Posted by : Harsh Meswania Wednesday, 13 March 2013



મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

નદીકિનારે ચાલતા ધોબીઘાટનો જમાનો ગયો અને વોશિંગ મશીન તથા અત્યાધુનિક સાધનોથી સજ્જ લોન્ડ્રીનો જમાનો આવ્યો. રેલવે, હોસ્પિટલ, મોટી હોટેલ્સ અને મહામેદનીના મેળાવડાનાં કપડાં સ્વચ્છ કરવાની જવાબદારી કોઈ એકલદોકલ ધોબી કે નાનું વોશિંગ મશીન તો ન જ નિભાવી શકે ને! દેશની ધોરી નસ ગણાતી ભારતીય રેલવેનાં કપડાંને ચમકાવતી સૌથી મોટી લોન્ડ્રી આપણા અમદાવાદમાં જ આવેલી છે. અહીં રોજેરોજ આશરે ૧૬,૦૦૦ ચાદરો અને બાકીની વસ્તુઓ ધોવાય છે

રેલવેનો પ્રવાસ કરવાનો થાય ત્યારે રિઝર્વેશન સહિતનું બધું સમુંસૂતરું પાર પડે, પણ જ્યારે આપણને બેડરોલ મળે ત્યારે એ ગંદા બેડરોલને જોઈને થોડો કચવાટ થયા વગર ન રહે. જેને વારંવાર રેલવેનો પ્રવાસ કરવાનું થતું હોય તેણે તો રેલવેના બ્લેન્કેટ્સ અને બેડરોલ યુસ કરવાને બદલે પોતાની વ્યવસ્થા જાતે કરવાની આદત પાડી લીધી હોય છે. આ સ્થિતિમાં રેલવેએ એક નવી પહેલ કરી અને આવા ગંદા-ગોબરા બ્લેન્કેટ્સ અને બેડરોલ્સની સફાઈ વ્યવસ્થિત થાય એ માટે ઠોંસ આયોજન કર્યું. આ આયોજનના પરિણામે અમદાવાદને મળી ભારતની સૌથી મોટી લોન્ડ્રી.

કેવી છે ભારતની સૌથી મોટી લોન્ડ્રી?
પશ્ચિમ રેલવેએ અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં ગત માસમાં ૧૫૦૦ સ્ક્વેર મીટરનો ફેલાવો ધરાવતી એક વિશાળ મિકેનાઇઝ્ડ લોન્ડ્રી શરૂ કરી છે. જેમાં રેલવેના બ્લેન્કેટ્સ અને બેડશીટની સફાઈનું કામ બે શિફ્ટમાં કરવામાં આવે છે. અમદાવાદથી લાંબા અંતરની ટ્રેનમાં મુસાફરી કરતા યાત્રિકોને જે બેડરોલ્સ અને બ્લેન્કેટ્સ આપવામાં આવે છે તે હવે આ રેલવે લોન્ડ્રીમાં સ્વચ્છ થશે. આ અંગે અમદાવાદ રેલવેના જનસંપર્ક અધિકારી જિતેન્દ્રકુમાર જયંતના જણાવ્યાનુસાર આ લોન્ડ્રીમાં એક કલાકમાં આશરે ૧૨૦૦ બેડશીટ્સ ક્લીન થાય છે. એટલે કે આઠ કલાકની એક પાળીમાં અત્યારે ૮ હજાર બેડ શીટ્સ ક્લીન કરવામાં આવે છે. વળી, આ લોન્ડ્રી દિવસ રાત કાર્યરત રહે છે એટલે કે બે શિફ્ટમાં કામ ચાલુ રાખવામાં આવે છે એ રીતે ગણતરી કરીએ તો એક દિવસમાં ૧૬,૦૦૦ બેડરોલ ક્લીન થાય છે. દરરોજ અંદાજિત ૧૨ ટન લિનન ક્લીન કરવાની ક્ષમતા આ લોન્ડ્રી ધરાવે છે. આ માટે ૯૦ કર્મચારીઓ કાર્યરત રહે છે. લોન્ડ્રીમાં કપડાં ધોવા માટેનું એક અત્યાધુનિક મશીન તૈનાત કરવામાં આવ્યું છે. જેમાં ૧૫-૧૫ બેડશીટનાં બંડલ પ્રેસ થઈને તૈયાર થઈ જાય છે.

આ વિશાળ લોન્ડ્રી શરૂ કરવા પાછળનો તર્ક
રેલવે તંત્ર અત્યાર સુધી બેડરોલ ક્લીનિંગનો કોન્ટ્રાક્ટ આપતું હતું. જેમાં અંદાજે એક બેડરોલ ધોવાનો ખર્ચ સાડા ચાર રૂપિયા જેવો થતો હતો. એમાં ટ્રાન્સપોર્ટનો ખર્ચ ગણાતો ન હતો. એટલે કે લેવા લઈ જવાની સગવડમાં વધુ થોડા પૈસા ચૂકવવા પડતા હતા. આ ખર્ચ કરવા છતાં પણ બેડરોલ ખરાબ હોવાની ગ્રાહકોની વ્યાપક ફરિયાદ ઊઠતી રહેતી. આ અંગે જાણકારી આપતા ડિવિઝનલ રેલવે મેનેજર આલોકકુમાર તિવારીએ કહ્યું હતું કે, 'છેલ્લા થોડા સમયથી અપર ક્લાસ એસી કોચોમાં ગંદા બેડરોલ મળતા હોવાનું વારંવાર સાંભળવા મળતું હતું. ક્યારેક એવી પણ ફરિયાદ ઊઠતી કે બેડરોલ ધોયેલા હોતા નથી અને માત્ર પ્રેસ કરીને જ આપી દેવામાં આવે છે. આ માટે કોન્ટ્રાક્ટરો સાથે વાતચીત પણ કરાતી હતી છતાં ખાસ કોઈ પરિણામ મળતું નહોતું એટલે આનો કાયમી ઉકેલ લઈ આવવાનાં પગલાં ભરવાનું શરૂ કર્યું. એ કોયડાના ઉકેલરૂપે રેલવેએ પોતાની જ વિશાળ લોન્ડ્રી શરૂ કરવાનું નક્કી કર્યું.' રેલવેને હવે એક બેડરોલનો આશરે સાડા ત્રણ રૂપિયા જેવો ખર્ચ થશે. એટલે એ રીતે રેલવેની તિજોરી પર થોડો બોજો પણ ઘટશે. આ લોન્ડ્રી આમ તો ટ્રાયલરૂપે ઓક્ટોબર માસથી જ શરૂ કરાઈ હતી, પણ લોન્ડ્રીના કારણે ફરિયાદો ઘટવા લાગી એટલે તેને ગત માસમાં વ્યવસ્થિત ધોરણે કાર્યરત કરાઈ છે.

વોટ ઇઝ નેક્સ્ટ?
રેલવેનું આગામી આયોજન એ છે કે દેશભરના પ્રવાસીઓને સ્વચ્છ બેડરોલ મળતા થાય એ માટે દેશભરમાં અલગ અલગ જગ્યાએ આવી લોન્ડ્રી શરૂ કરવી. આવી જ એક લોન્ડ્રી મુંબઈમાં પણ શરૂ કરવાનું આયોજન અંતિમ તબક્કામાં પહોંચ્યું છે. જોકે, એની ક્ષમતા અમદાવાદની તુલનાએ થોડી ઓછી છે. એ લોન્ડ્રીમાં દરરોજના ૧૨,૦૦૦ બેડરોલ્સ સ્વચ્છ થશે. હવે આગામી સમયમાં રેલવે જો આવી મોટી લોન્ડ્રી શરૂ કરશે તો એની ક્ષમતા જૂની લોન્ડ્રીની સરખામણીએ ચોક્કસ વધારે જ હશે. એટલે બની શકે કે કદાચ ભવિષ્યમાં અમદાવાદની આ લોન્ડ્રીનું પ્રથમ નંબરનું સ્થાન પાછળના ક્રમે આવી જાય!

ઇન શોર્ટ પહેલાં એવું થતું હતું કે કોન્ટ્રાક્ટરો કોન્ટ્રાક્ટ લીધા પછી બેડરોલ્સની સફાઈ માત્ર કરવા ખાતર જ કરતા હતા. એના બદલે હવે રેલવે તંત્ર પોતે જ પ્રવાસીઓને સ્વચ્છ બેડરોલ પૂરા પાડશે. વળી, ગંદા બેડરોલ્સની ફરિયાદ વખતે રેલવે તંત્ર પોતાના બચાવ માટે કોન્ટ્રાક્ટરો પર દોષનો ટોપલો ઢોળી પણ નહીં શકે. એને બદલે હવે સારી કે ખરાબ બંને ક્રેડિટ રેલવે તંત્રની પોતાની જ ગણાશે એ એક વધુ ફાયદો!

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

47,178
By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
હર્ષ મેસવાણિયા લેખક-પત્રકાર (એમ.ફિલ - પત્રકારત્વ-માસ કોમ્યુનિકેશન) 15 વર્ષથી લેખન-પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત. ગુજરાતી અખબાર-સામયિકોમાં 1200 જેટલાં માહિતીપ્રદ, અભ્યાસપૂર્ણ લેખો પ્રસિદ્ધ થયા છે. 2020માં પ્રસિદ્ધ થયેલાં ‘ગ્રેટ ઇન્ડિયન સર્કસ’ પુસ્તકને હાસ્ય-વ્યંગની કેટેગરીમાં ‘ગુજરાત સાહિત્ય અકાદમી’નો પ્રતિષ્ઠિત દ્વિતીય પુરસ્કાર મળ્યો હતો. ‘સુપર વુમન’ પુસ્તક 2024માં વિશ્વ મહિલા દિવસે પ્રસિદ્ધ થયું હતું. ‘ભોંયરાના ભોમિયા’ કિશોર-સાહસ કથા પ્રસિદ્ધ થઈ ચૂકી છે. ગુજરાત સમાચારની ‘સાઇન ઇન’ કૉલમને 2020માં શ્રેષ્ઠ ગુજરાતી કૉલમની કેટેગરીમાં ‘લાડલી મીડિયા ઍવૉર્ડ’ મળ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ શ્રેષ્ઠ કોલમનો એવોર્ડ આપ્યો હતો. ‘ગુજરાત સમાચાર’માં પૂર્તિસંપાદક તરીકે ગુજરાતી નવલકથાના 150 વર્ષ, શેક્સપિયરની 400મી પુણ્યતિથિ, પ્રથમ વિશ્વયુદ્ધનાં 100 વર્ષ, મધર્સ ડેની ઉજવણીના 100 વર્ષ, ભારતની સ્વતંત્રતાના 70 વર્ષ. ગાંધીજી અને કસ્તૂરબાના જન્મનાં 150 વર્ષ, ઓસ્કર ઍવૉર્ડ્સ, ભારતના રાષ્ટ્રપતિ, હિંદ છોડો આંદોલનના 75 વર્ષ, પર્યાવરણ, સાયન્સ, હેરિટેજ, નોબેલ પ્રાઇઝ, કળા, સંગીત, સાહિત્ય જેવાં વિધવિધ વિષયોમાં સ્પેશિયલ એડિશન પર કાર્ય કર્યું છે. રાજકીય વ્યંગની સાપ્તાહિક કૉલમ ‘આપનાં તો અઢાર વાંકાં’ અને આંતરરાષ્ટ્રીય રાજકીય પ્રવાહો પર વર્લ્ડ વિન્ડો કોલમ પ્રસિદ્ધ થાય છે.

- Copyright © 2025 Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -