Posted by : Harsh Meswania Sunday 3 February 2019

 
સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
 
પદ્મવિભૂષણથી સન્માનિત તીજનબાઈ સંગીત-નાટયથી મહાભારતના તમામ પાત્રોને જીવંત કરે છે. છત્તીસગઢની લોકગાયન શૈલી 'પાંડવાની'ને તીજનબાઈએ નવી ઊંચાઈ આપી છે

'ભઈયા હમ ઠહરે નિરચ્છર, અંગૂઠા છાપ. હિંદી બહુત ટૂટી-ફૂટી સી હૈ હમારી. આપ લોગ પઢે લીખે હો, કથા મે કૌનો ગલતી હોએ તો માફ કરના'
૬૨ વર્ષના તીજનબાઈ દર્શકો સમક્ષ પેશ થાય ત્યારે હાથ જોડીને આ શબ્દો અચૂક ઉચ્ચારે છે. આવડાં મોટા કલાકારની આ વિનમ્રતા દર્શકોને ય સ્પર્શી જાય છે. કપાળમાં મોટો લાલ ચાંદલો, લાંબો-ઘાટો સેંથો, કાંડાંમાં વિશિષ્ટ કંગન, બધી જ આંગળીઓમાં ચાંદીની મોટી વીંટી, કાનમાં મોટી બુટ્ટી, નાકમાં નાનકડી નથડી, ગળામાં ટૂંકી પણ મોટા પારાની માળા ને હાથમાં એકતારો લઈને જાજરમાન ઢબે તીજનબાઈ મંચ ઉપર હાજર થાય કે એક માહોલ આપોઆપ સર્જાઈ જાય.
છત્તીસગઢી ગાયનશૈલી પાંડવાની (છત્તીસગઢી પ્રમાણે પાંડવાની એટલે પાંડવોની કથા)માં તીજનબાઈ પોતાની વિશિષ્ટ નાટયશૈલી ઉમેરીને દર્શકોના દિલોદિમાગમાં મહાભારતના દૃશ્યો ખડાં કરે છે. મહાભારતના એક-એક પાત્રને ગાયન-રજૂઆતની જુદી ઢબે પેશ કરવાની તેમની રીત દર્શકોને જકડી રાખવા માટે પૂરતી છે.
૧૯૮૭માં તેમને પદ્મશ્રીથી નવાજાયા તે પછી તેમના ઉપર અવિરત પુરસ્કારોની વર્ષા થતી રહી છે. ૧૯૯૫માં સંગીત નાટય અકાદમી એવોર્ડ મળ્યો, ૨૦૦૩માં તેમનું સન્માન પદ્મભૂષણથી થયું અને હવે આ વર્ષે તેમને પદ્મવિભૂષણથી સન્માનિત કરાયાં. એક દિવસ પણ શાળાએ ન જનારા તીજનબાઈને બિલાસપુર યુનિવર્સિટીએ માનદ ડૉક્ટરેટથી ય નવાજ્યાં છે.
બહુ જ નાની વયે શરૂ થયેલી તેમની આ કલાયાત્રા ખૂબ જ સંઘર્ષપૂર્ણ હોવાની સાથે સાથે એટલી જ પ્રેરક છે.
                                                                        ***
છત્તીસગઢના ગિનિયારી નામના ગામમાં ૧૯૫૬માં તીજનબાઈનો જન્મ થયો હતો. એ વખતે મોટાભાગની છોકરીઓને શાળાએ મોકલાતી નહીં એટલે તેમના નસીબમાં ય શાળાએ જવાનું લખ્યું નહોતું. તીજનબાઈ કહે છે : 'હમારે જમાને મેં લડકિયોં કો સ્કૂલ જાના અચ્છા નહીં માનતે થે. પરિવાર કે લોગ સોચતે થે કી ઐસે ભી સસૂરાલ જા કે ખાના હી બનાના હૈ, લકડિયાઁ પઢ લીખ કે ક્યા કરેગી? તો હમ કભી સ્કૂલ નહીં ગયે'.
એ સમયના રિવાજ પ્રમાણે ૧૨ વર્ષની વયે તેમના લગ્ન કરી દેવાયાં, પરંતુ તેમનો ઘર-સંસાર ચાલ્યો નહીં. કારણ કે તીજનબાઈ પાંડવાની પ્રસ્તુતિ કરતા હતાં એ તેમના સાસરિયામાં કોઈને ગમ્યું નહીં. તેની સજારૂપે જ્ઞાાતિએ તેમને નાત બહાર મૂકી દીધાં.
તેમણે જાતે નાનકડી ઝૂંપડી બાંધી. આડોશી-પાડોશીના સહકારથી તેમનું ગાડું ગબડવા લાગ્યું. આ ઘટનાએ તેમને પાંડવાની પ્રસ્તુતિ માટે વધુ બળ આપ્યું. કહો કે મનમાં એક વિદ્રોહ જાગ્યો.
એ વિદ્રોહ પેશન બનીને બહાર નીકળ્યો અને તેમણે ૧૩ વર્ષની વયે પહેલી વખત જાહેરમાં, બાજુનાં ગામ ચંદ્રખુરીમાં પાંડવાની ગાયન-નાટય શૈલીનું પર્ફોર્મન્સ આપ્યું. 'પાંડવાની' કથા બે રીતે રજૂ થાય છે - કાપાલિક અને વેદમતી. તીજનબાઈ કાપાલિક શૈલીમાં પ્રસ્તુતિ કરે છે.
જ્ઞાાતિ બહાર મૂકાયા પછી તેમણે સમગ્ર ધ્યાન પોતાની કળાની ધાર કાઢવામાં આપ્યું. દિવસે દિવસે તેમની કળા વધુ નીખરતી ગઈ. એ ઘટના પછી તીજનબાઈ ક્યારેય સાસરિયે ન ગયાં. પછી તો જ્ઞાાતિના પંચની હાજરીમાં પતિથી છૂટા થયા અને ફરીથી લગ્ન પણ કર્યાં. આજે ગ્રાન્ડ ચિલ્ડ્રન્સના આ વહાલા દાદી દેશ-વિદેશમાં પાંડવાની રજૂઆત કરીને અસંખ્ય લોકોની દાદ મેળવે છે.
તીજનબાઈ આ કળા તેમના નાના બ્રજલાલજીને જોઈ-જોઈને શીખ્યા હતાં. બાળપણમાં તીજનબાઈ નાના પાસેથી આ કહાની સાંભળતા. પછી તો તેમને આ કથામાં બહુ રસ પડતો અને ધીમે ધીમે આખી કથા યાદ રહી ગઈ.
એકલા હોય ત્યારે કે બાળસખીઓ સામે તીજનબાઈ આ કથાની રજૂઆત કરતાં. તીજનબાઈનો અવાજ ખૂબ ઊંચો હોવાથી તેમને માઈકની ય જરૂર ન પડતી. ઊંચા-બુલંદ અવાજે જ્યારે તીજનબાઈ ભીમની પરાક્રમગાથા વર્ણવતાં ત્યારે દર્શકો એમાં રસ તરબોળ થઈ જતા.
આમ તેમણે ક્યાંય નાટય-સંગીતની તાલીમ લીધી ન હતી, પરંતુ તેમની જન્મજાત ટેલેન્ટને જોઈને ઉમેદસિંહ દેશમુખ જેવા નિષ્ણાતે તેમને ચહેરાના અભિનયની થોડીક આરંભિક ટેકનિક શીખવી હતી.
ત્રણ-ચાર વર્ષમાં તો તીજનબાઈ આસપાસના ગામડાંમાં જાણીતા કલાકાર થઈ ગયાં. કોઈ યુવતી પાંડવાની રજૂઆત કરતી હોય એ આસપાસના લોકો માટે નવી વાત હતી એટલે તેમના કાર્યક્રમમાં દર્શકો વધતા જતા હતા. બીજી તરફ તીજનબાઈની રજૂઆત, દૃશ્યો પ્રમાણે તેમના ચહેરાના બદલાતાં હાવભાવ, બુલંદ અવાજ, સંગીતની જન્મજાત સમજ જેવાં પાસાં દર્શકોમાં આકર્ષણ જગાવતાં હતાં. હાથમાં રહેલાં એકતારાનો ઉપયોગ પણ તીજનબાઈ અનોખી રીતે કરતાં.
જેમ કે, ભીમના પરાક્રમની કથા આવે ત્યારે એ એકતારાને ગદાનું પ્રતીક બનાવી દેતા. અર્જુનની કથા આવે ત્યારે એકતારો જ ધનૂષ હોય એવી સંજ્ઞાા કરતા. તો દ્રોપદીના વાળ ખેંચવાની કથા આવે ત્યારે એકતારાને દ્રોપદીના વાળ બનાવી દેતાં, તો ક્યારેક એકતારાને દુ:શાસનના હાથ બનાવી દેતાં. આ રીતે ચરિત્રચિત્રણ કરવાની તેમની રીત દર્શકોને એ વખતે ખૂબ પસંદ આવતી હતી.
તેમનો પહેલો મોટો બ્રેક મધ્યપ્રદેશના થીયેટરમાં મોટું નામ ગણાતા હબીબ તન્વીરે આપ્યો. હબીબ તન્વીરે તીજનબાઈનો એક કાર્યક્રમ જોયો અને તેમની રજૂઆતથી પ્રભાવિત થયાં. એ પછી હબીબ તન્વીરે તેમને મોટા મંચ ઉપર કળા રજૂ કરવાની તક આપી. એ તેમનાં જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો, તે પછી તીજનબાઈ સતત નવી ઊંચાઈ સર કરતા જ ગયાં.
૧૦-૧૨ વર્ષમાં તેમણે એવી ઓળખ મેળવી લીધી કે ૧૯૮૦ પછી વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ તેમને પાંડવાની રજૂઆત કરવાનું નિમંત્રણ આપ્યું. ૧૯૮૦-૯૦નો દશકો તેમની કળાના સન્માનનો દશકો બની રહ્યો. એ દશકામાં તેમને એક તરફ વિવિધ એવોર્ડ્સ મળતા હતા, તો બીજી તરફ દુનિયાભરમાં પોતાની કળા રજૂ કરવાની તક મળતી હતી.
છત્તીસગઢના નાનકડાં ગામડાંમાં ઉછરેલી, નાત બહાર મૂકાયેલી ૨૭-૨૮ વર્ષની યુવતીએ છત્તીસગઢની કળાને બ્રિટન, ફ્રાન્સ, સ્વિઝર્લેન્ડ, જર્મની, તૂર્કી, ટયૂનિશિયા, રોમાનિયા જેવા કેટલાંય દેશોમાં ન કેવળ પહોંચાડી, પણ અનેરું સન્માન અપાવ્યું.
જવાહરલાલ નહેરુના પુસ્તક આધારિત શ્યામ બેનેગલ દિગ્દર્શિત ટેલિવિઝન સીરિઝ ભારત એક ખોજમાં ય તેમને કળા રજૂ કરવાની તક મળી હતી.
તેમની દેખરેખ હેઠળ હવે તો પાંડવાની ગાયન-નાટય શૈલીના આ મહાભારતને નવાં કલાકારો મળ્યા છે. તીજનબાઈએ અથાક પ્રયાસો કરીને નવી જનરેશનને ય તૈયાર કરી છે, જે તીજનબાઈની પદ્ધતિ પ્રમાણે દર્શકો સમક્ષ ભારતવર્ષની આ ચિરંજીવી કથા રજૂ કરે છે.
                                                                        ***
આટ-આટલા સન્માનો પછી ય તીજનબાઈ પોતાને દેહાતી મહિલા ગણાવીને કહે છે : મંચ ઉપર હોઉં ત્યાં સુધી હું એક કલાકાર છું, પણ મંચથી નીચે ઉતર્યા પછી મને સેલિબ્રિટી કલાકાર હોવાનો ભાર રાખવો ગમતો નથી. મને બાળકો-વડીલો સૌને મળવું ગમે છે.
હું આજેય ગામડાંની મહિલા જ છું અને હંમેશા એવી જ રહેવા માગુ છું. વાસી ભાત અને ટમેટાની ચટણી જેવું સાદું ભોજન ખાઉં ત્યારે સંતોષ થાય છે. ઊંચ-નીચ જેવા જ્ઞાાતિના બંધનો દૂર કરવા જોઈએ. દીકરીઓને પૂરતું શિક્ષણ મળવું જોઈએ.
તેમની વિનમ્રતા અને તેમની સ્પષ્ટવક્તા તરીકેની છબી દર્શકોમાં હંમેશા પ્રશંસા પામે છે. ઘણી વખત મંચ ઉપરથી પોતાનો પરિચય આપતા તીજનબાઈ કહે છે : 'હમને ચોરી ભી કી હૈ બચપન મે. ખાને કે લીયે. દરવાજા ખીંચકર બચપન મે ખાના ખા લીયા કરતે થે, ફીર ભાઈ-બહેનો કે બીચ ભૂખા બન કે બૈઠે રહેતે થે. યે ચોરી થી હમારી. હમ મેં ભી હર કમી હે, લેકિન હા, મહાભારત કી કથા મે કોઈ કમી નહીં હે.'
૧૩ વર્ષની વયે જ્ઞાાતિમાંથી જાકારો મેળવનારી કિશોરીએ જગતભરમાં આવકાર મેળવ્યો. જ્ઞાાતિની જડ પરંપરા સામે સંઘર્ષ કરીને અસંખ્ય યુવતીઓને પ્રેરણા પૂરી પાડી છે. એક પ્રદેશની કળાને વિશ્વના તખ્તા ઉપર રજૂ કરીને અનોખું સન્માન અપાવનારા દેશમાં બહુ ઓછા કલાકારો છે અને એમાંનું એક નામ છે - તીજનબાઈ.
                                                                          ***
 
'પાંડવાની'નો હીરો ભીમ છે
છત્તીસગઢની આ લોકગાયન શૈલી પાંડવાનીમાં કથા તો મહાભારતની જ છે, પણ તેમાં હીરો ભીમ છે. કથા ભીમની આસપાસ ફરે છે અને વળી, ભીમના મનોરંજક વર્ણનો દર્શકોને બહુ પસંદ પડે છે. આ શૈલીની મહાભારતની કથા એમ તો મધ્યપ્રદેશ, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ય ભજવાય છે. આદિવાસી વિસ્તારોમાં પાંડવાનીની કથા સદીઓથી ભજવાતી આવે છે.
કહેવાય છે કે ભીમના પરાક્રમને વર્ણવતી આ ગાયન-રજૂઆત શૈલી છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઓડિશા જેવા વિસ્તારોમાં મહાભારતકાળથી જ પ્રચલિત છે. આદિવાસી કલાકારો પેઢી દર પેઢી આ કળાને જીવંત રાખતા હતા. હવે બહુ ઓછા કલાકારો આ પદ્ધતિથી મહાભારતની કથા મંચ ઉપરથી રજૂ કરે છે.
પાંડવાની ગીત-નાટય શૈલી પુરુષો દ્વારા જ મંચ ઉપરથી રજૂ કરવાની પરંપરા હતી, મહિલાઓએ જો આ કથા રજૂ કરવાની હોય તો બેસીને ગાયનથી રજૂ કરવાની થતી. તેને પાંડવાની સંગીત-નાટય રજૂઆતમાં વેદમતી શૈલીની રજૂઆત કહેવાય છે. પણ તીજનબાઈએ આમાં નવો કેડો કંડાર્યો અને પુરુષો દ્વારા રજૂ થતી કાપાલિક શૈલી અપનાવી.
એ રીતે ગીત-નાટય શૈલી પાંડવાનીમાં કાપાલિક પદ્ધતિથી મહાભારત રજૂ કરનારાં તીજનબાઈ પ્રથમ મહિલા કલાકાર બન્યાં. પાંડવાનીમાં સ્હેજ નૃત્ય ઢબની રજૂઆતના થોડાંક મૌલિક ઉમેરણો સાથે તીજનબાઈએ તેમાં વધુ તાજગીનો સંચાર કર્યો છે.
તીજનબાઈથી પ્રેરિત થઈને ૧૯૮૦ પછી અન્ય મહિલા કલાકારો પણ પાંડવાનીની કથા મંચ ઉપર જીવંત કરતી થઈ છે. એમાં દર્શકોને ધ્યાનમાં રાખીને કલાકારોએ નૃત્ય જેવાં મનોરંજક પાસાને ય ઉમેર્યા છે. એકતારા કે તાનપુરાની મદદથી આ ગીત-નાટય શૈલી રજૂ થાય છે.

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -