Posted by : Harsh Meswania Sunday 7 December 2014


બે દિવસ પછી નોબેલ પ્રાઇઝ એવોર્ડ સેરેમની યોજાશે અને એમાં ભારતીય કૈલાશ સત્યાર્થીને શાંતિનો નોબેલ એનાયત થશે. ભારતમાં જન્મેલા અને ભારતને કર્મભૂમિ બનાવી હોય એવા બધા મળીને આંગળીને વેઢે ગણાય જાય એટલા લોકો નોબેલ પ્રાઇઝ મેળવી શક્યા છે અને એમાંયે અડધો અડધો પશ્વિમ બંગાળ સાથે એક યા બીજા કારણોથી જોડાયેલા છે.

નોબેલ પ્રાઇઝની વાત નીકળે એટલે સ્વાભાવિક રીતે જ રવીન્દ્રનાથ ઠાકુરથી વાત માંડવી પડે. ગીતાંજલિ માટે ૧૯૧૩માં રવીન્દ્રનાથનું જ્યારે નોબેલ પારિતોષિકથી સન્માન કરવામાં આવ્યું ત્યારે તે સાહિત્યનું આ સન્માન મેળવનારા પ્રથમ ભારતીય તો હતા જ, પરંતુ યુરોપિયન ન હોય અને સાહિત્યનું આ સર્વોચ્ચ સન્માન મેળવ્યું હોય એવા પણ તેઓ જગતના પહેલા સાહિત્યકાર હતા. સાહિત્યથી લઈને સંગીત અને ફિલોસોફીમાં તેમનું પ્રદાન શબ્દોમાં વ્યક્ત ન થઈ શકે એટલું વિશાળ છે. ભારતના એ સમયના ઘણા બધા સાહિત્યકારો-લેખકો ઉપર રવીન્દ્રનાથનો ઊંડો પ્રભાવ પડયો હતો. શાંતિનિકેતન જેવી અનોખી વિશ્વભારતી યુનિવર્સિટી સ્થાપના માટેય તેમને વિશ્વભરમાં ખૂબ યાદ કરવામાં આવે છે. જન્મથી અને કર્મથી પશ્વિમ બંગાળ સાથે જીવનભર અતૂટ નાતો જોડી રાખનારા રવીન્દ્રનાથ ઠાકુરનું પ્રદાન માત્ર આ ગીતાંજલિ પૂરતું સીમિત નથી એ પણ એટલી જ સાચી વાત છે. તેમણે એ સમયે ભારતની એક આખી પેઢીના ઘડતર કરવામાં શાંતિનિકેતનને માધ્યમ બનાવ્યું હતું. પણ રવીન્દ્રનાથ ઠાકુરને નોબેલથી સન્માનિત કરાયા એ અગાઉ ૧૨ વર્ષ પહેલા પ્રથમ નોબેલ એવોર્ડ સેરેમનીમાં ભારતમાં જન્મેલા અને ભારતને જ કર્મભૂમિ બનાવનારા એક તબીબને મેડિસિન માટે નોબેલ પુરસ્કાર એનાયત કરાયો હતો.
કેમ્બેલ રોસ નામના એક અધિકારીને તેમના કામની કદર બદલ બ્રિટને ૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ પછી બ્રિટિશ ઈન્ડિયન આર્મીના જનરલ પદે નિયુક્ત કરીને ભારત મોકલ્યા હતા. આ કેમ્બેલ રોસના પુત્ર એટલે મેડિસિન માટે પ્રથમ નોબેલ મેળવનારા સંશોધક રોનાલ્ડ રોસ. રોનાલ્ડનો જન્મ ભારતના અલમોરામાં થયો હતો. લંડનમાં અભ્યાસ કર્યા બાદ રોનાલ્ડ ૧૮૮૧માં ભારતીય સિવિલ સર્વિસમાં જોડાઈ ગયા. લંડનની મેડિકલ કોલેજમાંથી સર્જરીનું ભણનારા રોનાલ્ડે આર્મી મેડિકલ હોસ્પિટલમાં કામ શરૃ કર્યું. કોલકાત્તાની પ્રેસિડેન્સી જનરલ હોસ્પિટલમાં તેમણે ઘણા વર્ષો સુધી કામ કર્યું હતું. કોલકાત્તાને જ તેમણે કર્મભૂમિ બનાવી હતી. માદા મચ્છર કરડવાથી મલેરિયા થાય છે એવું સંશોધન તેમણે કોલકાત્તાની પ્રેસિડેન્સી જનરલ હોસ્પિટલમાં જ કર્યું હતું. રોનાલ્ડના એ સંશોધનમાં તેમને અન્ય એક બંગાળી તબીબ ડો. કિશોર મોહન બંદોપાધ્યાયનો સાથ પણ મળ્યો હતો. મૂળ બ્રિટિશર પણ ભારતમાં જન્મેલા અને પશ્વિમ બંગાળને કર્મભૂમિ બનાવીને બંગાળમાં જ મલેરિયા અંગે મહત્ત્વની શોધ કરનારા રોનાલ્ડને બ્રિટનની નોબેલ યાદીમાં સમાવાયા છે, પણ તેમની શોધ માટે ભારત મહત્ત્વનું રહ્યું હતું અને જન્મથી તેઓ ભારતીય હતા એટલે તેમને ભારતની નોબેલ યાદીમાં પણ શુમાર કરવામાં આવે છે. ભારતમાં જન્મેલી વ્યક્તિએ નોબેલ મેળવ્યો હોય એવા રોનાલ્ડ પ્રથમ હતા.
ભૌતિકશાસ્ત્રમાં મહત્ત્વની એવી રામન ઈફેક્ટના શોધક સી. વી. રામનનો જન્મ એ સમયના મદ્રાસમાં થયો હતો. તેમણે અભ્યાસ પૂર્ણ કરીને ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર તરીકે યુનિવર્સિટી ઓફ કલકત્તામાં કારકિર્દીની શરૃઆત કરી હતી. કલકત્તા યુનિવર્સિટી વતી તેઓ એક પરિષદમાં ભાગ લેવા વિદેશ જતા હતા ત્યારે તેમણે સમૃદ્રના ભૂરા રંગનું અવલોકન કરીને તેનું રહસ્ય જાણવાનો વિચાર આવ્યો હતો. ભારત પરત આવ્યા બાદ તેમણે એ તરફ સંશોધન આગળ ચલાવ્યું હતું. સંશોધનમાં જાતે બનાવેલા અને સ્વદેશી સાધનોનો જ ઉપયોગ કરીને તેમણે રામન ઈફેક્ટ તરીકે ઓળખાયેલો સિદ્ધાંત આપ્યો હતો. તેમના આ સિદ્ધાંત માટે તેમને ૧૯૩૦માં ભૌતિકશાસ્ત્રના નોબેલથી સન્માનિત કરાયા હતા. તેમણે એક વખત કહ્યું હતું કે કલકત્તામાં પસાર થયેલો સમય મારા જીવનનો ગોલ્ડન પિરિયડ છે. વિજ્ઞાાનમાં સર્વોચ્ચ સન્માન મેળવનારા સી. વી. રામન પ્રથમ ભારતીય હતા.
જન્મે વિદેશી પણ કર્મથી સવાયા ભારતીય ગણવા પડે એવા મધર ટેરેસાને પશ્વિમ બંગાળમાં થઈ રહેલા તેમના કામ બદલ ૧૯૭૯માં શાંતિ માટેનો નોબેલ એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે તેમનું જીવન પશ્વિમ બંગાળના ગરીબ બાળકોની સેવામાં વ્યતીત કર્યું હતું. ૧૩ સભ્યોની મદદથી તેમણે કોલકાત્તામાં જે કામનો પાયો નાખ્યો હતો એનો ફેલાવો આજે ૧૩૩ દેશોમાં થયો છે. ૪૫,૦૦ સિસ્ટર્સ મધર ટેરેસાના મિશનને આગળ વધારે છે, પણ તેના પાયામાં કોલકાત્તા હતું અને એટલે જ મધર ટેરેસાએ કોલકાત્તામાં ૧૯૪૮માં સ્થાપેલા ચેરિટી મિશનને છેક સુધી હેડક્વાર્ટર જેવો દરજ્જો આપ્યો હતો. શાંતિનો નોબેલ મેળવનારા પ્રથમ ભારતીય (ગાંધીજી ૧૯૩૭, ૩૮, ૩૯, ૪૭ અને ૪૮માં નોમિનેટ થયા હતા. તેમને નોબેલ ન આપીને નોબેલ કમિટીએ ઈતિહાસની સૌથી મોટી ભૂલ કરી છે એવું ખૂદ નોબેલ કમિટીના સેક્રેટરીએ સ્વીકાર્યું હતું એ ઈતિહાસ જાણીતો છે) નાગરિક મધર ટેરેસા હતાં.
શાંતિનિકેતન અને પશ્વિમ બંગાળ સાથે અતૂટ નાતો ધરાવનારા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનને તેમની વેલ્ફેર ઈકોનોમીની થિયરી માટે ૧૯૯૮માં અર્થશાસ્ત્રનો નોબેલ એનાયત થયો હતો. અત્યારે તેઓ ૮૧ વર્ષના છે અને હાર્વર્ડ યુનિવર્સિટી ઉપરાંત કેમ્બ્રિજ અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી સાથે જોડાયેલા છે. તેમની વિધવિધ આર્થિક થિયરીઓ અને વિચારોને વિશ્વભરના ઘણા દેશોએ સ્વીકારી છે.
આ સિવાય મૂળ ભારતીય પણ અમેરિકામાં સ્થાઈ થયેલા હરગોવિંદ ખુરાનાને ૧૯૬૮માં શરીરવિજ્ઞાાન માટે નોબેલ એનાયત થયો હતો. એવા જ બીજા એક મૂળ ભારતીય અને અમેરિકામાં વસી ગયેલા સુબ્રમન્યમ ચંદ્રશેખરને ૧૯૮૩માં ભૌતિકશાસ્ત્રનો નોબેલ મળ્યો હતો. ભારતમાં જન્મેલા પણ બ્રિટન સ્થાઈ થયેલા વેંકટરામન રામાક્રિષ્નનને ૨૦૦૯મા રસાયણશાસ્ત્રનો નોબેલ મેડલ આપીને તેમના કામનું સન્માન થયું હતું.
હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં વર્ષોથી ભારતના રાજ્યાશ્રયના કારણે રહેતા દલાઈ લામાને ૧૯૮૯માં નોબેલ કમિટીએ શાંતિનો નોબેલ આપ્યો હતો. ગાંધીજીના અહિંસક માર્ગે તિબેટ માટે ચીન સામે ધીરજપૂર્ણ અહિંસક લડત ચલાવી રહેલા ૧૪મા દલાઈ લામાને શાંતિનો નોબેલ આપીને નોબેલ કમિટીએ જાણે ગાંધીજીને સન્માન ન આપી શકાયાનું પ્રાયશ્વિત પણ કર્યું હતું.
વિદેશને કર્મભૂમિ બનાવનારા પણ ભારતમાં જન્મેલા હરગોવિંદ ખુરાના, સુબ્રમન્યમ ચંદ્રશેખર, વેંકટરામન રામાક્રિષ્નન વગેરેનો જન્મ ભારતમાં ભલે થયો હોય. થોડો અભ્યાસ પણ ભારતમાં જ થયો હોવા છતાં નોબેલની યાદીમાં તેઓ અમેરિકા-બ્રિટન જેવા દેશોના લિસ્ટામાં સમાવેશ પામે છે. તો પછી વિદેશના હોય છતાં ભારતને પ્રથમ નોબેલ અપાવનારા રોસને પણ આપણે ભારતીય ગણીને આપણી યાદીમાં સમાવી શકીએ છીએ. કેમ કે, તેમનો જન્મ-ઉછેર અને કાર્ય ભારત સાથે જોડાયેલા છે. એ જ રીતે વિદેશી ભૂમિ ઉપર જન્મેલા મધર ટેરેસા પણ સવાયા ભારતીય છે એટલે બધા મળીને ભારતના નામે કુલ ૧૦ નોબેલ પ્રાઇઝ બોલે છે. કૈલાશ સત્યાર્થી ૧૧મા ભારતીય છે. આંગળીના વેઢા પણ વધી પડે એટલા ભારતીયોમાંથી વળી પાંચને પશ્વિમ બંગાળ સાથે સીધો સંબંધ છે. એક સમયે પશ્વિમ બંગાળ બૌદ્ધિકોની ભૂમિ કંઈ એમ જ થોડી કહેવાતી હશે!

પાંચ-પાંચ નોબેલ મેળવનારો એક માત્ર પરિવાર
ક્યૂરી પરિવારના નામે પાંચ-પાંચ નોબેલ મેળવવાનો વિક્રમ બોલે છે. રેડિયમના શોધક તરીકે જગવિખ્યાત બનેલાં મેડમ મેરી ક્યૂરી અને તેમના પતિ પિયરી ક્યૂરીને ૧૯૦૩માં ફિઝિક્સનું નોબેલ પ્રાઇઝ મળ્યું હતું. ત્યાર પછી એક અકસ્માતમાં પિયરીનું નિધન થયું હતું. જોકે, મેરીએ તેની સંશોધન યાત્રા શરૃ રાખી હતી. ૧૯૧૧માં મેરીને રસાયણશાસ્ત્ર માટે ફરીથી નોબેલ પુરસ્કાર એનાયત કરાયો હતો. એ સાથે જ બે અલગ અલગ વિજ્ઞાનમાં નોબેલ મેળવનારા તેઓ પ્રથમ મહિલા બની ગયાં હતાં. 
મેરી ક્યૂરી
ઈરીન જૂલિયેટ ક્યૂરીએ માતાના રસ્તે ચાલીને રસાયણશાસ્ત્રમાં સંશોધન પ્રક્રિયા ચાલું રાખી હતી. જેના પરિણામે ૧૯૩૫માં તેના પતિ ફ્રેડરિક ક્યૂરી સાથે તેને પણ રસાયણશાસ્ત્રમાં નોબેલ પારિતોષિક એનાયત કરાયો હતો. મેરીની બીજી પુત્રી ઈવાએ માતા-પિતાને પગલે ચાલીને સાયન્ટિસ્ટ બનવાને બદલે જર્નલિસ્ટ બનવાનું પસંદ કર્યું હતું અને એટલે તે ક્યૂરી પરિવારની એક માત્ર સભ્ય હતી જેના નામે નોબેલ નોંધાયો ન હતો, પરંતુ તેના પતિ હેનરી રિચાર્ડસન લેબોઇસીએ ૧૯૬૫માં યુનિસેફના ડિરેક્ટર તરીકે જ્યારે શાંતિ માટેનો નોબેલ સ્વીકાર્યો ત્યારે અનોખો વિક્રમ સર્જાઈ ગયો હતો. એ સાથે જ ક્યૂરી પરિવારના પાંચ સભ્યોએ મળીને ચાર-ચાર નોબેલ મેડલ્સ પર કબજો મેળવીને નોબેલ પારિતોષિકના ઈતિહાસમાં કાયમ માટે અનેરી સિદ્ધિ હાંસિલ કરી લીધી હતી. આ વિક્રમ આજેય અતૂટ છે અને કદાચ વર્ષો સુધી અતૂટ રહે એવી શક્યતા નકારી શકાય નહીં!

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -