Posted by : Harsh Meswania Wednesday, 31 October 2012



મધ્યાંતર : હર્ષ મેસવાણિયા

૩૧મી ઓક્ટોબર એટલે ભારતના બે લોખંડી મિજાજના નેતાઓને યાદ કરવાનો સંયોગ. આ દિવસે ભારતના ઐક્યવિધાતા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૩૭મી જન્મજયંતી છે, તો આક્રમક મિજાજ માટે જાણીતા અને પાકિસ્તાનનાં બે ફાડિયાં કરનારાં ઈન્દિરા ગાંધીનો ૨૮મો નિર્વાણદિન પણ છે. બંનેએ પાકિસ્તાનની ખોરી નીતિને સમયસર પારખી લીધી હતી.

સરદારઃ ભારતના ઐક્યવિધાતા
ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલે જ્યારથી ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝુકાવ્યું ત્યારથી છેક જીવનના છેલ્લા શ્વાસ સુધી તેમણે ભારતના હિતમાં જરૂર પડયે કડવા નિર્ણયો પણ લીધા છે. છેક સુંધી ગાંધીજીની પડખે તેના અંગત વિશ્વાસુ તરીકે રહેનારા સરદાર પટેલે અમુક વખતે ગાંધીજીના નિર્ણયોનો પણ મક્કમ અને તટસ્થ વિરોધ નોંધાવ્યો હતો. તેઓ ભારતને હંમેશાં મહેફૂઝ જોવા માંગતા હતા.

અખંડ ભારતઃ રજવાડાઓનું વિલીનીકરણ
ભારતને આઝાદી મળવાનું તો લગભગ પાકું થઈ ગયું હતું, પણ ત્યારે ભારતનો મોટો હિસ્સો નાનકડાં રજવાડાંઓમાં વહેંચાયેલો હતો એટલે રજવાડાંઓને ભારતમાં જોડવા જરૂરી હતાં. આ કામ સરદારને સોંપવામાં આવ્યું હતું. સરદાર પટેલે રજવાડાંઓના એકીકરણનું કામ પૂરી કુશળતા અને કુનેહથી પાર પાડયું. રજવાડાંઓને ભારત સાથે જોડીને ભારતનો આજનો નકશો બનાવવામાં સરદાર પટેલની મહામૂલી ભૂમિકા સુવિદિત છે.

બારડોલી સત્યાગ્રહઃ સબળ નેતૃત્વનું પ્રથમ સોપાન
૧૯૨૮ના વર્ષમાં ગુજરાતનો મોટાભાગનો પ્રદેશ દુષ્કાળની લપેટમાં આવી ગયો હતો છતાં બ્રિટિશ સરકારે કરમાં વધારો કર્યો. સરકારે ખેડૂતો પાસે કર વસૂલવા માટે આકરાં પગલાં ભરવાનું શરૂ કર્યું અને માલ-મિલકતનો કબજો મેળવવા માંડયો. આ સ્થિતિમાં ખેડૂતોની પડખે ઊભા રહીને વલ્લભભાઈ પટેલે અંગ્રેજ સરકાર સામે સત્યાગ્રહ છેડયો. વલ્લભભાઈના અડગ વલણ સામે અંતે સરકારે નમતું જોખવું પડયું. આ સત્યાગ્રહ પછી વલ્લભભાઈ ભારતમાં લોકપ્રિય નેતા બની ગયા. આ લડતથી ભારતને લોખંડી મનોબળ ધરાવતા નેતા 'સરદાર' મળ્યા.

કાશ્મીર, જૂનાગઢ, હૈદરાબાદઃ પાકિસ્તાનની સાન ઠેકાણે લાવી!
જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીર ભારતમાં જોડાશે કે કેમ તે હજુ ચોક્ક્સ નહોતું. આ માટે સરદારે પોતાની આગવી કુનેહ કામે લગાડી. જૂનાગઢની આઝાદી માટે ૨૫ સપ્ટેમ્બરે 'આરઝી હકૂમત'ની સ્થાપના થઈ. બીજી તરફ કશ્મીર તરફ ધસી આવતા પાકિસ્તાનના સૈન્ય સામે ભારતીય લશ્કર ઉતાર્યું અને સમયસર કાશ્મીરને બચાવી લીધું. હૈદરાબાદના નિઝામ પણ આડા ફંટાયા એટલે સરદારે લાલ આંખ કરીને તેમની સાન પણ ઠેકાણે લાવી હતી.

ચીનની ખોરી નીતિનો અંદેશો પહેલાંથી જ આવી ગયો હોય એમ તેમણે પંડિત નહેરુને તિબેટ અંગે ચેતવણી આપતો પત્ર લખ્યો હતો. ગૃહપ્રધાન હોવાથી ઘર ઉપર બહારના કેટલાનો ડોળો ફરે છે એ વાતથી પણ વાકેફ રહેનારા સરદાર જેવા બીજા ગૃહપ્રધાન પછી આજ સુધી ભારતને નથી મળ્યા!

ઈન્દિરા ગાંધીઃ લોખંડી મિજાજ અને ચુંબકીય નેતૃત્વનો સમન્વય
રામમોહન લોહિયાએ એક વાર ઈન્દિરા ગાંધી માટે 'ગૂંગી ગૂડિયા' એવો શબ્દપ્રયોગ કર્યો હતો. આ 'ગૂંગી ગૂડિયા'ને પછીથી આક્રમક રીતે સભાઓ ગજવતા જોઈને ભલભલા રાજકીય નિષ્ણાતોને આશ્વર્ય થતું હતું. શરૂઆતમાં ભાગ્યે જ કશું બોલતાં ઈન્દિરા ગાંધીએ મક્કમ મિજાજની અને પોતાની રાજકીય સૂઝની વિશ્વભરમાં નોંધ લેવડાવી હતી.

ફાડિયાં: પહેલાં કોગ્રેસનાં અને પછી પાકિસ્તાનનાં!
લાલબહાદુર શાસ્ત્રીના નિધન પછી કોંગ્રેસીઓએ એમ માનીને ઈન્દિરા ગાંધીને વડાંપ્રધાન પદ સોંપ્યું હતું કે પોતાનાં ધાર્યાં કામો પાર પડાવી શકાશે, પણ વડાંપ્રધાન બનતાં જ ઈન્દિરા ગાંધીએ પોતાની તાકાતનો પરિચય કરાવવા માંડયો. આ કારણે રૂઢિચુસ્ત કોંગ્રેસી નેતાઓને ઈન્દિરા સાથે વાંકું પડયું અને છેવટે મોરારજી દેસાઈની આગેવાનીમાં કોંગ્રેસનો એક ભાગ અલગ પડયો. ૧૯૭૧માં મુક્તિવાહિની સેનાએ પાકિસ્તાન સૈન્યના દમન સાથે મોરચો માંડયો. જેના પરિણામ સ્વરૂપ પૂર્વ પાકિસ્તાનમાંથી શરણાર્થીઓએ ભારતની વાટ પકડી. આ કારણે ભારતની સ્થિરતા પણ જોખમમાં મુકાઈ શકે એવી સ્થિતિનું નિર્માણ થયું. ઈન્દિરા ગાંધીએ વિશ્વભરના મહત્ત્વના દેશોને આ અંગેની જાણ કરી અને જરૂર પડે તો રશિયાને મદદ માટે તૈયાર રાખીને પાકિસ્તાન સામે યુદ્ધ જાહેર કરી દીધું. યુદ્ધના અંતે પાકિસ્તાનને બે ભાગમાં વિભાજિત કરીને જ રહ્યાં.

ઓપરેશન બ્લૂસ્ટારઃ જીવ દઈને મિશન પાર પાડયું
પંજાબમાં જરનૈલસિંહ ભીંદરાનવાલેએ અલગ ખાલિસ્તાનની માંગણી કરી હતી. ભીંદરાનવાલેને પાકિસ્તાન મદદ કરે છે એવી ઈન્ટેલિજન્સ બ્યુરોની માહિતી પછી અને તે સુવર્ણ મંદિરમાં છુપાયો હોવાની બાતમીના આધારે ઈન્દિરા ગાંધીએ આર્મી બટાલિયનને સુવર્ણ મંદિરમાં ઉતારી. શીખ સમાજમાં આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડયા. અમુક ઉગ્રવાદીઓના નિશાના પર ઈન્દિરા ગાંધી આવી ગયાં. અંતે તેમના જ બે શીખ બોડીગાર્ડ્સે ૩૧ ગોળીઓથી ઈન્દિરા ગાંધીને વીંધી નાખ્યાં. ઓપરેશન બ્લૂસ્ટાર તેમણે જીવ દઈને પાર પાડયું.

કટોકટીઃ જોખમી પગલું
ચૂંટણીમાં સરકારી સાધનોનો ઉપયોગ કરવાના આરોપસર કેસ ચાલતો હતો તે દરમિયાન જ તેઓએ વિપરીત પરિસ્થિતિમાં ભારત પર કટોકટી લાદી. તેમના આ પગલાના પડઘા સમગ્ર વિશ્વમાં પડયા. પછીથી ચૂંટણીઓ આવી ત્યારે તેઓને હારનો સામનો કરવો પડયો, પણ પછીની ચૂંટણીઓમાં ફરીથી સત્તા મેળવીને લોકપ્રિયતા પાછી મેળવી લીધી.  

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

47,134
By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
હર્ષ મેસવાણિયા લેખક-પત્રકાર (એમ.ફિલ - પત્રકારત્વ-માસ કોમ્યુનિકેશન) 15 વર્ષથી લેખન-પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત. ગુજરાતી અખબાર-સામયિકોમાં 1200 જેટલાં માહિતીપ્રદ, અભ્યાસપૂર્ણ લેખો પ્રસિદ્ધ થયા છે. 2020માં પ્રસિદ્ધ થયેલાં ‘ગ્રેટ ઇન્ડિયન સર્કસ’ પુસ્તકને હાસ્ય-વ્યંગની કેટેગરીમાં ‘ગુજરાત સાહિત્ય અકાદમી’નો પ્રતિષ્ઠિત દ્વિતીય પુરસ્કાર મળ્યો હતો. ‘સુપર વુમન’ પુસ્તક 2024માં વિશ્વ મહિલા દિવસે પ્રસિદ્ધ થયું હતું. ‘ભોંયરાના ભોમિયા’ કિશોર-સાહસ કથા પ્રસિદ્ધ થઈ ચૂકી છે. ગુજરાત સમાચારની ‘સાઇન ઇન’ કૉલમને 2020માં શ્રેષ્ઠ ગુજરાતી કૉલમની કેટેગરીમાં ‘લાડલી મીડિયા ઍવૉર્ડ’ મળ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ શ્રેષ્ઠ કોલમનો એવોર્ડ આપ્યો હતો. ‘ગુજરાત સમાચાર’માં પૂર્તિસંપાદક તરીકે ગુજરાતી નવલકથાના 150 વર્ષ, શેક્સપિયરની 400મી પુણ્યતિથિ, પ્રથમ વિશ્વયુદ્ધનાં 100 વર્ષ, મધર્સ ડેની ઉજવણીના 100 વર્ષ, ભારતની સ્વતંત્રતાના 70 વર્ષ. ગાંધીજી અને કસ્તૂરબાના જન્મનાં 150 વર્ષ, ઓસ્કર ઍવૉર્ડ્સ, ભારતના રાષ્ટ્રપતિ, હિંદ છોડો આંદોલનના 75 વર્ષ, પર્યાવરણ, સાયન્સ, હેરિટેજ, નોબેલ પ્રાઇઝ, કળા, સંગીત, સાહિત્ય જેવાં વિધવિધ વિષયોમાં સ્પેશિયલ એડિશન પર કાર્ય કર્યું છે. રાજકીય વ્યંગની સાપ્તાહિક કૉલમ ‘આપનાં તો અઢાર વાંકાં’ અને આંતરરાષ્ટ્રીય રાજકીય પ્રવાહો પર વર્લ્ડ વિન્ડો કોલમ પ્રસિદ્ધ થાય છે.

- Copyright © 2025 Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -