Posted by : Harsh Meswania Sunday 23 June 2019


50 વર્ષ પછી યોગ ટીચર બનેલાં વી. નનમ્મલ આજે 100 વર્ષે ય દરરોજ 100 કરતાં વધુ વિદ્યાર્થીઓને યોગાસનો કરાવે છે
સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

યોગ દિવસની ઉજવણી હજુ તાજી છે ત્યારે યાદ કરીએ 100 વર્ષના પડાવે પણ અસંખ્ય લોકોને યોગનું પ્રશિક્ષણ આપતાં બે વ્યક્તિત્વો - તાઓ પોર્ચન અને વી. નનમ્મલને.

દેશ-વિદેશમાં યોગનું મહત્વ વધતું જાય છે. બદલાતી જીવનશૈલી વચ્ચે યોગથી લોકોને નિરાંત મળી રહી છે. ૨૦મી સદીની શરૂઆતમાં ભારતની બહાર પહોંચેલા યોગે આજે અમેરિકા-યુરોપમાં વાવટા ફરકાવી દીધા છે. યોગનું પ્રયોજન માત્ર સાધના માટે યોગીઓ કરતા હતા, પણ તેને જીવનશૈલી સાથે જોડીને ૨૦મી સદીની શરૂઆતમાં વિવિધ આસનો ભારતીય યોગીઓએ વિકસાવ્યાં.
તે પહેલાં સામાન્ય લોકો યોગાસનો કરતા હોય એવું નહોતું બનતું. ૨૦મી સદીના શરૂઆતી દશકાઓમાં રોગની સારવાર માટે યોગાસનો પ્રયોજાવા લાગ્યાં. કાળક્રમે પંડિતોની પોથીઓ પૂરતી સીમિત બની ગયેલી યોગવિદ્યાને ૧૯મી સદીના અંતે અને ૨૦મી સદીના આરંભે ભારતીય યોગીઓએ લોકોપયોગી બનાવી.
તિરૂમલાઈ કૃષ્ણમાચાર્ય, સ્વામી શિવાનંદ, સ્વામી પ્રભાવનંદ જેવા યોગીઓએ પરંપરાગત યોગાસનોમાં ફેરફાર કરીને લોકોપયોગી નવાં આસનો વિકસાવ્યાં. ટી. કૃષ્ણમાચાર્યની પાઠશાળામાંથી તો બી.કે.એસ. આયંગર, ઈન્દ્રા દેવી, પટ્ટાભી જોઈસ, એ.જી. મોહન જેવા વિશ્વવિખ્યાત યોગગુરુઓ વિશ્વને મળ્યા.
મહર્ષિ મહેશ યોગી સહિતના ભારતના યોગગુરુઓએ વિશ્વમાં યોગને શિખરો સર કરાવ્યાં. ઈન્દ્રા દેવી જેવાં રશિયન યોગિનીએ સેલિબ્રિટીના ફિટનેસ ફંડામાં યોગને માનભર્યું સ્થાન અપાવ્યું. ઈન્દ્રા દેવી પછી એવું જ કામ ભારતમાં જન્મેલાં અમેરિકન નાગરિક તાઓ પોર્ચને કર્યું. હજુ ૧૦૧ વર્ષે ય તાઓ એ કામ કરી રહ્યાં છે.
                                                                 ******
તાઓ પોર્ચનનો જન્મ અને ઉછેર ભારતમાં થયો હતો. આઠ વર્ષની વયે યોગના પરિચયમાં આવેલાં તાઓ 100 વર્ષે ય નિયમિત વિદ્યાર્થીઓને યોગ શીખવે છે.
ફ્રેન્ચ પિતા અને ભારતીય માતાનાં સંતાન તાઓ પોર્ચનનો જન્મ ૧૯૧૮માં ભારતમાં થયો હતો. આઠ માસનાં હતા ત્યાં જ માતાનું અવસાન થયું. પુડુચેરીમાં રહેતા માતાના પરિવારે તેમનો ઉછેર કર્યો. આઠ વર્ષની વયે તેમણે એક દિવસ દરિયાકાંઠે કેટલાંક યુવાનોને યોગાસનો કરતા જોયા.
તેમને આ નવતર કસરતમાં રસ પડયો. ઘરે જઈને નવા પ્રકારના કરતબોની વાત કરી. ઘરેથી કહેવામાં આવ્યું કે તેને યોગ કહેવાય અને તે મોટાભાગે છોકરાઓ જ કરે છે. થોડા દિવસ તાઓએ દરિયાકાંઠે નિયમિત યોગાસનો જોયાં. તેમને આ પ્રકારની કસરતોમાં બહુ જ રસ પડયો. થોડાંક દિવસ પછી ઘરમાં યોગાસનો શીખવાની હઠ પકડી અને એમ આઠેક વર્ષની વયે તેમણે યોગાભ્યાસ શરૂ કર્યો.
પછી તો મહર્ષિ અરવિંદ પાસેથી પણ યોગાસનો આત્મસાત કરવાની તક મળી. તેમણે બી.કે.એસ આયંગર, પટ્ટાભી જોઈસ, મહેશ યોગી જેવાં યોગીઓ સાથે યોગાભ્યાસ કરીને કુશળતા મેળવી હતી.
યોગાભ્યાસ કર્યા પછી તેમણે અન્યને તાલીમ આપવાનું તો ઘણાં વર્ષો સુધી શરૂ કર્યું ન હતું. તંદુરસ્ત રહેવા માટે દરરોજ યોગની પ્રેક્ટિસ કરતા ખરા, પણ યુવાવસ્થામાં તેમણે ફેશન-અભિનય ક્ષેત્રે ઝંપલાવ્યું હતું. મોડલિંગ માટે જગતભરમાં પ્રવાસો કર્યા. બીજાં વિશ્વયુદ્ધ પછી બોલરૂમ ડાન્સિંગમાં કાબેલ બનીને સ્ટેજ શો કર્યા. ૧૯૫૦-૬૦ના થોડાંક વર્ષો બ્રિટનમાં રહ્યાં અને પછી અમેરિકામાં સ્થાઈ થયાં. અમેરિકામાં આવીને ફિલ્મોમાં નાની-મોટી ભૂમિકા ભજવી. મોડલિંગ-એક્ટિંગ-ડાન્સિંગમાં સફળ થયા પછી પણ તેમને યોગનું ખેંચાણ થયા કરતું હતું.
એ તક તેમને લગ્ન પછી મળી. લગ્ન પછી તેમણે યોગને વધુ ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું. પહેલાં ફિટનેસ માટે અને નિજાનંદ માટે યોગાભ્યાસ કરતા હતા, પણ હવે તેમણે અન્યોને યોગ શીખવવાના ઈરાદાથી થોડાંક વધુ આસનો શીખ્યાં. બી.કે. એસ આયંગર પાસેથી વધુ તાલીમ લઈને તેમણે લગભગ ૪૫ વર્ષની વયે પ્રોફેશનલ ધોરણે યોગની તાલીમ આપવાનું શરૂ કર્યું.
ફિલ્મોમાં એક્ટિંગ કરી હતી એટલે ફિલ્મજગતના મોટા ગણાતા નામ સાથે અંગત પરિચય હતો. એમાંથી ઘણી અભિનેત્રીઓ તો તાઓને યોગ શીખવવાનું અગાઉ પણ કહી ચૂકી હતી. તાઓએ સેલિબ્રિટીઝના યોગગુરુ તરીકે કરિઅર શરૂ કરી અને સાથે સાથે ક્લાસિસમાં સામાન્ય લોકોને પણ યોગાસનો શીખવ્યાં.
૧૯૬૪-૬૫થી યોગ ટીચર તરીકે શરૂ કરેલું કાર્ય આજે ૫૫ વર્ષથી અવિરત ચાલી રહ્યું છે. સૌથી મોટી વયે યોગાભ્યાસ કરાવાનો રેકોર્ડ પણ ગિનેસ બુકમાં તેમના નામે દર્જ થયો છે. ૨૦મી સદીના અંતમાં અમેરિકામાં યોગાસનોને લોકપ્રિય બનાવવામાં તેમની સક્રિય ભૂમિકા જોતાં આ વર્ષે ભારત સરકારે પદ્મશ્રી આપીને તેમનું સન્માન કર્યું.
૧૦૧ વર્ષના પડાવે પહોંચેલા તાઓ પોર્ચન ન્યૂયોર્કમાં રહે છે અને હજુ ય સપ્તાહમાં ઓછામાં ઓછા આઠ ક્લાસમાં વિદ્યાર્થીઓને યોગ શીખવે છે. જગતભરમાં થતાં યોગાભ્યાસને લગતા વિવિધ કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક ભાગીદાર બને છે. યોગ ટીચર ઉપરાંત બોલરૂમ ડાન્સર તરીકે તેમની ખ્યાતિ છે અને એ સિવાય યોગ પ્રશિક્ષણને લગતાં તેમના પુસ્તકો બેસ્ટ સેલર બની ચૂક્યા છે.
યોગ ટીચર, બોલરૂમ ડાન્સર અને લેખક તરીકે જાણીતા તાઓ યોગશક્તિ વિશે કહે છે: 'યોગાભ્યાસ કરુ છું એટલે તંદુરસ્ત રહીને ૧૦૦ વર્ષની થઈ છું. યોગાસનોથી જે મનની શાંતિ મળે તેને હું મારા પુસ્તકમાં પણ વ્યક્ત કરી શકી નથી. યોગ કરું છું એ જ પળે હું હિમાલયની ગોદમાં હોઉં એવી શાંતિ અનુભવું છું. મારી પાસે યોગાસનો શીખવા આવનારાઓને હું એક જ મંત્ર આપું છું કે આજે જિંદગીનો સર્વશ્રેષ્ઠ દિવસ છે એમ માનીને યોગથી દિવસની શરૂઆત કરશો તો ૨૧મી સદીના તણાવભર્યા વાતાવરણમાં ય તંદુરસ્ત રહીને ૧૦૦ વર્ષ જીવશો'.
                                                                       ******
ભારતનાં સૌથી મોટી વયના યોગ ટીચર વી. નનમ્મલ છે. ૧૯૧૯માં તમિલનાડુમાં જન્મેલા નનમ્મલને યોગનો વારસો પિતા-દાદા પાસેથી મળ્યો હતો. ખેડૂત પરિવારમાં જન્મેલાં નનમ્મલે આઠ-નવ વર્ષે પિતા પાસેથી યોગાસનો શીખ્યાં હતા. તેમના પરિવારમાં પરંપરા હતી કે બધા જ બાળકોએ યોગાસનો ફરજિયાત શીખવાના, પરંતુ તેમાંથી કોઈ જાહેરમાં તેની પ્રક્ટિસ કરતા ન હતા. નનમ્મલે પણ ન કરી. એ સમયની પરંપરા પ્રમાણે ૧૬-૧૭ વર્ષની વયે નનમ્મલના લગ્ન થયાં.
સાસરે જઈને તેમણે યોગાભ્યાસ શરૂ રાખ્યો, પણ માત્ર પોતાના પૂરતો. અન્યને શીખવવાનો વિચાર સુદ્ધાં તેમણે કર્યો ન હતો. તેમના જીવનમાં ૭૦ના દશકામાં વળાંક આવ્યો. એક દિવસ ખેતરમાં કંઈક કામ કરતી વખતે તેમના સાસુની પગની નસ ખેંચાઈ ગઈ. ડૉક્ટરને બતાવ્યાં પછી ય કોઈ ફરક ન પડયો.
નનમ્મલને વિચાર આવ્યો કે તેમનાં સાસુ યોગાસનો કરે તો કદાચ તેમને ઘણી રાહત થઈ જશે. તેમણે સાસુને યોગાસનો શીખવ્યા. થોડાંક દિવસમાં ચમત્કારિક ફેરફાર થયાં અને પગ સાજો થઈ ગયો. તેમનાં સાસુને આ ઘટનાથી એવું સમજાયું કે જો નનમ્મલ મોટી વયની મહિલાઓને આવા સરળ આસનો શીખવે તો એ મહિલાઓને દર્દમાંથી રાહત મળે.
તેમનાં સાસુએ જ નનમ્મલને યોગ ટીચર બનાવવાનું પ્રોત્સાહન આપ્યું. નનમ્મલે બાળકોને યોગાસાનો શીખવીને સત્તાવાર રીતે યોગ ટીચર તરીકે નવી ઈનિંગ શરૂ કરી ત્યારે તેમની વય ૫૦ કરતા વધુ હતી. તેમણે પાડોશીઓને યોગાભ્યાસ કરાવ્યો. ધીમે-ધીમે સંખ્યા વધતી ગઈ. મહિલાઓને યોગાસનો શીખવવા તરફ તેમણે વધુ ધ્યાન આપ્યું. ગર્ભવતી મહિલાઓને સરળ યોગાસનો શીખવવા માટે તેમણે અમુક નવા આસનો પણ વિકસાવ્યાં.
છેલ્લાં ૪૫ વર્ષથી સક્રિય યોગ ટીચર તરીકે કાર્યરત રહીને તેમણે ૧૦ લાખ કરતા વધુ લોકોને યોગાસનો શીખવ્યાં છે. દરરોજ ૧૦૦ જેટલાં વિદ્યાર્થીઓને નનમ્મલ જાતે યોગાભ્યાસ કરાવે છે. તેમના ૭૦૦ કરતાં વધુ વિદ્યાર્થીઓ તો અત્યારે ભારત ઉપરાંત વિદેશમાં પણ યોગ શિક્ષક તરીકે કાર્યરત છે.
યોગ શિક્ષક તરીકેની આ નવી ઈનિંગે તેમને છેલ્લાં ૪૦-૪૫ વર્ષમાં અનેક સન્માનો અપાવ્યાં છે. રાષ્ટ્રીય નારી શક્તિ પુરસ્કારથી લઈને ૨૦૧૮માં મળેલાં પદ્મશ્રી સુધીના પુરસ્કારોનો એમાં સમાવેશ થાય છે. ૧૦૦ વર્ષના આ દાદીમાને પૌત્રો અને પ્રપૌત્રો સાથે સહજ રીતે યોગાસનો કરતા જોઈનો જોનારાઓ દંગ રહી જાય છે. પ્રેગનેન્સી દરમિયાન અને લગ્ન પછી મહિલાઓને અનેકાનેક શારીરિક સમસ્યાનો સામનો કરવો પડે છે. યોગાસનો એ સમસ્યામાંથી છૂટકારો અપાવે છે, તે બાબતે વિશેષ જાગૃતિ આવે એ દિશામાં આ ૧૦૦ વર્ષના દાદીમા છેલ્લાં થોડાંક વર્ષથી કાર્યરત છે.
યોગનું મહત્વ સમજાવતા નનમ્મલ કહેતાં હોય છે: 'ભારતીય જીવનશૈલી એવી છે કે એમાં યોગાસનો જરૂરી છે. આપણાં ખોરાકમાં મસાલેદાર અને ગળપણનું વધુ પડતું મિશ્રણ હોવાથી ૩૦-૪૦ વર્ષે જ શરીર સ્થૂળ બની જાય છે. એમાંથી છૂટકારો મેળવવો હોય અને હોસ્પિટલના ધક્કા ખાવામાંથી બચવું હોય તો નિયમિત ૪૫ મિનિટ યોગાસનો કરવા જોઈએ. યોગ માત્ર આસનો નથી, એક ઉપચાર પદ્ધતિ પણ છે'.
                                                                        ******
બંને શતાયુ યોગ ટીચરમાં કોમન બાબત એ છે કે બંને જીવનના બીજા પડાવમાં યોગ ટીચર તરીકે કાર્યરત થયાં હતાં અને બંનેએ બહુ જ નાની વયે યોગનું શિક્ષણ લીધું હતું. યોગની પ્રેક્ટિસથી તેમનું જીવન લાંબું અને નિરોગી છે અને જે ઉંમરે માણસ પથારીવશ થઈ જાય એ ઉંમરે આ બંને યોગિનીઓ દરરોજ તેમનાં વિદ્યાર્થીઓનો યોગ શીખવે છે.
બાળપણમાં શીખેલી કે બાળપણથી જેની ખ્વાહિશ હોય એવી કોઈ કળા-વિદ્યામાં ધાર કાઢીને મોટી ઉંમરે ન ધારેલી સફળતા મેળવી શકાય છે એનું જીવંત ઉદાહરણ આપવાનું હોય ત્યારે વિશ્વના સૌથી વયસ્ક યોગ ટીચર તાઓ પોર્ચન અને ભારતના સૌથી વયસ્ક યોગ ટીચર વી. નનમ્મલના નામનો ઉલ્લેખ થાય તો જવાબ ૧૦૦ ટકા સાચો માનવો જોઈએ! શું કહો છો?

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -