Posted by : Harsh Meswania Sunday 24 September 2017


 સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

AK-47ની શોધને ૭૦ વર્ષ થયા એ નિમિત્તે રશિયામાં તેના શોધક કલાશનિકોવનું સ્મારક ખુલ્લું મૂકાયું છે. કલાશનિકોવે કેવા સંજોગોમાં AK-47 બનાવી હતી?

ખેડૂત પરિવારમાં જન્મેલા મિખાઈલ કલાશનિકોવને બાળપણથી જ અલગ અલગ ચીજવસ્તુઓને ભેગી કરીને એના પ્રયોગો કરવા ગમતા હતા. કિશોરાવસ્થામાં મિખાઈલે ખેડૂત પિતાને ખેતીમાં મદદરૂપ બને એવા સાધનો બનાવી આપ્યા હતાં. વાવણી અને લણણી ઉપરાંત સિંચાઈમાં સરળતા રહે એવા મિખાઈલે બનાવેલા સાધનોની ડિમાન્ડ બીજા ખેડૂતો પણ કરવા લાગ્યા હતા.

પરિવારજનોએ ખેતીને બદલે આવા સાધનો બનાવવા તરફ ધ્યાન દેવાનું મિખાઈલને પ્રોત્સાહન આપવા માંડયું, પણ નવા સાધનો વિકસાવવા માટે ચીજવસ્તુઓ ખરીદવી પડે. એવું બજેટ તે વખતે મિખાઈલ પાસે ન હતું.

પરિવાર પાસે ય એવી રકમ ન હતી કે મિખાઈલની ધારણા પ્રમાણે બજેટ ફાળવી શકે. મિખાઈલે ટ્રેક્ટર રીપેર કરતા કારીગર પાસે થોડો વખત નોકરી કરી. થોડો સમય બીજી પણ નાની-મોટી નોકરીઓ કરીને બિઝનેસ માટે બજેટ એકઠું કરવા મથામણ આદરી. ખેતીમાં ઉપયોગી થાય તેવા સાધનો બનાવીને બિઝનેસ શરૂ કરવાનું મિખાઈલનું આયોજન સફળ થાય એ પહેલાં બીજા વિશ્વયુદ્ધનાં પડઘમ વાગ્યાં.

રશિયન આર્મીમાં યુવાનોની ભરતી થતી હતી. આર્થિક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મિખાઈલે પણ એમાં જોડાઈ જવાનું નક્કી કર્યું. બીજા વિશ્વયુદ્ધની અરાજકતામાં ખેતી માટે મિખાઈલે કરેલી નાની-મોટી શોધો ભૂલાઈ ગઈ. ખુદ મિખાઈલે પણ એ પ્રયોગો ભૂલીને યુદ્ધમાં ધ્યાન કેન્દ્રિત કર્યું.

૧૯૪૧માં જર્મની સામે બ્રયાન્સ્કમાં યુદ્ધ થયું એમાં મિખાઈલને ગંભીર ઈજા થઈ. કેટલાય મહિનાઓ સુધી મિખાઈલને હોસ્પિટલના બિછાને પડી રહેવું પડયું. એ દરમિયાન તેનો પરિચય અન્ય ઈજાગ્રસ્ત સૈનિકો સાથે ય થયો. વાતચીત દરમિયાન તમામ સૈનિકો એક જ ફરિયાદ કરતા હતા કે તેમની પાસે જોઈએ એવી બંદૂક નથી. નાઝીસૈન્ય પાસે જેવી બંદૂકો છે એવી બંદૂકો રશિયન સૈનિકો પાસે હોય તો ઈજાગ્રસ્ત સૈનિકોની સંખ્યા ઘટી જાય એમ છે એવું મિખાઈલને સમજાયું ત્યારથી તેના પ્રયોગશીલ દિમાગમાં ફરીથી નવું સંશોધન કરવાનું જોમ આવ્યું.

હોસ્પિટલના બિછાને જ મિખાઈલે નવી બંદૂક બનાવવાના પ્રયોગો હાથ ધર્યાં. એ વખતે રશિયામાં જે બંદૂકનો ઉપયોગ થતો હતો તેમાં બે ગોળી છૂટે એ વચ્ચે ઘણો સમય જતો હતો. મિખાઈલે પહેલાં તો એ સમયગાળો ઘટે એ માટે સંશોધનો કર્યા. એ પછી ગોળીની તીવ્રતા વધારવાના પ્રયોગો પણ કર્યા. ઠંડા કે ગરમ વાતાવરણમાં રાઈફલ એક સરખી અસરથી દુશ્મનોને વીંધી નાખે તે માટે ય મિખાઈલે કામ કર્યું. નવી બંદૂકની ડિઝાઈનનું ઘણું કામ થઈ ચૂક્યું હતું એ દરમિયાન ઈજા સારી થઈ જતાં હોસ્પિટલમાંથી તેને રજા આપવામાં આવી.

આર્મીની જવાબદારી તેની રાહ જોઈને બેઠી હતી. ફરીથી મિખાઈલને યુદ્ધભૂમિમાં જવાનું થયું, પણ એ વખતે એક ઉચ્ચ આર્મી અધિકારીને મિખાઈલની બંદૂકની ડિઝાઈન વિશે ખબર પડી. ઉચ્ચ આર્મી અધિકારીએ તેને યુદ્ધભૂમિને બદલે શસ્ત્ર ડિઝાઈનર તરીકે કામ કરવાનું સૂચવ્યું. આર્મી અધિકારીએ સમજાવ્યું કે દેશને સૈનિકો તો મળી જશે, પણ શસ્ત્ર ડિઝાઈનર નહીં મળે. એ કામ વધુ મહત્વનું છે એવો ઉચ્ચ અધિકારીએ પાનો ચડાવ્યો એ સાથે મિખાઈલ કલાશનિકોવની રશિયન સૈન્યમાં વેપન્સ ડિઝાઈનર તરીકેની નવી કારકિર્દીનો આરંભ થયો.
                                                                        ***
 મિલિટરી એન્જિનિયર તરીકે મિખાઈલે કામ શરૂ કર્યું એ સાથે નાના-મોટાં ઘણાં શસ્ત્રોની ડિઝાઈન તૈયાર કરી. બીજા વિશ્વયુદ્ધમાં જે સાધનોની તાત્કાલિક જરૃરિયાત હતી એવા સાધનો પ્રાયોરિટીથી તેમણે બનાવી આપ્યાં. સબમશીન ગનથી લઈને હળવા વજનની બંદૂકો એ વર્ષોમાં તેમણે ડિઝાઈન કરી.

દરમિયાન તેમના દિમાગમાં પેલી તીવ્ર અને ઘાતક બંદૂકની ડિઝાઈન તો આકાર પામતી જ હતી. પણ એ કામ તુરંત થઈ શકે એમ ન હતું. તેમણે સમય મળ્યે એમાં પ્રયોગો કર્યા. એવો જ એક પ્રયોગ વિશ્વયુદ્ધનું છેલ્લું વર્ષ ચાલતું હતું એ દરમિયાન ૧૯૪૫માં કર્યો. પરંતુ બંદૂકને મિલિટરી ટ્રાયલમાં સદંતર નિષ્ફળતા મળી. લશ્કરી અધિકારીઓએ મિખાઈલની ટીકા કરી અને આવા અશક્ય જણાતા પ્રોજેક્ટ ઉપર કામ કરવાને બદલે સૈન્ય માટે જરૃરી હોય એવા શસ્ત્રોની ડિઝાઈનમાં ધ્યાન આપવાની સલાહ આપી.

પણ લશ્કરી ટ્રાયલમાં નિષ્ફળ નીવડેલી બંદૂકથી મિખાઈલને બહુ જ અપેક્ષા હતી. મિખાઈલને હતું કે એ બંદૂક યુદ્ધભૂમિના સમીકરણો બદલી શકે તેમ છે. એ વિશ્વાસે મિખાઈલને ફરીથી પ્રયાસો કરવાનું બળ આપ્યું. યુદ્ધ પૂરુ થઈ ચૂક્યું હતું, પણ અમેરિકા-રશિયા વચ્ચે કોલ્ડવોરની શરૂઆત થઈ હતી. એ હિસાબે રશિયાએ શસ્ત્રોના પ્રયોગોમાં ઓટ ન આવવા દીધી. નવા નવા લશ્કરી પ્રયોગોને પૂરતું પ્રોત્સાહન આપવાની નીતિ અપનાવી.

એ નીતિના ભાગરૂપે મિખાઈલને મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટ આગળ વધારવાની પરવાનગી મળી. નિષ્ફળતા પછી બમણાં જોશથી સફળતા માટે પ્રયાસો કરી રહેલા મિખાઈલને ૧૯૪૭માં ધારણા પ્રમાણેની બંદૂક વિકસાવવામાં સફળતા મળી હતી. ઝડપી, તીવ્ર અને ઘાતક એ બંદૂકને નામ મળ્યું : AK-47.
                                                                           
                                                                            ***
 ૧૯૪૨થી શરૂ થયેલા પ્રયોગોને આખરે ૧૯૪૭માં સફળતા મળી હતી. ૧૯૪૭માં મિખાઈલ કલાશનિકોવે AK-47 બંદૂક બનાવી તે ઓટોમેટિક હતી. ઓટોમેટિક માટે રશિયામાં 'ઓવ્ટોમેટ' શબ્દ વપરાય છે. 'ઓવ્ટોમેટ'નો A, ડિઝાઈનર મિખાઈલની સરનેમ કલાશનિકોવનો K અને શોધ જે વર્ષે થઈ હતી એ ૧૯૪૭માંથી 47 લઈને બંદૂકને AK-47 નામ આપવામાં આવ્યું.

એ વખતે દુનિયામાં વપરાતી બધી જ બંદૂકો કરતા AK-47 આધુનિક હતી. ૧૯૪૮માં લશ્કરી પ્રયોગો સફળ થયા પછી રશિયાએ ૧૯૪૯માં આ બંદૂકને સત્તાવાર રીતે લશ્કરમાં સ્થાન આપ્યું.

AK-47 વિકસાવવામાં મિખાઈલને પાંચ વર્ષ લાગ્યાં હતાં, નોકરીના ભાગરૂપે આ રાઈફલ તેમણે ડિઝાઈન કરી હતી એટલે વિશ્વમાં બંદૂક સફળ થઈ પછી ય તેમને કશું જ આર્થિક વળતર મળ્યું ન હતું. વળી, આ રાઈફલના પ્રોડક્ટ હકો મિખાઈલના કે રશિયાના નામે નોંધાયા ન હતા એટલે ડિઝાઈનમાં ફેરફાર કરીને આ જ બંદૂક ઘણાં દેશોમાં બનવા લાગી હતી.

કોલ્ડવોર પછી અમેરિકામાં AK-47 બહુ જ લોકપ્રિય નીવડી. અત્યાર સુધીમાં ૧૦ કરોડ AK-47નું ઉત્પાદન થયાનો અંદાજ બાંધવામાં આવ્યો છે. ગિનેસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં AK-47ને સૌથી વધુ ઉત્પાદિત બંદૂકની કેટેગરીમાં સ્થાન મળ્યું છે.

વિશ્વનાં ૧૦૬ જેટલાં દેશોમાં AK-47નો લશ્કરી ઉપયોગ થાય છે. સોમાલિયાના ચાંચિયાથી લઈને આતંકવાદીઓ સુધી પણ AK-47 પહોંચી ચૂકી છે. ૩૦ દેશો આ બંદૂકનું ઉત્પાદન કરે છે. સૌથી મોટા ઉત્પાદક દેશો રશિયા અને ચીન છે. આજે દુનિયામાં વર્ષે એકાદ લાખ લોકો આ બંદૂકના કારણે મૃત્યુ પામતા હોવાનું કહેવાય છે. તેને પરમાણુ બોમ્બ કરતા પણ ઘાતકી હથિયાર માનવામાં આવે છે.

રશિયન સૈનિકો દુશ્મનોની તીવ્ર ગોળીના જવાબરૂપે બચાવમાં તીવ્ર ગોળીઓ છોડી શકે એ માટે બનેલી બંદૂક પછીથી બર્બરતાનું પ્રતીક બની ગઈ છે. આજે વિશ્વમાં પ્રતિ ૬૦મા વ્યક્તિ પાસે એક AK-47 ઉપલબ્ધ છે. તેના વિવિધ ઉત્પાદનો ૧૦ ડોલરથી લઈને ૨૦૦ ડોલર સુધીમાં મળી જાય છે. એટલે કે ૭૦૦ રૂપિયાથી માંડીને ૧૨ હજાર રૂપિયા સુધીમાં આ રાઈફલ ઉપલબ્ધ બને છે.
વિશ્વની સૌથી લોકપ્રિય, સૌથી ઘાતક અને સૌથી વધુ જથ્થામાં બનતી બંદૂક AK-47 છે, તે જાણીને શોધક મિખાઈલની છેલ્લાં વર્ષોમાં કેવી પ્રતિક્રિયા હતી?
                                                                   ***
રશિયામાં આ રાઈફલના ૭૦ વર્ષ થયા તેની પૂરજોશમાં ઉજવણી થઈ હતી. રશિયન પ્રમુખ પુતિને આ રાઈફલને રશિયાની કલ્ચરલ બ્રાન્ડ ગણાવી હતી. ગયા સપ્તાહે સંશોધક મિખાઈલ કલાશનિકોવના સન્માનમાં એક સ્મારક ખુલ્લું મૂકાયું હતું. મિખાઈલની ૩૦ ફૂટ ઊંચી પ્રતિમાનું મોસ્કોમાં અનાવરણ થયું હતું. AK-47 હાથમાં રાખીને મિખાઈલનું પૂતળું મોસ્કોની બજારમાં ભલે ખડું કરાયું હોય, પણ આ રાઈફલની શોધ બદલ મિખાઈલને છેલ્લાં દિવસોમાં પારાવાર અફસોસ હતો.

આર્મીમેન મિખાઈલ સંવેદનશીલ હૃદય ધરાવતા હતા. બાળપણમાં પિતાને ખેતીમાં મદદ કરતા હતા ત્યારે મિખાઈલ કવિ બનવાનું સપનું જોતા હતા. કિશોરાવસ્થામાં શરૂ થયેલી કવિતાઓના સર્જનની સફર જીવનના અંતિમ તબક્કા સુધી ચાલું રહી હતી. યુદ્ધ વખતે, શસ્ત્રોની ડિઝાઈન વખતે અને નિવૃત્ત થયા પછી ય તેમણે કવિતા સાથેનો નાતો અકબંધ રાખ્યો હતો.

એમની સર્જક તરીકેની યાત્રા દરમિયાન તેમના ૬ પુસ્તકો પ્રસિદ્ધ થયા હતા. જેમાં કવિતાઓ, નિબંધો, લેખો અને જીવનના અનુભવોનો સમાવેશ થતો હતો. છેલ્લાં શ્વાસ સુધી તેમણે કવિતાનું સર્જન કર્યું હતું. તેમની સંવેદનશીલ કવિતાઓ વાંચીને ભાગ્યે જ કોઈ એવું માની શકતા કે AK-47 જેવી ઘાતકી રાઈફલના સર્જક આવાં ઉર્મી કાવ્યોના પણ સર્જક છે!

૨૦૦૭માં પહેલી વખત બચાવ માટે બનેલી બંદૂકને બર્બરતાનું પ્રતીક બનતી જોઈને મિખાઈલે પોતાની શોધ માટે દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે સખેદ કહ્યું હતું કે મારી શોધથી નિર્દોષ લોકોના મૃત્યુ થતાં જોઈને મારી ઊંઘ ઉડી જાય છે.

૨૦૧૩માં ૯૪ વર્ષની તેમનું નિધન થયું તેના થોડા સમય પહેલાં જાણે પોતાની શોધ બદલ ઈશ્વરની માફી માગતા હોય એમ તેમણે ચર્ચને એક પત્ર લખ્યો હતો : 'હું ૯૩ વર્ષનો ખેડૂતપુત્ર મિખાઈલ એ માટે ખુબ દુ:ખી છું કે મારી શોધના કારણે લોકો પળવારમાં મોતને ભેટે છે. રહી રહીને મને સવાલ થાય છે કે શું હું એ લાખો લોકોના મૃત્યુ માટે જવાબદાર છું? મારી શોધના કારણે જે મૃત્યુ થયા છે અને હું એના માટે જો જવાબદાર હોઈશ તો ઈશ્વર મને માફ કરશે?'

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -