Posted by : Harsh Meswania Wednesday 19 September 2012


મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

દર વર્ષે ૮મી સપ્ટેમ્બરે યુનેસ્કો દ્વારા વિશ્વ સાક્ષરતા દિનની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ દરમિયાન સાક્ષરતા દરમાં થયેલા ફેરફારનો રિપોર્ટ રજૂ થાય છે અને આગામી આયોજનો માટે જરૂરી રૂપરેખા તૈયાર થાય છે. ચાલુ વર્ષે પણ યુનેસ્કોએ સાક્ષરતા રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટ નિરાશાજનક એટલા માટે છે કે એમાં નિરક્ષરતાનું પ્રમાણ ઘટવાને બદલે ચિંતાજનક રીતે વધી રહ્યું છે.

યુનેસ્કો (યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન) ૧૯૬૫થી વિશ્વમાં સાક્ષરતાનું પ્રમાણ વધે તે માટે ખાસ પ્રયાસો કરે છે. પાંચ દશકા પહેલાં વિશ્વમાં લગભગ ૪૦ ટકા જેટલા લોકો સાક્ષર ન હતા. ૧૯૬૦ આસપાસ વિશ્વની કુલ વસ્તી આજની તુલનાએ અડધા કરતાં થોડી ઓછી એટલે કે આશરે ૩૦૦ કરોડ હતી ત્યારે અસાક્ષર લોકોની સંખ્યા લગભગ ૧૨૦ કરોડ હતી. આ પ્રમાણ ઘટે તે માટે યુનેસ્કોએ પહેલ કરી અને ગરીબ દેશોમાં પ્રાથમિક શિક્ષણ મળી રહે તે માટેનું આયોજન હાથ ધર્યું હતું તેમ છતાં આજે પાંચ દાયકા પછી પણ સ્થિતિ ચિંતાજનક હોવાનું ખુદ યુનેસ્કોનો રિપોર્ટ કહે છે. વળી આટલા પ્રયાસો છતાં વિશ્વભરમાં ૨૦૧૦ની તુલનાએ નિરક્ષરતાનું પ્રમાણ વધ્યું છે અને ખરી ચિંતાજનક વાત પણ એ જ છે.
શું છે યુનેસ્કોના રિપોર્ટમાં?
વિશ્વના કુલ જીડીપીના ૪.૪ ટકા ફંડ શિક્ષણ પાછળ ખર્ચ થાય છે. વિવિધ દેશોની સરકારો દ્વારા શિક્ષણ પાછળ ૨,૪૬૦૦૦ ડોલર ઉપરાંતની રકમ વાપરવામાં આવે છે છતાં યુનેસ્કોના ૨૦૧૨ના રિપોર્ટ પ્રમાણે અત્યારે વિશ્વની કુલ વસ્તીના ૭૮ કરોડ લોકો એવા છે કે જેને વાંચતા કે લખતા નથી આવડતું એટલે કે સાવ જ અભણ છે. ૨૦૧૦ના યુનેસ્કોના રિપોર્ટ મુજબ બે વર્ષ પહેલાં આ આંકડો ૭૩ કરોડ હતો. એટલે કે માત્ર બે જ વર્ષમાં પાંચ કરોડ નવા અસાક્ષર લોકોનો ઉમેરો થયો છે. ૭૮ કરોડમાંથી ૧૨.૫ કરોડ કિશોર-કિશોરીઓ છે જે અસાક્ષર છે. કુલ અસાક્ષર લોકોમાં સૌથી મોટી સંખ્યા મહિલાઓની છે. કુલ અભણ લોકોમાં ૭૦ ટકા મહિલાઓ છે. માત્ર ૧૯ દેશ એવા છે જ્યાં મહિલાઓનો સાક્ષરતા દર પુરુષોથી ઊંચો છે. બાકીના લગભગ દેશોમાં સ્ત્રીઓનો સાક્ષરતા દર પુરુષોની તુલનાએ નીચો રહ્યો છે. બાંગ્લાદેશ, નાઈઝિરિયા, ઈથોપિયા જેવા દેશોમાં અસાક્ષર લોકોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યાનું યુનેસ્કોના ધ્યાનમાં આવ્યું છે. બે વર્ષમાં નિરક્ષરોની સંખ્યા ઘટે નહીં તો કમસેકમ જે હોય એટલી રહે તો આગામી વર્ષોમાં આ આંકડો ઘટે એવી શક્યતા બાંધી શકાય, પણ અહીં તો ઊલટું થયું છે એટલે યુનેસ્કોએ પણ આ બાબતે ચિંતા વ્યક્ત કરીને આ પાછળનું કારણ પણ આપ્યું છે.
નિરક્ષરતાનું પ્રમાણ વધવાનું કારણ
યુનેસ્કોના મતે અસાક્ષરતાને ગરીબી સાથે તો સંબંધ છે જ, પણ સાક્ષરતા આડે આવતું સૌથી મોટું પરિબળ વિશ્વભરમાં થતાં રહેતાં યુદ્ધો છે. વિશ્વમાં ક્યાંક ને ક્યાંક સતત યુદ્ધો થતાં રહે છે અને એ પાછળ ફંડ વપરાઈ જતું હોવાથી શિક્ષણના ભાગે ઓછું ફંડ આવે છે, પરિણામે નિરક્ષરતાનું પ્રમાણ ઘટવાને બદલે વધી જાય છે. ગરીબ દેશો એજ્યુકેશન પાછળ પૂરતાં નાણાં વાપરી શકતા નથી અને યુનેસ્કોની પોતાની મર્યાદાઓ પણ છે એટલે સતત પ્રયત્નો કરવા છતાં ધાર્યું પરિણામ મળી શકતું નથી.
ભારતની સ્થિતિઃ નોટ બેડ, નોટ ગૂડ!
આઝાદી વખતે ભારતની શૈક્ષણિક સ્થિતિ અતિ ગંભીર હતી. ૧૯૪૭માં કુલ વસ્તીના માત્ર ૧૨ ટકા લોકો અક્ષરજ્ઞાન ધરાવતા હતા. આટલાં વર્ષોમાં આ આંકડો ૭૪ ટકાએ પહોંચ્યો છે. એટલે કે ૧૨૦ કરોડ આસપાસની વસ્તીમાંથી ૯૦ કરોડ લોકો વાંચી-લખી શકે છે. છતાં આજેય દેશમાં ૩૦ કરોડ ઉપરાંત લોકો એવા છે જે અક્ષરજ્ઞાન ધરાવતા નથી. આ આંકડો ખૂબ મોટો કહી શકાય, કેમ કે યુનેસ્કોના લિટરસી રેંકમાં આપણો ક્રમાંક છેક ૧૩૯મો છે. યુગાન્ડા, ઘાના, ટાન્ઝાનિયા જેવા દેશોની આસપાસ આપણો નંબર આવતો હોય એ એટલી સારી વાત તો ન જ કહેવાય. આપણા પડોશી દેશ ચીનનો ક્રમાંક ૬૯મો છે અને ત્યાં ૯૫ ટકા લોકો અક્ષરજ્ઞાન ધરાવે છે. ભારત વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જ્યાં એક સાથે આટલા બધા અસાક્ષર લોકો રહે છે. કુલ ૭૮ કરોડ નિરક્ષર લોકોમાંથી ૪૦ ટકા જેટલાં માથાં તો એકલા ભારતનાં જ છે! ૫૨,૦૫૭ કરોડ રૂપિયાનું માતબર બજેટ આપણો દેશ એજ્યુકેશન પાછળ વાપરે છે
છતાં એજ્યુકેશન ક્ષેત્રના નિષ્ણાતોના મતે ભારતમાં સાક્ષરતાનો ઉચ્ચ રેંક મેળવવા પાછળનો મુખ્ય અવરોધ પૂરતી શૈક્ષણિક સવલતોનો અભાવ છે. માળખાગત સુવિધાઓ અને શૈક્ષણિક સ્ટાફના અભાવના કારણે ભારત ધારેલો શૈક્ષણિક વિકાસ કરી શકવામાં નિષ્ફળ રહે છે. પબ્લિક રિપોર્ટ ઓન બેઝિક એજ્યુકેશન(પ્રોબ)ની ટીમના એક અભ્યાસ પ્રમાણે ભારતની ૪૪ ટકા શાળાઓમાં પીવાના પાણીની સુવિધા અવ્યવસ્થિત છે અને ૭૦ ટકા શાળાઓમાં ટોઇલેટ-બાથરૂમની સવલત જ નથી. વળી ભારતમાં અપૂરતા શૈક્ષણિક સ્ટાફમાંથી પણ ૨૫ ટકા શિક્ષકો તો પ્રતિદિન ગેરહાજર હોય છે. આ બધાં કારણસર ભારતનાં ૪૦ ટકા બાળકો માત્ર પ્રાથમિક શિક્ષણ મેળવીને આગળનો અભ્યાસ અધૂરો મૂકી દે છે. યુવાનો અને બાળકોના શૈક્ષણિક રેટની વાત કરવાની હોય તો એશિયામાં ૯૯ ટકા સાથે ચીન સૌથી આગળ પડતું સ્થાન ધરાવે છે. ભારત ૮૪ ટકા સાથે શ્રીલંકા, ઈરાન અને મ્યાનમાર પછીના ક્રમે રહે છે. જો આ ગતિએ આપણા દેશનો સાક્ષરતા રેટ વધશે તો છેક ૨૦૬૦માં દેશ પૂરો સાક્ષર થયાનું માન મેળવી શકશે!
એજ્યુકેશન રેટમાં અગ્રેસર રહેલા પાંચ દેશો
દેશ
લિટરસી રેંક
ક્યૂબા
૯૯.૯
ઈસ્ટોનિયા
૯૯.૮
લાતવિયા
૯૯.૮
દક્ષિણ કોરિયા
૯૯.૮
બાર્બાડોસ
૯૯.૭
એજ્યુકેશન રેટમાં ડાઉન રહેલા પાંચ દેશો
દેશ
લિટરસી રેંક
રિપબ્લિક ઓફ માલી
૨૬.૨
દક્ષિણ સુદાન
૨૭
ઈથોપિયા
૨૮
નાઈઝિરિયા
૨૮.૭
ર્બિકના ફાસો
૨૮.૭
એક નજર ઇધર ભી...
* ભારતમાં ૧૦૦માંથી ૮૨ પુરુષો અક્ષરજ્ઞાન ધરાવે છે જ્યારે તેની તુલનાએ ૧૦૦માંથી ૬૫ મહિલાઓ જ વાંચી લખી શકે છે.
* આજે વિશ્વમાં ૨૩ કરોડ એવાં બાળકો છે જેમણે માત્ર પ્રાથમિક શિક્ષણ મેળવ્યું છે અને આગળ અભ્યાસ કરવાનું છોડી દીધું છે.
* અભ્યાસ અધૂરો છોડનારાં પૈકી ૪૦ ટકા બાળકોનાં માતા-પિતા પાસે અથવા તો બાળકને ભણાવવા માટે પૂરતા પૈસા નથી હોતા અથવા તો બાળકોના પરિવારની આર્થિક સ્થિતિ એટલી ખરાબ હોય છે કે પરિવારને આર્થિક મદદ કરવા માટે બાળક નાની વયે જ મજૂરી કરવા લાગે છે.
* ૬૦ ટકા છોકરીઓને એટલા માટે ઉચ્ચ અભ્યાસ અધૂરો મૂકવો પડે છે કે તેના પરિવાર પાસે બધાં જ બાળકોને આગળનો અભ્યાસ કરાવી શકવા જેટલું ફંડ નથી હોતું. ભાઈઓના અભ્યાસનો માર્ગ મોકળો કરવા બહેનો પોતાનો અભ્યાસ અધવચ્ચે છોડી દે છે.
* મોટાભાગના વિકાસશીલ દેશોમાં પ્રાથમિક શિક્ષણ નિઃશુલ્ક ન હોવાથી પાઠયપુસ્તકોથી લઈને અભ્યાસનો તમામ ખર્ચ બાળકોના પરિવારના શિરે હોય છે.
* ૭૦ ટકા બાળકોના ઉચ્ચ અભ્યાસમાં શાળાની કે કોલેજની ફી મુખ્ય કારણભૂત પરિબળ હોય છે.

{ 1 comments ... read them below or add one }

  1. khub sa-ras mahiti ne vachvu game teva sundar sabdo ma raju karva mate khub khub abhinandan...khub saru lakhta raho...

    ReplyDelete

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -