Posted by : Harsh Meswania Wednesday, 15 May 2013


મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

લખનૌના નેશનલ મ્યુઝિયમના મમીને કોહવાટ લાગી ગયો છે એવી જાહેરાત ખુદ નેશનલ મ્યુઝિયમના સત્તાવાળાઓએ કરી છે. લખનૌ ઉપરાંત પણ દેશમાં ક્યાંય મમી છે? જો છે, તો દેશમાં મમીનું આગમન ક્યારે થયું હતું? અત્યારે કયાં કયાં મ્યુઝિયમમાં કેટલાં મમી છે? ઇજિપ્તથી સૌપ્રથમ મમી કોણ લઈ આવ્યું હતું?

લખનૌના નેશનલ મ્યુઝિયમમાં ગરમીને કારણે ૩૦૦૦ વર્ષ જૂનાં મમીની હાલત ખરાબ છે એવી જાહેરાત થઈ એટલે દેશમાં અન્ય સ્થળોએ રહેલાં મમીના હાલ શું છે એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે. પ્રાચીન ઇજિપ્તમાં શબને સાચવવાની જે પદ્ધતિ હતી તે આજેય અજોડ છે અને એટલા માટે મમી અત્યારે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યાં છે. જોકે, હવે મમીને જોવા માટે છેક ઇજિપ્ત જ જવું પડે એવું નથી, કેમ કે વિશ્વભરમાં ઇજિપ્તનાં મમીનાં પ્રદર્શનો યોજાતાં રહે છે અને હવે તો લગભગ તમામ દેશો પાસે પોતાના સંગ્રહાલયમાં એટલિસ્ટ એક મમી તો હશે. ભારતનાં અમુક સંગ્રહાલયોમાં પણ થોડાં મમી છેલ્લા દોઢ-બે સૈકાથી છે. પહેલાં તે રાજા-મહારાજાઓના અંગત સંગ્રહાલયમાં શોભા વધારતાં હતાં, પણ હવે તો દેશના પ્રવાસીઓ પણ મમીને સરળતાથી જોઈ શકે છે.

મમીને ભારતમાં કોણ લાવ્યું હતું?
 ઇજિપ્તના મમીને સૌપ્રથમ ભારત લઈ આવનારું નામ એટલે જયપુરના મહારાણા સવાઈ રામસિંહ. જયપુરના રાજવીએ તેમના અંગત સંગ્રહાલયની શાન વધારવા માટે ૧૮૮૬-૮૭ની આસપાસ પહેલી વખત ઇજિપ્તના મમીનો ભારતમાં પ્રવેશ કરાવ્યો હતો. લગભગ આ જ સમયગાળામાં વડોદરાના રાજવી સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ પણ પોતાના રાજ્યમાં નવા બનેલા મ્યુઝિયમ માટે ઇજિપ્તથી મમીને ખરીદ્યું હતું. મમીને ભારતમાં લઈ આવનારા બીજા એક રાજા એટલે હૈદરાબાદના સાતમા નિઝામ મીર ઓસમાન અલી ખાન. આ નિઝામે પછીથી હૈદરાબાદના મ્યુઝિયમને પોતાના અંગત સગ્રહાલયમાં રહેલું મમી દાનમાં આપી દીધું હતું. આ મમી સૌથી કીમતી હોવાનું કહેવાય છે, કેમ કે હૈદરાબાદના મ્યુઝિયમમાં રહેલું મમી ઇજિપ્તના છઠ્ઠા ફેરોની પુત્રીનું હોવાનું મનાય છે.

ભારતમાં કેટલાં મમી છે?
ભારતનાં ૬ નેશનલ મ્યુઝિયમની શોભામાં મમી અભિવૃદ્ધિ કરી રહ્યાં છે. લખનૌ મ્યુઝિયમના એક અધિકારી અજય ચૌધરીએ ટેલિફોનિક મુલાકાતમાં જણાવ્યું હતું કે ભારતમાં અત્યારે કુલ ૬ મ્યુઝિયમ જેવાં કે લખનૌ, હૈદરાબાદ, વડોદરા, કોલકાતા, જયપુર અને મુંબઈમાં મમી રાખવામાં આવ્યાં છે. કોલકાતામાં બે મમી છે જ્યારે અન્ય તમામ સ્થળોએ એક-એક મમી છે. એ રીતે ભારતભરમાં કુલ ૭ મમી છે. આ સિવાય થોડા સમય પહેલાં લંડન મ્યુઝિયમના મમીનું મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુ સંગ્રહાલયમાં પ્રદર્શન યોજાયું હતું, જે દેશમાં યોજાયેલું સૌથી મોટું મમી પ્રદર્શન હતું.

ભારતમાં મમીની હાલત અંગે ઇજિપ્તના નિષ્ણાતો શું માને છે?
વિશ્વભરમાં જ્યાં જ્યાં ઇજિપ્તનાં મમી રાખવામાં આવ્યાં છે તે તમામ સ્થળો પર ઇજિપ્ત સરકાર દ્વારા નિમાયેલા સભ્યો દેખરેખ રાખે છે. લખનૌ મ્યુઝિયમના અધિકારીઓ પાસેથી જાણવા મળ્યા પ્રમાણે મ્યુઝિયમમાં રહેલાં મમીની હાલત જો વધુ ખરાબ થાય કે તેની સાચવણી શક્ય ન બને તો તેની માહિતી ઇજિપ્તના સાંસ્કૃતિક મંત્રાલયને કરવાની હોય છે. ઇજિપ્તની સરકાર તેની સાચવણીમાં મદદરૂપ બને છે. એટલું જ નહીં, થોડા થોડા સમયે મમી કેર એક્સપર્ટ ટીમ વિવિધ દેશોનો પ્રવાસ કરીને મમીની સ્થિતિનો ક્યાસ કાઢે છે. થોડાં વર્ષો પહેલાં ઇજિપ્ત મ્યુઝિયમના ડિરેક્ટર ડો. નસરી યૂસુફ ઇસ્કંદરે ભારતની મુલાકાત લીધી હતી. તેમણે ભારતસ્થિત તમામ સાતેય મમીનું જાતનિરીક્ષણ કરીને પોતાનો મત આપ્યો હતો કે આ તમામ મમીને થોડી વધુ કાળજીની જરૂર છે. તેમણે તો ભારતના મ્યુઝિયમ સત્તાધિશોને એવી સલાહ પણ આપી હતી કે ભારતનાં તમામ મમીને ઇજિપ્તના એક્સપર્ટની એડવાઇઝ (ઇજિપ્તમાં એવા નિષ્ણાતોને તૈયાર કરવામાં આવે છે, જે પોતાના દેશની ઓળખસમાં મમીની યોગ્ય જાળવણી કરી શકે.) મળી રહે તેવી કશીક ગોઠવણ કરવી જોઈએ. ઇસ્કંદરે થોડાં વર્ષો પહેલાં જે સલાહ આપી હતી તેને જો આપણે ગંભીરતાથી લીધી હોત તો કદાચ લખનૌના મમીની હાલત આટલી ગંભીર ન થાત. આશા રાખીએ કે દેશના અન્ય છ મમીની જાળવણીમાં ઇજિપ્તના મ્યુઝિયમ ડિરેક્ટરની પેલી સલાહને અવગણવાને બદલે અનુસરવામાં આવે!

ગુજરાતમાં એકમાત્ર મમી ક્યાં અને કેવી હાલતમાં છે?
ગુજરાતમાં એકમાત્ર મમી 'બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી' વડોદરામાં છે, જે મુલાકાતીઓ માટે હંમેશાં ડિસ્પ્લેમાં રાખવામાં આવે છે. આ સંગ્રહાલય મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ ૧૮૮૭માં બનાવ્યું હતું. ઇજિપ્તથી મમી મહારાજાએ જ ખરીદીને આ સંગ્રહાલયમાં રખાવ્યું હતું. મ્યુઝિયમના ક્યુરેટર વિજય પટેલના જણાવવા પ્રમાણે આ મમીની અત્યારની સ્થિતિ એકદમ સારી છે. છેલ્લાં કેટલાંક વર્ષો પહેલાં જ્યારે ઇજિપ્તના એક્સપર્ટ મમીની હાલત જોવા ભારત આવ્યા હતા ત્યારે તેમણે આ મમીની દેખરેખથી સંતોષ વ્યક્ત કર્યો હતો. મમીની રોજિંદી સ્થિતિ મ્યુઝિયમના કેમિસ્ટ તપાસે છે. મુલાકાતીઓ અને મમી વચ્ચે યોગ્ય અંતર જળવાય એની પણ કાળજી રાખવામાં આવે છે. મ્યુઝિયમના કેમિસ્ટ ડો. યજ્ઞોશ દવેએ જણાવ્યું હતું કે, 'કાચની પેટી આસપાસ થોડા થોડા સમયે કેમિકલની પ્રોસેસ કરવામાં આવે છે, જેથી મમી પર બાહ્ય વાતાવરણની અસર ન થાય.' એટલે કે આશરે ૧૨૫ વર્ષથી આ મ્યુઝિયમમાં રહેલા ગુજરાતના એકમાત્ર મમીની અત્યારની હાલત લખનૌની ગરમીથી ત્રસ્ત મમી જેવી નથી.

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Blog Archive

Total Pageviews

47,166
By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
હર્ષ મેસવાણિયા લેખક-પત્રકાર (એમ.ફિલ - પત્રકારત્વ-માસ કોમ્યુનિકેશન) 15 વર્ષથી લેખન-પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત. ગુજરાતી અખબાર-સામયિકોમાં 1200 જેટલાં માહિતીપ્રદ, અભ્યાસપૂર્ણ લેખો પ્રસિદ્ધ થયા છે. 2020માં પ્રસિદ્ધ થયેલાં ‘ગ્રેટ ઇન્ડિયન સર્કસ’ પુસ્તકને હાસ્ય-વ્યંગની કેટેગરીમાં ‘ગુજરાત સાહિત્ય અકાદમી’નો પ્રતિષ્ઠિત દ્વિતીય પુરસ્કાર મળ્યો હતો. ‘સુપર વુમન’ પુસ્તક 2024માં વિશ્વ મહિલા દિવસે પ્રસિદ્ધ થયું હતું. ‘ભોંયરાના ભોમિયા’ કિશોર-સાહસ કથા પ્રસિદ્ધ થઈ ચૂકી છે. ગુજરાત સમાચારની ‘સાઇન ઇન’ કૉલમને 2020માં શ્રેષ્ઠ ગુજરાતી કૉલમની કેટેગરીમાં ‘લાડલી મીડિયા ઍવૉર્ડ’ મળ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ શ્રેષ્ઠ કોલમનો એવોર્ડ આપ્યો હતો. ‘ગુજરાત સમાચાર’માં પૂર્તિસંપાદક તરીકે ગુજરાતી નવલકથાના 150 વર્ષ, શેક્સપિયરની 400મી પુણ્યતિથિ, પ્રથમ વિશ્વયુદ્ધનાં 100 વર્ષ, મધર્સ ડેની ઉજવણીના 100 વર્ષ, ભારતની સ્વતંત્રતાના 70 વર્ષ. ગાંધીજી અને કસ્તૂરબાના જન્મનાં 150 વર્ષ, ઓસ્કર ઍવૉર્ડ્સ, ભારતના રાષ્ટ્રપતિ, હિંદ છોડો આંદોલનના 75 વર્ષ, પર્યાવરણ, સાયન્સ, હેરિટેજ, નોબેલ પ્રાઇઝ, કળા, સંગીત, સાહિત્ય જેવાં વિધવિધ વિષયોમાં સ્પેશિયલ એડિશન પર કાર્ય કર્યું છે. રાજકીય વ્યંગની સાપ્તાહિક કૉલમ ‘આપનાં તો અઢાર વાંકાં’ અને આંતરરાષ્ટ્રીય રાજકીય પ્રવાહો પર વર્લ્ડ વિન્ડો કોલમ પ્રસિદ્ધ થાય છે.

- Copyright © 2025 Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -