Posted by : Harsh Meswania Wednesday, 6 March 2013



મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

આખી દુનિયા અત્યારે આર્થિક સંકળામણ અનુભવી રહી છે ત્યારે સમગ્ર વિશ્વની નજર ભારતના બજેટ તરફ હતી. વડાપ્રધાન મનમોહન સિંહ વિશ્વ સ્તરના અર્થશાસ્ત્રી ગણાય છે અને એની સરકાર પાસેથી વધુ અપેક્ષાઓ હોય એ સમજી શકાય છે. જોકે, હકીકત એ છે કે ઘણા દેશોમાં સફળ અર્થશાસ્ત્રીઓ સત્તાસ્થાને છે અને દેશની સ્થિતિ દરિયાઈ વાવાઝોડામાં ગંભીર રીતે ફસાયેલી નાવ જેવી થઈ ગઈ છે

વૈશ્વિક મંદીનો પવન ફૂંકાયો ત્યારથી છેક અત્યાર સુધી અમેરિકા જેવા સુપર પાવર સહિતના મહત્ત્વના દેશો આર્થિક રીતે નબળા પડયા છે. બેરોજગારી અને સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગમાં પણ મોટો ફેરફાર થયો છે. આ સ્થિતિ ઘણા ખરા દેશોમાં છે, પણ જે દેશનું સુકાન આપણા દેશની જેમ અર્થશાસ્ત્રીના હાથમાં છે અને છતાં આર્થિક હાલત બેહાલ છે એની વાત અહીં આપણે કરીએ.

ભારતઃ વિદેશી ભણતર દેશને કામ ન લાગ્યું!
વર્લ્ડ બેંકના કહેવા પ્રમાણે ૨૦૧૧માં ભારતના ડેબિટ રેટિંગમાં લોસ જોવા મળ્યો હતો. ભારતની ગણના ખૂબ જ ઝડપથી વિકસતા જતાં દેશ તરીકે થાય છે, પણ દેશમાં મોંઘવારી, બેકારી, ગરીબીની સ્થિતિમાં ઊડીને આંખે વળગે તેવો સુધારો નથી આવ્યો. એમાં પણ એવા સમયે કે જ્યારે છેલ્લાં આઠ-આઠ વર્ષથી દેશની બાગદોર મનમોહન સિંહ જેવા અર્થશાસ્ત્રીના હાથમાં હોય! આ એ જ ડો. મનમોહન સિંહ છે જેમણે નાણામંત્રી તરીકે ૧૯૯૧માં દેશની ગંભીર આર્થિક સ્થિતિ વેળાએ મહત્ત્વનાં પગલાં ભરીને ગંભીરતા ખાળવામાં સફળતા મેળવી હતી. મનમોહનસિંહ ઈકોનોમિક્સના અનુસ્નાતક છે અને કેમ્બ્રિજ યુનિર્વિસટીના સ્કોલર પણ રહી ચૂક્યા છે. અત્યારે મનમોહન સિંહની સ્થિતિ મહાભારતના અર્જુન જેવી છે, જે કૌરવોની વિશાળ સેનાને તો હરાવી શકે છે, પણ એક લૂંટારા સામે પરાસ્ત થઈ જાય છે!

ગ્રીસઃ અર્થતંત્રના નિષ્ણાત પાસેથી વિશેષ અપેક્ષા
આપણે ત્યાં જે સમયે મનમોહન સિંહ નાણામંત્રી હતા બરાબર એ જ સમયગાળામાં ગ્રીસનું નાણામંત્રાલય વિશ્વમાં ગણનાપાત્ર અર્થશાસ્ત્રી એન્ટોનિસ સમરાસ સંભાળતા હતા. મનમોહન સિંહની માફક જ તેમને નાણામંત્રાલય ફળ્યું. આજે તેઓ પણ તેમના દેશના પ્રાઇમ મિનિસ્ટર છે અને એ વાત તો સુવિદિત છે કે ગ્રીસ વિશ્વમાં સૌથી ગંભીર આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા દેશોની યાદીમાં શીર્ષસ્થાને રહેલું છે. યુરોઝોનની કટોકટીમાં સપડાયેલા દેવાળિયા થઈ રહેલા આ દેશને અત્યારે કદાચ સમરાસના અર્થશાસ્ત્રના જ્ઞાનનો લાભ મળે એવી વિશેષ આશા સેવાઈ રહી છે. સમરાસે ૧૯૭૪માં અર્થશાસ્ત્ર સાથે ગ્રેજ્યુએશન કર્યું હતું અને પછીથી વધુ અભ્યાસ હાર્વર્ડ યુનિર્વિસટીમાં કર્યો હતો. જોકે, મનમોહન સિંહની તુલનાએ તેમને સત્તાસ્થાને આવ્યાને હજુ એક વર્ષ પણ માંડ પૂરું થયું છે એટલે તેઓ દેશને કેટલા ઉપયોગી થશે એ તો સમય જ કહેશે!

ઇટાલીઃ અર્થશાસ્ત્રીથી દેશને ખાસ ફાયદો નથી!
ઇટાલી પર પણ જીડીપીના ૧૦૦ ટકા જેવું દેવું તોળાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં દેશનું સુકાન મશહૂર અર્થશાસ્ત્રી મારિયો મોન્ટીને સોંપવામાં આવ્યું છે. મારિયો મોન્ટી ૧૯૬૫માં અર્થશાસ્ત્ર સાથે સ્નાતક થયા હતા. ત્યાર બાદ વિશ્વના ખ્યાતનામ અર્થશાસ્ત્રી અને નોબેલ પ્રાઇસ વિનર જેમ્સ ટોબિન પાસેથી તેમણે યેલ યુનિર્વિસટીમાં અર્થશાસ્ત્રમાં મહારથ હાંસલ કરી હતી. નવેમ્બર ૨૦૧૧થી તેમને પીએમ ઓફિસમાં બેસાડાયા છે. જોકે, તેઓ દેશની સ્થિતિને ખાસ ફાયદો નથી કરાવી શક્યા!

બ્રિટનઃ પીએમ 'પીપીઈ' ભણ્યા છે, પણ...
બ્રિટનનું નામ અહીં આ યાદીમાં શું કરે છે એવો પ્રશ્ન થઈ શકે છે, પણ બ્રિટનની આર્થિક તાકાત છેલ્લાં વર્ષોમાં ઘટી રહી છે એવું વર્લ્ડ બેંકના આંકડાઓ કહે છે. ૨૦૦૦ના વર્ષથી બ્રિટનનો ઈકોનોમિક ગ્રોથ ઘટયો છે. ૧૯૭૮ના વર્ષ પછી છેક ગત વર્ષે બ્રિટને તેનું એએએ રેટિંગ (બોન્ડ ક્રેડિટ રેટિંગ) ગુમાવ્યું હતું. આ રેટિંગ ધરાવતા દેશની ગણના સ્ટ્રોન્ગ ઈકોનોમીમાં થાય છે. આ સ્થિતિ વચ્ચે ૨૦૧૦માં ઈકોનોમિસ્ટ અને રાજકારણી ડેવિડ વિલિયમ ડોનાલ્ડ કેમેરોન વડાપ્રધાન બન્યા હતા. કેમેરોન બ્રિટનના જ નહીં વિશ્વના ખ્યાતનામ અર્થશાસ્ત્રીઓની પેનલમાં સામેલ થાય એવું નામ અને નોલેજ ધરાવે છે. કેમેરોન ઓક્સફોર્ડ યુનિર્વિસટીમાંથી ફિલોસોફી, પોલિટિક્સ એન્ડ ઈકોનોમી (પીપીઈ) વિષય સાથે ફર્સ્ટક્લાસ મેળવીને ગ્રેજ્યુએટ થયા છે. ગત વર્ષે દેશના રેટિંગમાં ઘટાડો થયો ત્યારે ડેવિડ કેમેરોન બ્રિટનના વડાપ્રધાન પદે હતા.

    અન્ય દેશોમાં પણ એવી હિમાયત કરવામાં આવી રહી છે કે દેશની આર્થિક સ્થિતિ મજબૂત બનાવવા માટે અર્થશાસ્ત્રીઓને અગત્યની જવાબદારી આપવી જોઈએ, પણ સવાલ એ છે કે અર્થશાસ્ત્રીઓને દેશનું સુકાન સોંપવાથી ફાયદો થાય છે કે નહીં? જોકે, આ સવાલનો જવાબ અઘરો છે!    

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Total Pageviews

47,158
By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
હર્ષ મેસવાણિયા લેખક-પત્રકાર (એમ.ફિલ - પત્રકારત્વ-માસ કોમ્યુનિકેશન) 15 વર્ષથી લેખન-પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત. ગુજરાતી અખબાર-સામયિકોમાં 1200 જેટલાં માહિતીપ્રદ, અભ્યાસપૂર્ણ લેખો પ્રસિદ્ધ થયા છે. 2020માં પ્રસિદ્ધ થયેલાં ‘ગ્રેટ ઇન્ડિયન સર્કસ’ પુસ્તકને હાસ્ય-વ્યંગની કેટેગરીમાં ‘ગુજરાત સાહિત્ય અકાદમી’નો પ્રતિષ્ઠિત દ્વિતીય પુરસ્કાર મળ્યો હતો. ‘સુપર વુમન’ પુસ્તક 2024માં વિશ્વ મહિલા દિવસે પ્રસિદ્ધ થયું હતું. ‘ભોંયરાના ભોમિયા’ કિશોર-સાહસ કથા પ્રસિદ્ધ થઈ ચૂકી છે. ગુજરાત સમાચારની ‘સાઇન ઇન’ કૉલમને 2020માં શ્રેષ્ઠ ગુજરાતી કૉલમની કેટેગરીમાં ‘લાડલી મીડિયા ઍવૉર્ડ’ મળ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ શ્રેષ્ઠ કોલમનો એવોર્ડ આપ્યો હતો. ‘ગુજરાત સમાચાર’માં પૂર્તિસંપાદક તરીકે ગુજરાતી નવલકથાના 150 વર્ષ, શેક્સપિયરની 400મી પુણ્યતિથિ, પ્રથમ વિશ્વયુદ્ધનાં 100 વર્ષ, મધર્સ ડેની ઉજવણીના 100 વર્ષ, ભારતની સ્વતંત્રતાના 70 વર્ષ. ગાંધીજી અને કસ્તૂરબાના જન્મનાં 150 વર્ષ, ઓસ્કર ઍવૉર્ડ્સ, ભારતના રાષ્ટ્રપતિ, હિંદ છોડો આંદોલનના 75 વર્ષ, પર્યાવરણ, સાયન્સ, હેરિટેજ, નોબેલ પ્રાઇઝ, કળા, સંગીત, સાહિત્ય જેવાં વિધવિધ વિષયોમાં સ્પેશિયલ એડિશન પર કાર્ય કર્યું છે. રાજકીય વ્યંગની સાપ્તાહિક કૉલમ ‘આપનાં તો અઢાર વાંકાં’ અને આંતરરાષ્ટ્રીય રાજકીય પ્રવાહો પર વર્લ્ડ વિન્ડો કોલમ પ્રસિદ્ધ થાય છે.

- Copyright © 2025 Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -