Posted by : Harsh Meswania Sunday 17 February 2019


સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

ફેબ્રુઆરી-2019માં પાકિસ્તાનની ટીમ ભારતમાં ચેનાબ નદી ઉપરના હાઈડ્રોપાવર પ્રોજેક્ટની સમીક્ષા કરી ગઈ. પાકિસ્તાનમાં પાણીની અછત સર્જાઈ છે, એટલે ભારત પાસેથી પાણી મેળવવા પાકિસ્તાન સરકાર બેબાકળી બની છે

૧૯૪૭માં અખંડ ભારતના બે ભાગ પડયા કે તરત જ બંને દેશોના એન્જિનિયરો વચ્ચે સિંધુ નદીના પાણી મુદ્દે કરાર થયા હતા. એ કરાર જોકે, ૩૧ માર્ચ, ૧૯૪૮ સુધી જ લાગુ હતો, પરંતુ એ કરાર પ્રમાણે ભારતે પાકિસ્તાનને મળતું પાણી અટકાવવાનું ન હતું.

ટૂંકા ગાળાનો કરાર પૂરો થયો પછી ભારતે પાકિસ્તાનને મળતો પાણીનો જથ્થો થોડો વખત અટકાવ્યો કે તરત પાકિસ્તાને વૈશ્વિક સ્તરે રજૂઆતો શરૂ કરી. ઘણી વાટાઘાટો પછી આખરે ભારત-પાકિસ્તાન વચ્ચે ૧૯૬૦માં ઐતિહાસિક સિંધુ જળ સમજૂતી થઈ હતી.
                                                                        ***
૧૯ સપ્ટેમ્બર, ૧૯૬૦માં કરાચીમાં ભારત-પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સમજૂતી થઈ, તે પ્રમાણે સિંધુ નદીની પાંચ મુખ્ય ઉપનદીઓ અને એક સિંધુ નદી - એમ છ નદીઓના પાણીની વહેંચણી નક્કી થઈ. કરાર પ્રમાણે ત્રણ પૂર્વી નદીઓ - વ્યાસ, રાવી અને સતલુજનું નિયંત્રણ ભારતને મળ્યું અને ત્રણ પશ્વિમી નદીઓ - સિંધુ, ચેનાબ, ઝેલમનું નિયંત્રણ પાકિસ્તાનને અપાયું.

એ કરારમાં એવી જોગવાઈ હતી કે પાકિસ્તાનને જે ત્રણ નદીનું પાણી મળે છે તેમાંથી ભારત વીજળી, સિંચાઈ માટે પાણીનો ઉપયોગ કરી શકે છે, પણ એનો જથ્થો ૨૦ ટકાથી વધુ ન થવો જોઈએ. બીજાં શબ્દોમાં કહીએ તો ભારતમાંથી વહેતી આ નદીઓમાંથી ભારતે ૮૦ ટકા જથ્થો પાકિસ્તાન માટે અનામત છોડી દેવાનો હતો. સગા બે ભાઈઓ એક ઘરમાંથી જુદા થાય અને મોટોભાઈ ઉદારતાથી નાનાભાઈ માટે જતું કરે એવું ભારતે પણ તે વખતે કર્યું હતું. ભારત પોતાના હિસ્સામાં આવતું ૨૦ ટકા જળ વાપરવાને બદલે મોટું મન રાખીને જતું કરે છે.

પાકિસ્તાનમાં રહેતા લોકો પણ આખરે તો અખંડ ભારતનો હિસ્સો હતા અને જો ભારત પાણીની વહેંચણીમાં આકરા નિયમો મૂકે તો એ નાગરિકોને વેઠવાનું આવે એમ વિચારીને ભારતે થોડું નમતું જોખ્યું હતું. ભારત-પાકિસ્તાનના સંબંધોમાં પછી તો કેટલાય ચડાવ-ઉતાર આવ્યા હતા, પણ ભારતે એકેય વખત સિંધુ જળ સમજૂતી તોડી ન હતી.

બંને દેશોના અધિકારીઓની એક કાયમી સમિતિ બની હતી અને એ સમિતિ શક્ય હોય ત્યાં સુધી નેતાઓની દખલગીરી વગર બંને પક્ષે સમાધાનકારી વલણ અપનાવીને કરારનું પાલન કરે છે. સિંધુ જળ સમિતિની અત્યાર સુધીમાં ૧૧૯ બેઠકો મળી ચૂકી છે. કરારની જોગવાઈ પ્રમાણે દર પાંચ વર્ષે પાકિસ્તાનનું પ્રતિનિધિ મંડળ ભારત આવી શકે છે અને સમીક્ષા કરી શકે છે. બંને પક્ષે કંઈ કચવાટ હોય તો આ સમિતિ જ શક્ય હોય ત્યાં સુધી તેનું સમાધાન લઈ આવે છે.

૧૯૬૫, ૧૯૭૧, ૧૯૯૯ના યુદ્ધ વખતે ય ભારતે સિંધુ નદીનું પાણી ન અટકાવ્યું. એ પછી તો સરહદે પાકિસ્તાને સતત અવળચંડાઈ શરૂ કરી તો ય ભારતે સિંધુ જળકરાર ન તોડયો. પાકિસ્તાને સાવ નીચલી પાયરીએ બેસીને ભારત સામે લડવા આતંકવાદનો સહારો લીધો તો ય ભારતે પાણી અટકાવીને પાકિસ્તાનના નાગરિકોને પરેશાન કરવાનું વલણ ન બતાવ્યું.

પાકિસ્તાનના અવળચંડા-ભારતદ્વેષી નેતાઓના મોઢા સામે જોયું હોત તો તો ભારતે ક્યારના કરારો તોડી નાખ્યા હોત. પણ ભારતે હંમેશા માનવતાવાદી વલણ અપનાવીને પાકિસ્તાનના એ કરોડો નાગરિકોના દયામણા મોઢા સામે જોયું હતું કે જેને ખરેખર પાણીની વિકટ તંગી વેઠવાની આવતી હતી, પરંતુ હવે વારંવાર સરહદે યુદ્ધવિરામનો ભંગ કરીને, આતંકવાદીઓને સમર્થન આપીને, કાશ્મીરના નાગરિકોમાં ભારત વિરોધી ઝેર ઘોળીને અને કાશ્મીર બાબતે વૈશ્વિક સ્તરે જૂઠાણાં ચલાવીને ભારતને બદનામ કરવાનું ષડયંત્ર રચતા પાકિસ્તાને સીધું દૌર કરવા માટે ભારતે પાણી મુદ્દે પાણી બતાવવાની નીતિ શરૂ કરી છે.

ભારતે અવળચંડા પાકિસ્તાની નેતાઓને ઘૂંટણિયે પાડવાનો જે વ્યૂહ અપનાવ્યો છે, તે સફળ થાય તો ઘણી સમસ્યા ઉકેલી જાય એવી શક્યતા નકારી શકાય નહીં.
                                                                     ***
ભારતમાં એક મત એવો છે કે સિંધુ જળ કરારના કારણે ભારતને કરોડોનું નુકસાન થાય છે. જમ્મુ-કાશ્મીર સરકાર તો સિંધુ કરારની ફેરવિચારણા માટે વિધાનસભામાં પ્રસ્તાવ પણ મૂક્યો હતો. કેટલાક નિષ્ણાતો તો એવું કહી ચૂક્યા છે કે ભારત-પાકિસ્તાન વચ્ચેનો સિંધુજળ કરાર કાશ્મીરમાં ઘણાં ખરા અંશે રોષ જન્માવે છે.

ભારતે શાંતિની અપેક્ષાએ પાકિસ્તાનના નાગરિકોના હિતમાં કરારમાં હસ્તાક્ષર કર્યા હતા, પણ એ શાંતિ ક્યારેય આવી નહી. જો શાંતિ આવવાની જ નથી તો પછી શાંતિની અપેક્ષાએ કરાયેલા એ કરારનો ય કોઈ અર્થ નથી એટલે ભારતે કરારનું પાલન કરવું ન જોઈએ એવી ય લાગણી હવે પ્રબળ બનતી જાય છે.

ભારતે એ માટે એક મહત્વનું પગલું ભરીને ૨૦૦૭માં ઝેલમ નદી ઉપર કિશનગંગા હાઈડ્રોલિક પ્લાન્ટ યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી. ૨૦૧૮માં વડાપ્રધાને કિશનગંગા વિદ્યુત પરિયોજનાનું ઉદ્ધાટન કર્યું તે સાથે જ પાકિસ્તાન સરકાર હરકતમાં આવી હતી.

૨૦૧૬માં આતંકવાદીઓએ કાશ્મીરમાં સૈનિકોના કેમ્પ ઉપર હુમલો કર્યો તે પછી ભારતે પાણીનો મુદ્દો વ્યૂહાત્મક દૃષ્ટિએ વધુ આક્રમક રીતે ઉઠાવ્યો હતો. ભારતે સિંધુ, ચેનાબ, ઝેલમમાંથી પાણીનો વપરાશ વધારવાનો સંકેત આપ્યો તે સાથે જ પાકિસ્તાન તુરંત વર્લ્ડ બેંકમાં ફરિયાદ લઈને પહોંચી ગયું હતું.

૧૯૬૦માં વર્લ્ડ બેંકે જ બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરી હતી. વર્લ્ડ બેંકે ફરીથી મધ્યસ્થી કરીને લંડનમાં બંને દેશોના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. ભારત નિયમો તોડીને પાકિસ્તાનને પરેશાન કરે છે તે વાત વર્લ્ડ બેંકને ગળે ઉતરી નહીં. પાકિસ્તાન ખુદ પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં મોટા ડેમ બાંધે છે અને ભારતના પ્રોજેક્ટમાં અવરોધ ઉભા કરે છે તે વાત જ હાસ્યાસ્પદ સાબિત થઈ હતી.

કિશનગંગા પ્રોજેક્ટનો મુદ્દો લઈને ય પાકિસ્તાનને વર્લ્ડ બેંકને ભારતની ફરિયાદ કરી હતી. એટલું જ નહીં, પાકિસ્તાને તો આંતરરાષ્ટ્રીય મધસ્થી કોર્ટમાં ભારતની વિરૂદ્ધ તૈયારી કરી હોવાનું વર્લ્ડ બેંકને કહ્યું તો વર્લ્ડ બેંકે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે 'કિશનગંગા પ્રોજેક્ટમાં પાકિસ્તાન બીજા બધા ધમપછાડા કરવાને બદલે ભારતની નિષ્ણાતોની નિયુક્તિની વાત માનીને આગળ વધે અને સુલેહનો માર્ગ કાઢે. સિંધુજળ મુદ્દે ભારત નિયમોનું પાલન કરતું આવ્યું છે એટલે પાકિસ્તાન ભારતની પાછળ ન પડી જાય'

૨૦૧૩માં જ્યારે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કિશનગંગા પ્રોજેક્ટનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે ભારતની તરફેણમાં ચૂકાદો આવ્યો હતો. ભારતે બહુ જ વ્યૂહાત્મક રીતે અને નિયમોને ધ્યાનમાં રાખીને પાકિસ્તાનને 'પાણી' બતાવવાનું શરૂ કર્યું છે. પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સ્તરે ધમપછાડા શરૂ કર્યા હતા, પણ પાકિસ્તાન માટે સ્થિતિ એટલી ખરાબ થઈ ચૂકી છે કે ખુદ પાકિસ્તાની અખબારોએ પાક. સરકારની ભારત સાથેની જળનીતિને ઢીલી-પોચી ગણાવીને આકરી ઝાટકણી કાઢી હતી. પાક. મીડિયાએ તો ત્યાં સુધી સલાહ આપી હતી કે ભારત સાથે નરમ વલણ બતાવીને પાકિસ્તાન સરકારે નાગરિકોના હિતમાં વિચારવું જોઈએ.

હજુ તો ઉનાળો શરૂ થયો નથી ત્યાં જ પાકિસ્તાનના ઘણાં ભાગોમાં પાણીની ગંભીર અછત સર્જાઈ છે. પાકિસ્તાનના આર્થિક પાટનગર ગણાતા કરાચી સહિત ઘણા શહેરોમાં ભારે પાણીની તંગી પ્રવર્તે છે. ભારતમાંથી જતું પાણી પાકિસ્તાનના નાગરિકો માટે કેટલું જરૂરી છે એનો અંદાજ પાકિસ્તાનની સરકારને છે જ, પણ અત્યાર સુધી નિયમોને નેવે મૂક્યા હોવાથી વૈશ્વિક સ્તરે ય ભારતની ફરિયાદથી કંઈ ઉપજે એમ નથી. વળી, ભારતની અત્યાર સુધીની બધી જ સરકારો નિયમો પાળતી આવી છે એટલે આ મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની ઉજળી શાખ છે.

ઉનાળા પહેલાં પાણીની વ્યવસ્થા કરવા પાકિસ્તાન સરકાર બેબાકળી બની છે. તેના ભાગરૂપે પાકિસ્તાનનું પ્રતિનિધિ મંડળ ભારત આવીને ફેબ્રુઆરીની શરૂઆતમાં જ ચેનાબ નદી ઉપરના હાઈડ્રો પાવર પ્રોજેક્ટ સહિતની બાબતોનું નિરીક્ષણ કરી ગયું. એમાં ભારતે કોઈ જ નિયમો તોડયા નથી એ જાણ્યા પછી સિંધુ જળ સમિતિના પાકિસ્તાનના કમિશનર સૈયદ અહમદ અલીએ પાકિસ્તાન સરકારને અહેવાલ આપ્યો કે નિરીક્ષણ સફળ રહ્યું અને એમાં કંઈ જ વાંધાજનક નથી.

બીજી તરફ ઈન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ સહિતની વૈશ્વિક સંસ્થાઓએ પાકિસ્તાનને અગાઉ જ ચેતવણી આપી દીધી છે કે જો પાકિસ્તાન એનું અક્કડ વલણ નહીં મૂકે તો ૨૦૨૫ સુધીમાં તેનો ઘણો ખરો ભાગ ઉનાળામાં પાણીના એક એક ટીપા માટે વલખા મારશે.
                                                                      ***
વેલ, પાકિસ્તાનના 'ખૂનીખેલ' સામે ભારતે છેલ્લાં દોઢેક દશકાથી 'પાણીદાર' તરિકો અપનાવ્યો છે. જો ભારત સરકાર આક્રમક રીતે આ વ્યૂહરચના ચાલુ રાખશે તો પાકિસ્તાન એમાં આબાદ રીતે સપડાય જાય તેવી ઉજળી શક્યતા છે. કાશ્મીરમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ રોકવામાં છેલ્લાં દાશકાઓમાં ભારતની તમામ સરકારો નિષ્ફળ ગઈ છે.

પાકિસ્તાનની સૈન્ય સતત શસ્ત્રવિરામ ભંગ કરે છે ત્યારે સરકાર રાબેતા મુજબનો જવાબ આપે છે : 'ઈંટનો જવાબ પથ્થરથી આપીશું'. પરંતુ આ સૂત્રાત્મક વાત સૂત્રમાંથી બહાર ઓછી નીકળે છે, એટલે સ્થિતિ ઠેરની ઠેર રહેતી આવી છે.
એ બધા વચ્ચે પાણીની આ વ્યૂહરચના પછી આપણે એટલી તો આશા રાખી શકીએ કે સરકાર ઈંટનો જવાબ પથ્થરથી ન આપે તો કંઈ નહીં, આપણા જવાનો-નાગરિકોના 'લોહી'નો જવાબ 'પાણી'થી આપશે તો ય એ એટલો જ અસરકારક સાબિત થશે!

૩૧૮૦ કિલોમીટર લાંબી સિંધુ નદી

સિંધુ નદી. એશિયાની આ સૌથી મોટી પૈકીની એક ગણાતી નદીના કાંઠે એક સમયે- આશરે આઠેક હજાર વર્ષ પૂર્વે જગતની પ્રાચીન એવી એક સિંધુ સંસ્કૃતિનો ઉદય થયો હતો. આજેય સિંધુ નદી અને તેમાંથી ઉપનદીઓના કાંઠે ૩૦ કરોડ લોકો રહે છે. ૧૧.૬૫ લાખ વર્ગ કિલોમીટરમાં તેનો ફેલાવો છે. ભારતમાં સિંધુ નદીનો ૩૯ ટકા હિસ્સો છે. નદીનો સૌથી વધુ ૪૭ ટકા વિસ્તાર પાકિસ્તાનમાં છે. ચીનમાં ૮ ટકા અને અફઘાનિસ્તાનમાં નદીનો ૬ ટકા જેટલો હિસ્સો છે.

માનસરોવર નજીક ઉદ્ગમ સ્થાન ધરાવતી આ નદીની કુલ લંબાઈ ૩૬૧૦ કિલોમીટર છે. સિંધુ નદીની મુખ્ય ઉપનદીઓ - વિતસ્તા (ઝેલમ), ચંદ્રભાગા (ચેનાબ), ઈરાવતી, વિપાસા, રાવી, વ્યાસ, સતલુજ - ભારતીય ઉપખંડમાં વહે છે. તે સિવાયની ઉપનદીઓ પણ ભારત-પાકિસ્તાન-તિબેટ-અફઘાનિસ્તાનમાંથી પસાર થાય છે. પાકિસ્તાનને સિંધુને નેશનલ રીવરનો દરજ્જો આપ્યો છે.

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -