Posted by : Harsh Meswania Wednesday, 24 October 2012


મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

દશેરાના દિવસે ભારતમાં રાવણદહન કરીને પ્રતીકરૂપે રાવણવૃત્તિનું દહન કરવામાં આવે છે. આનાથી ઊલટું ભારતમાં એવા લોકો પણ છે જે દશેરાના દિવસે રાવણદહન કરતા નથી બલકે રાવણની પૂજા કરે છે. તો અમુક સ્થળોએ રાવણદહનને અપશુકનિયાળ માનવામાં આવે છે.

શાસ્ત્રો પ્રમાણે રાવણનો જન્મ બ્રાહ્મણ કુળમાં થયો હતો, પણ તેનાં કર્મોને કારણે તેની ગણના રાક્ષસોમાં થઈ છે. શાસ્ત્રોમાં અસંખ્ય ખલનાયકોનો ઉલ્લેખ આપણે સાંભળ્યો-વાંચ્યો હોય છે, પણ રાવણ મોટાભાગના ખલનાયકોથી થોડો ભિન્ન છે. કારણ એટલું જ કે રાવણમાં ખરાબીઓ હોવા છતાં અમુક ખૂબીઓ હતી કે જે તેને અન્ય વિલનોથી અલગ પાડી દે છે. પરાક્રમી યોદ્ધો હોવા ઉપરાંત તે ખૂબ સારો તપસ્વી હતો. કઠિન તપસ્યાઓ કરીને ધાર્યાં વચનો મેળવી લેતો હતો. વેદોના જાણકાર રાવણે શિવતાંડવ સ્તોત્રની રચના કરીને સંસ્કૃત સાહિત્યના વિદ્વાન રચયિતાઓમાં પોતાનું નામ અમર કર્યું છે. સંગીત અને ગાયનમાં પણ રાવણનું નોંધપાત્ર પ્રદાન કહી શકાય. રાવણહથ્થો તો આજેય સંગીતનો હિસ્સો રહ્યું છે. રાવણહથ્થાની મદદથી જ રાવણે શિવતાંડવ સ્તોત્રનું ગાયન કરીને ભગવાન શિવને રિઝવ્યા હોવાનું મનાય છે. તો વળી, રાવણસંહિતાથી જ્યોતિષશાસ્ત્રને સમૃદ્ધ કર્યું છે. આ અને આવી અન્ય ખૂબીઓને કારણે જ કદાચ સદીઓ વીતવા છતાં લોકોમાં રાવણ જેટલો યાદ રહ્યો છે એવો કદાચ એકેય વિલન લોકમાનસમાં યાદ રહ્યો નથી. આટલા શક્તિશાળી વિલન પર ભગવાન શ્રીરામે વિજય મેળવ્યો હોવાથી તેની ઉજવણી ત્યારે પણ દેવતાઓ અને મનુષ્યોએ ઉત્સાહપૂર્વક કરી હતી અને આજેય લોકો વિજયા દશમીએ રાવણદહન કરે છે, પણ જે લોકો રાવણને ઈષ્ટદેવતા માનીને પૂજે છે એ પાછળ પણ રાવણની આટ-આટલી ખૂબીઓ જ જવાબદાર હશે!

ક્યાં થાય છે રાવણની પૂજા?
મધ્યપ્રદેશના દમોહનગરમાં રહેતો નાગદેવ પરિવાર વર્ષોથી લંકાનરેશ રાવણને ઈષ્ટદેવતા માનીને પૂજા કરે છે. આ પરિવારના સદસ્ય હરીશ નાગદેવ આખા દમોહનગર વિસ્તારમાં લંકેશના હુલામણા નામથી જાણીતા છે. દશેરાના દિવસે આ પરિવાર રાવણના સ્વરૂપની આરતી કરીને મંગળ કામના કરે છે. એટલું જ નહીં આ પરિવારે સરકાર પાસે દશાનન રાવણનું ભવ્ય મંદિર બનાવવા માટે શહેરમાં જગ્યા ફાળવવાની માંગણી પણ કરી છે. મધ્યપ્રદેશમાં જ વિદિશાના અમુક કાન્યકુબ્જ બ્રાહ્મણો રાવણ મંદિરમાં રાવણની આરતી કરે છે. તો વળી, આ વિસ્તારમાં અમુક લોકો દશેરાએ રાવણનું શ્રાદ્ધ પણ કરે છે. આ સિવાય ઉત્તરપ્રદેશમાં કાનપુરની નજીક એક રાવણ મંદિર આવેલું છે જે વર્ષમાં એક વખત દશેરાના દિવસે ખોલવામાં આવે છે અને અહીં રાવણની પૂજનવિધિ થાય છે.

ઈન્દૌરના પરદેશીપુરામાં રહેતો વાલ્મીકિ સમાજ રાવણની પૂજા તો કરે જ છે, સાથોસાથ દશેરાના દિવસે થતા રાવણદહનને જોવાનું પણ ટાળે છે. આ ઉપરાંત ઈન્દૌરનું લંકેશ મિત્રમંડળ છેલ્લાં ચાલીસ વર્ષથી શહેરમાં વિજયાદશમીના દિવસે રાવણના પૂતળાની પૂજા કરવાની સાથે રાવણદહનનો વિરોધ પણ કરે છે. મહારાષ્ટ્રના અમુક ભાગોમાં રાવણની વિદ્વત્તાને સન્માન આપવામાં આવે છે. અમરાવતી જિલ્લાના મેલઘાટ અને ગઢચિરૌલ જિલ્લાના ધરોરામાં રહેતા કોર્કૂ અને ગોંડ આદિવાસીઓ પેઢીઓથી દશેરાના દિવસે રાવણ ઉપરાંત તેના પુત્ર મેઘનાદની આરતી કરે છે.

મહાન શિવભક્ત હોવાથી થાય છે પૂજા!
કર્ણાટકના કોનાર જિલ્લામાં લંકેશ્વર મહોત્સવ ઊજવાય છે. આ નિમિત્તે વિશાળ શોભાયાત્રા નીકળે છે અને આ દરમિયાન લંકાનરેશ રાવણની પૂજા કરવામાં આવે છે. રાવણની ગણના મહાન શિવભક્તોમાં થાય છે એટલે ભગવાન શંકરનો ભક્ત હોવાથી જ અહીં શિવજીની સાથે સાથે રાવણની પણ આરતી ઉતારવામાં આવે છે. આંધ્રપ્રદેશના કાકિનાડમાં રાવણે શિવલિંગની સ્થાપના કરી હોવાનું કહેવાય છે. આ જ શિવલિંગની નજીક રાવણની પ્રતિમા છે. અહીં આવેલા શિવલિંગ અને રાવણની પ્રતિમાની પૂજા સ્થાનિક માછીમાર સમાજ વર્ષોથી કરે છે.

અહીં રાવણદહન કરવું એટલે મોતને નોતરવું!
હિમાચલપ્રદેશના કાંગડા જિલ્લામાં બૈજનાથ નામનું નાનકડું શહેર આવેલું છે. આમ તો આ શહેરને શિવનગરીના નામે જ વધુ ઓળખવામાં આવે છે. આ વિસ્તારમાં રાવણના પૂતળાનું દહન કરવું એટલે જાણે મોતને નોતરવું! એક માન્યતા પ્રમાણે રાવણે આ સ્થળે આવીને ભગવાન શિવની કઠિન તપસ્યા કરી હતી એટલે શિવજીની સામે તેના ભક્તના પૂતળાનું દહન કરવું પાપ માનવામાં આવે છે. ૧૯૬૭માં પ્રથમ વખત અહીં આ ક્રમ તૂટયો અને રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. જાણે લોકોની માન્યતા સાચી હોય એમ સૌપ્રથમ વાર રાવણના પૂતળાને આગ લગાવનારી વ્યક્તિનું થોડા સમયમાં જ મોત થયું. એટલું જ નહીં આ ઉજવણીમાં ભાગીદાર બનનારા પૈકી થોડા લોકો મોતને ભેટયા તો થોડાને કંઈક ને કંઈક નુકસાની વેઠવી પડી એટલે અંતે ૧૯૭૩ પછી અહીં રાવણદહન બંધ કરવામાં આવ્યું. બૈજનાથના બિનવા પુલ પાસે જ રાવણે દસ વખત કમળ પૂજા કરી હોવાની પણ લોકોક્તિ છે. આ માન્યતા માન્યામાં આવે કે ન આવે પણ અહીંના લોકોએ વર્ષો અગાઉ એક વખત રાવણદહન કરવાનો પ્રયાસ કર્યો છે અને એનાં પરિણામ સામે આવ્યા પછી શિવભક્ત રાવણનું દહન કરવું પાપ છે એવી માન્યતા વધુ દૃઢ બની છે.

દસ માથાં કે દસ બુરાઈઓ?
પૌરાણિક વર્ણનોમાં રાવણને દસ મસ્તક હોવાનું કહેવાયું છે. સામાન્ય તર્ક લગાવીએ તો કોઈને દસ મસ્તકો હોય એવું માન્યામાં ન આવે! એક મત પ્રમાણે રાવણનાં દસ મસ્તકો એ માનવમનની દસ બુરાઈઓનું પ્રતીક છે.

ઘમંડઃ રાવણમાં મોટી ખરાબી તેનું અભિમાન હતું. રાવણના પતનમાં અભિમાનનો મુખ્ય ફાળો છે.

ક્રોધઃ અતિશય ક્રોધી હોવાથી રાવણે અનેક દુશ્મનો બનાવ્યા હતા.
અત્યાચારઃ દેવો, માનવો અને પૃથ્વી પરનાં પશુઓ પર રાવણે કાળો કેર વર્તાવ્યો હતો.

અવિવેકઃ રાવણમાં વિવેકના ગુણનો અભાવ હતો. કુંભકર્ણ, મેઘનાદ હણાયા પછી તેના નાના માલ્યવંતે તેને સમજાવવાના પ્રયાસો કર્યા, પણ અવિવેકી રાવણે તેમને રાજદરબારમાંથી કાઢી મૂક્યા.

સ્વાર્થઃ અંગત દુશ્મની માટે તેણે પોતાના ભાઈ કુંભકર્ણ અને બે મહાપરાક્રમી પુત્રો મેઘનાદ-અક્ષયને યુદ્ધભૂમિમાં હોમી દીધા.

દુરાગ્રહઃ રાવણની પત્ની મંદોદરી રાવણને સમજાવતી રહી કે રામ બ્રહ્મ છે અને તેની માફી માંગી લો તો ભગવાન માફ કરી દેશે, પણ દુરાગ્રહી રાવણે તેની અવગણના કરી.

વૈરાગ્યવિહિનતાઃ રાવણમાં તમામ ગુણો હોવા છતાં તેની ગણના ખલનાયકોમાં થઈ, કારણ કે તેનામાં જરા સરખો પણ વૈરાગ્યનો ગુણ ન હતો.

કપટઃ કપટ કરવામાં રાવણ માહેર હતો. સોનાનાં શિંગડાં ધરાવતા મૃગનું તરકટ રચીને રાવણે સાધુવેશે સીતાજીનું હરણ કર્યું હતું.

બળનો દૂરુપયોગઃ રાવણને મળેલાં વરદાનોનો ઉપયોગ જો તેણે સારા કામમાં કર્યો હોત તો વિશ્વ તેની મહાનતાને આજે પણ યાદ કરતું હોત.

વ્યભિચારઃ રાવણ અપ્સરાઓથી લઈ તપસ્વિનીઓને પોતાના બાનમાં રાખતો હતો.

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

47,165
By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
હર્ષ મેસવાણિયા લેખક-પત્રકાર (એમ.ફિલ - પત્રકારત્વ-માસ કોમ્યુનિકેશન) 15 વર્ષથી લેખન-પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત. ગુજરાતી અખબાર-સામયિકોમાં 1200 જેટલાં માહિતીપ્રદ, અભ્યાસપૂર્ણ લેખો પ્રસિદ્ધ થયા છે. 2020માં પ્રસિદ્ધ થયેલાં ‘ગ્રેટ ઇન્ડિયન સર્કસ’ પુસ્તકને હાસ્ય-વ્યંગની કેટેગરીમાં ‘ગુજરાત સાહિત્ય અકાદમી’નો પ્રતિષ્ઠિત દ્વિતીય પુરસ્કાર મળ્યો હતો. ‘સુપર વુમન’ પુસ્તક 2024માં વિશ્વ મહિલા દિવસે પ્રસિદ્ધ થયું હતું. ‘ભોંયરાના ભોમિયા’ કિશોર-સાહસ કથા પ્રસિદ્ધ થઈ ચૂકી છે. ગુજરાત સમાચારની ‘સાઇન ઇન’ કૉલમને 2020માં શ્રેષ્ઠ ગુજરાતી કૉલમની કેટેગરીમાં ‘લાડલી મીડિયા ઍવૉર્ડ’ મળ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ શ્રેષ્ઠ કોલમનો એવોર્ડ આપ્યો હતો. ‘ગુજરાત સમાચાર’માં પૂર્તિસંપાદક તરીકે ગુજરાતી નવલકથાના 150 વર્ષ, શેક્સપિયરની 400મી પુણ્યતિથિ, પ્રથમ વિશ્વયુદ્ધનાં 100 વર્ષ, મધર્સ ડેની ઉજવણીના 100 વર્ષ, ભારતની સ્વતંત્રતાના 70 વર્ષ. ગાંધીજી અને કસ્તૂરબાના જન્મનાં 150 વર્ષ, ઓસ્કર ઍવૉર્ડ્સ, ભારતના રાષ્ટ્રપતિ, હિંદ છોડો આંદોલનના 75 વર્ષ, પર્યાવરણ, સાયન્સ, હેરિટેજ, નોબેલ પ્રાઇઝ, કળા, સંગીત, સાહિત્ય જેવાં વિધવિધ વિષયોમાં સ્પેશિયલ એડિશન પર કાર્ય કર્યું છે. રાજકીય વ્યંગની સાપ્તાહિક કૉલમ ‘આપનાં તો અઢાર વાંકાં’ અને આંતરરાષ્ટ્રીય રાજકીય પ્રવાહો પર વર્લ્ડ વિન્ડો કોલમ પ્રસિદ્ધ થાય છે.

- Copyright © 2025 Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -