Posted by : Harsh Meswania Sunday 17 September 2017


રૂરલ ઈન્ડિયામાં કુલ દવાના વેંચાણમાંથી ૨૫ ટકા નકલી દવાઓ વેંચાય છે

નકલી દવાઓના વેંચાણમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે. વિકસિત અમેરિકા નકલી દવાઓના વેંચાણમાં પહેલું છે અને ચીન બીજા ક્રમે છે.


માણસ બીમાર પડે એટલે સાજા થવાની આશા લઈને ડોકટર પાસે જાય કે હોસ્પિટલે પહોંચે. ડોકટર જે કહે એ તમામ તપાસ પણ કરાવે. દર્દી માટે ડોક્ટર ભગવાન હોય છે અને એણે સૂચવેલી દવા અમૃતતુલ્ય હોય છે.

હોસ્પિટલ, દવા, ઈન્જેકશન, ડોક્ટર્સ વગેરેનો ખર્ચ એ કરી શકે તેમ ન હોય તો પણ એ ઉધાર લઇને કે ઘરવખરી વેચીને એ ખર્ચ કરે છે. શાકભાજી કે કપડામાં ભાવતાલ નક્કી કરતો માણસ દવાખાના સામે લાચાર થઈ જાય છે. એક રૃપિયો ઓછો કરો એવું એ કહી શકતો નથી. એને ભરોસો હોય છે કે ડોક્ટરે આપેલી દવા એને તુરંત સાજો કરી દેશે.

પરંતુ એ દર્દીને એ ખબર નથી હોતી કે જેને એ અમૃત સમજીને જે દવાઓ છે એ ઝેર હોય શકે છે. સાજા થવા માટે એ જે દવા લેતો હોય છે એ નકલી દવા હોય છે એની એ બિચારાને ખબર જ નથી હોતી. એટલે એ દવા લેવાથી રોગમુક્ત થવાના બદલે વધુ ને વધુ રોગગ્રસ્ત થતો જાય છે.

ધ એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ઓફ ઈન્ડિયાના એક અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે ભારતમાં મળતી ઘણી દવાઓ નકલી હોય છે. સરકારી નિયમોમાં ઘણાં છીંડા હોવાથી આ ધંધો કરનારા બેરોકટોક દવાઓ વેંચે છે અને દર્દીઓ સાથે ચેંડાં કરે છે. આ વર્ષે આવેલા અહેવાલમાં કહેવાયું હતું કે ભારતના માર્કેટમાં એક યા બીજી રીતે ૨૫ ટકા દવાઓ નકલી કંપનીની ઘૂસાડવામાં આવે છે.

બે-ત્રણ વર્ષ પહેલાં અમેરિકામાં ફાર્માસ્યુટીકલ સિક્યોરીટી ઈન્સ્ટીટયુટ નામની એક સંસ્થાએ વિશ્વભરમાં સર્વે કરાવ્યો હતો. એ વખતે ય નકલી દવાઓના વેપારમાં ભારતનો નંબર ત્રીજો હતો. પહેલા નંબરે અમેરિકા અને બીજા નંબરે ચીન હતું. એ બન્ને દેશોમાં ગુનાખોરી સામેના કાયદાઓ ઘણા કડક હોવા છતાં નકલી દવાઓના વેપારને એ અંકુશમાં નથી લાવી શકતા!

એ સર્વે પ્રમાણે, અમેરિકામાં નકલી દવાઓ ૩૧૯ પ્રકારની, ચીનમાં ૩૦૯, ભારતમાં ૨૩૯ અને બ્રિટનમાં ૧૫૭ પ્રકારની છે. એ કંપનએ અહેવાલમાં કહ્યું હતું કે ભારતમાં ૯ ટકા નકલી દવાઓ વેંચાય છે, પણ તાજેતરના અહેવાલમાં એ આંકડો વધીને ૨૫ ટકા કહેવાયો છે. એટલે કે લગભગ ૧૬ ટકાનો ગંભીર કહેવાય એવો વધારો થયો છે.

તાજેતરના અહેવાલમાં દાવો થયો છે એ પ્રમાણે દેશમાં ૧૭ અબજ ડોલરનું દવાઓનું માર્કેટ છે. એમાંથી ૪.૨૫ અબજ ડોલર જેટલું માતબર માર્કેટ નકલી દવાઓનું છે! રોજિંદા વપરાશમાં આવતી હોય એવી દવાઓમાં નકલનું પ્રમાણ સવિશેષ છે. તાવ-શરદી-માથું-ઝાડા-ઉલટીમાં મેડિકલમાંથી જે દવાઓ આપણે લેતા હોઈએ એ શક્ય છે કે નકલી હોય!

ઘણી વખત તો મેડિકલ સ્ટોરધારકને પણ ખબર નથી હોતી કે એ દર્દીને નકલી દવા આપે છે. છેક મેડિકલ સ્ટોર સુધી નકલી દવા પહોંચી જાય એવું મજબૂત ષડયંત્ર રચાઈ ગયું છે. આ દવાઓ આપણી સરહદેથી ઘૂસાડવામાં આવે છે. ખાસ તો કાશ્મીર અને પંજાબની સરહદે જે છીંડા છે એનો ઉપયોગ કરીને ડ્રગ માફિયાઓ નકલી દવાઓને ભારતમાં ઘૂસાડે છે.

ભારતમાં નકલી દવાઓના કારણે કેટલા લોકોને મોત થાય છે એ અંગે તો ખાસ અભ્યાસો થતાં નથી, પણ દુનિયામાં નકલી દવાઓના કારણે દર વર્ષે લગભગ ૧૦,૦૦,૦૦૦ માણસોના મોત થાય છે. જો નકલી દવાના કારણે દર્દી બચી જાય છે તો શરીરમાં લાંબાગાળે બીજી તકલીફો થવા લાગે છે. નકલી દવાના આ વમળમાંથી દર્દી કેમ બચી શકે? જવાબ કદાચ કોઈ પાસે નથી!

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -