનારી બાબત એ છે કે ગ્રામ્ય ભારતની તુલનાએ શહેરી ભારતનો આપઘાતનો દર ઘણો ઊંચો છે. ૧૫ મોટા શહેરો મળીને આપઘાતનો અડધોઅડધ હિસ્સો ધરાવે છે. વિદ્યાર્થી ઉપરાંત નોકરીની તલાશમાં હોય એવા કુલ યુવાનો મળીને ગયા વર્ષે જ ૪,૬૧૦ વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો હતો. આ સંખ્યા જ વિદ્યાર્થીઓના આપઘાતની ગંભીરતા બયાઁ કરી આપે છે.
આત્મહત્યા કરનારાની માહિતી એકઠી કર્યા પછી તેના આધારે તારણ કાઢવામાં આવ્યું એ પ્રમાણે આત્મઘાત કરનારા લોકોનો શૈક્ષણિક રેટ દેશના સરેરાશ શિક્ષણ રેટ કરતા ઉજળો હતો. ગ્રેજ્યુએશન કે એનાથી વધુ અભ્યાસ કરનારા ૩ ટકા યુવાનો આત્મહત્યા કરી લે છે. ભણેલા-ગણેલા, જેને સમજાવી શકાય તેમ પણ છે અને એ પોતે સારી-ખરાબ સ્થિતિને બરાબર સમજે છે એ લોકો જ આવું નિરાશાજનક પગલું ભરે ત્યારે આપઘાતનું પ્રમાણ ઓછુ કરવાનું કામ ખૂબ કપરું છે.
આત્મહત્યાને ખાળી શકતા રાજ્યોમાં સૌથી સારો દેખાવ ઉત્તરપ્રદેશનો છે. ઉત્તરપ્રદેશમાં આપઘાતનો દર ૨.૭ ટકા છે. વસતિની દૃષ્ટિએ જોઈએ તો ઉત્તરપ્રદેશનો આ દેખાવ ખૂબ જ સારો કહેવો પડે. આપઘાતની એવરેજ સાધારણ રીતે એક લાખે કેટલી આત્મહત્યા થાય છે એના આધારે નક્કી કરવામાં આવે છે. એ એવરેજમાં વળી બિહારનો દેખાવ સૌથી ઉજળો છે. જે બિહારને વિધાનસભાની ચૂંટણી વખતે વડાપ્રધાને જંગલરાજ કહ્યું હતું એ બિહાર એટલિસ્ટ આપઘાતની બાબતમાં તો જંગલરાજ પુરવાર નથી જ થયું! બિહારમાં ૨૦૧૪માં માત્ર ૭૧૯ આપઘાતના કેસ નોંધાયા હતા. બિહારમાં એક લાખે આપઘાતનું પ્રમાણ બહુ જ ઓછુ છે.
ગુજરાતની સ્થિતિ પેલા પાંચ રાજ્યોની તુલનાએ સારી છે, પણ એટલી સારી ય નથી કે ઉત્તરપ્રદેશ કે બિહારની જેમ સારા દેખાવનો યશ લઈ શકાય. ૨૦૧૪ના વર્ષમાં ગુજરાતમાં ૭,૨૨૫ આપઘાત નોંધાયા છે. આ આંકડો ગુજરાતને ૮મો નંબર અપાવે છે. ભારતના કુલ આપઘાતમાં ગુજરાતનો શેર ૫.૫ ટકા છે!
યુવાનોના આપઘાતની બાબતમાં ભારતની સ્થિતિ ખરેખર ગંભીર છે. ગયા વર્ષે ૧૮થી ૩૦ વર્ષની ઉંમરના કુલ ૪૪,૮૮૩ લોકોએ આત્મહત્યા કરી. એમાં અભ્યાસમાં નિષ્ફળતાથી લઈને સારી નોકરીના અભાવ સુધીના તમામ કારણો આવી જાય છે. જે ઉંમર વિકસવાની ઉંમર છે, પાંખો પ્રસરાવીને નવા આકાશને આંબવાની ઉંમર છે, નવા નવા ક્ષેત્રોને જાણવા-સમજવાની ઉંમર છે, સારા-ખરાબ માણસોને ચકાસવાની ઉંમર છે એ ઉંમરે ઘોર નિરાશામાં સપડાઈ જઈને આપઘાત કરતા યુવાનોનો આ આંકડો ખબર નહીં કેમ પણ આપણાં માટે હજુ ય આંખ ઉઘાડનારો નથી બન્યો.
જાપાનમાં જેમ વૃદ્ધો વધી રહ્યાં છે અને તેની ચિંતા સરકારને સતાવી રહી છે એવી ચિંતા આપણે ત્યાં અસંખ્ય યુવાનો સાવ નજીવા કારણે જીવન ટૂંકાવી નાખે છે એ મુદ્દે નથી થતી.
ચિંતામાં વધારો કરે એવો આંકડો તો હજુય ઘણો મોટો છે. ૧૮થી ૩૦ વર્ષની વય જૂથ ઉપરાંત થોડા વર્ષો આગળ અને થોડા વર્ષો પાછળ ઉમેરી દઈએ તો સવાલ એ થવો જોઈએ કે આટલો વિરાટ આંકડો દૂર બેઠા બેઠા ડબલ્યુએચઓને દેખાય છે અને આપણી સરકારોને કેમ નહીંં દેખાતો હોય? ૧૫થી ૪૫ વર્ષની વયજૂથના મળીને ૯૮,૨૦૦ લોકો આત્મહત્યા કરીને આયખું ટૂંકાવી નાખે છે. બેરોજગારી, લગ્નજીવનમાં સમસ્યા, ગંભીર બીમારી, સાસરિયાનો ત્રાસ, પ્રેમમાં નિષ્ફળતા, બિઝનેસમાં નિષ્ફળતા, ગરીબી, આર્થિક સંકળામણ સહિતના બધા જ કારણોનો તેમાં સમાવેશ થઈ જાય છે, તો બીજી તરફ આપઘાત કરનારામાં દેશની આખી આશાસ્પદ જનરેશનનો પણ તેમાં સમાવેશ થઈ જાય છે!
                                                                                  ***
જીવન સામે હારી જઈને આપઘાત નોતરી દેવાની સમસ્યા માત્ર ભારતમાં જ નથી. બધા દેશોમાં વર્ષે લાખો લોકો નિરાશાના કારણે આપઘાત કરે છે, પણ ભારત એ બધા દેશોમાં સૌથી આગળ છે એ ગંભીર બાબત ગણાવી જોઈએ! આપઘાત માટેનું નિરાશાજનક વાતાવરણ સર્જવા માટે નહીં તો ય એ વાતાવરણને ડામી ન શકવા માટે ય સમાજથી લઈ સરકાર સુધી બધા જ જવાબદાર કહેવાય. વિશ્વમાં આપણે યુવાધનથી ભરપૂર દેશની દુહાઈઓ આપીને વાહવાહી લૂંટીએ છીએ તેની આ કાળી બાજુ નથી તો બીજું શું છે?
આપઘાતનો આંકડો બીજી એક બાબતે પણ દિશાસૂચક છે: ભરજુવાનીમાં આત્મહત્યા કરીને આયખું ટૂંકાવી લેવાનું પ્રમાણ બહુ જ વધુ છે એટલું જ આપઘાતનું પ્રમાણ ૬૦ વર્ષ પછીની વયજૂથમાં પણ સામે આવ્યું છે. ૪૫થી ૬૦ના વયજૂથમાં ગયા વર્ષે ૩૩ હજાર આપઘાતના બનાવો બન્યા હતાં. આપઘાતથી યુવાધનને ય દૂર નથી રાખી શકાતું અને બીજી તરફ આખી જીંદગીના પરિશ્રમ પછી નિરાંત માણવાની પળ ઝંખતા વડીલોને ય બચાવી નથી શકાતા.
હૈદરાબાદ યુનિવર્સિટીમાં બનેલા આપઘાતના કિસ્સામાં બન્યું છે એમ આપણે ત્યાં બધે જ ઉકેલ લાવવાને બદલે રાજકીય રંગ ભેળવી દેવાય છે. રાજકારણ કરવામાંથી ફૂરસત મળે તો કદાચ દિવસમાં ચારસોએક જિંદગી બચાવી શકાય, પણ એવી નવરાશ છે કોને?

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -