Posted by : Harsh Meswania Saturday, 25 August 2012


જન્મે ભારતીય ન હોવા છતાં આજીવન સવાયા ભારતીય તરીકે ભારતમાં રહીને ગરીબો અને પીડિતોની સેવામાં જીવન વ્યતીત કરનારાં મધર ટેરેસાનો આવતી કાલે જન્મદિવસ છે. ત્યારે આપણે અહીં મધર ટેરેસાએ કઈ રીતે સેવાનો ભેખ ધારણ કર્યો એ વિશે અને તેમના જીવન વિશે થોડી વધુ જાણકારી મેળવીએ.
 મધર ટેરેસાનો જન્મ ૨૬ ઓગસ્ટ, ૧૯૧૦ના રોજ રિપબ્લિક ઓફ મેસેડોનિયામાં થયો હતો. તેમનું ખરું નામ એગ્નેસ ગોન્કસા બોજાક્સુ હતું. તેેમણે ૧૯૩૧માં ધાર્મિક શપથ લીધા પછી સંત થેરેસ દે લિસિઅક્સના નામ પરથી ટેરેસા નામ પસંદ કર્યું. પછીથી જીવનભર તેઓ આ જ નામથી સમગ્ર વિશ્વમાં જાણીતાં થયાં.
મધર ટેરેસા જ્યારે માત્ર ૮ વર્ષનાં હતાં ત્યારે જ તેમના પિતાનું નિધન થઈ ગયું હતું. ત્યાર પછી તેમની માતાએ તેમને રોમન કેથલિક ધર્મમાં આગળ વધીને સેવાકીય પ્રવૃત્તિમાં જોડાવા પ્રોત્સાહન આપ્યું હતું. ઉછળકૂદ કરવાની ૧૨ વર્ષની ઉંમરે તો મધર ટેરેસાએ પોતાની સેવાકીય પ્રવૃત્તિ આરંભી દીધી હતી. ત્યારે જ તેમણે મનોમન સેવાનો ભેખ ધારણ કરવાનું નક્કી કરી લીધું હતું.
૧૮ વર્ષની ઉંમરે તેઓ મિસ્ટર ઓફ લોરેટો મિશનમાં જોડાઈ ગયાં હતાં અને સેવા કરવા માટે ઘરનો ત્યાગ કરી દીધો હતો. ૧૯૨૯માં પ્રથમ વખત તેઓ ભારત આવ્યાં હતાં અને દીક્ષાર્થી તરીકેનો પોતાનો પ્રથમ કાર્યકાળ હિમાલય પર્વતમાળા નજીક ર્દાિજલિંગમાં વીતાવ્યો હતો.
૧૯૪૬માં ભારતમાં ફાટી નીકળેલાં હિન્દુ-મુસ્લિમ રમખાણો વખતે મધર ટેરેસાએ ઈજાગ્રસ્તોની ખૂબ સેવા કરી હતી. ત્યારબાદ ૧૯૪૮માં તેમણે કોલકાતામાં જ ગરીબો માટેનું પોતાનું મિશનરી કાર્ય શરૃ કર્યું હતું જે પછીથી આખા વિશ્વમાં વિસ્તર્યું હતું.
મધર ટેરેસાએ ભારતમાં સેવાકીય કાર્ય શરૃ કર્યા પછી પોતાનો લોરેટોનો પરંપરાગત પોશાક ત્યાગીને ભૂરી કિનારીવાળી ખાદીની સાડી પહેરવાનું શરૃ કર્યું. આ સમયગાળામાં જ તેમણે ભારતીય નાગરિકત્વ સ્વીકાર્યું હતું.
તેમની સેવાકીય પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને ૧૯૭૯માં મધર ટેરેસાને શાંતિ માટેના નોબેલ પુરસ્કારથી સન્માનિત કરાયાં ત્યારે તેમણે કહ્યું હતું કે 'ઈશ્વર ગરીબોમાં અને પીડિતોમાં વસે છે, આપણે આવા અસહાય લોકોની સેવા કરીને ઈશ્વર સુધી પહોંચવું જોઈએ.'
૧૯૮૦માં ભારત સરકારે ભારતનું સર્વોચ્ચ સન્માન ભારતરત્ન આપીને તેમની સેવાની કદર કરી હતી. સતત કથળતા જતાં સ્વાસ્થ્ય પછી પાંચ સપ્ટેમ્બર, ૧૯૯૭ના રોજ તેમનું નિધન થયું હતું. એક સમયે માત્ર ૧૩ સભ્યોથી શરૃ થયેલું તેમનું સેવાકીય કાર્ય આજે ૧૨૩ દેશોમાં પ્રસરી ગયું છે.
(સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Blog Archive

Total Pageviews

47,166
By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
હર્ષ મેસવાણિયા લેખક-પત્રકાર (એમ.ફિલ - પત્રકારત્વ-માસ કોમ્યુનિકેશન) 15 વર્ષથી લેખન-પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત. ગુજરાતી અખબાર-સામયિકોમાં 1200 જેટલાં માહિતીપ્રદ, અભ્યાસપૂર્ણ લેખો પ્રસિદ્ધ થયા છે. 2020માં પ્રસિદ્ધ થયેલાં ‘ગ્રેટ ઇન્ડિયન સર્કસ’ પુસ્તકને હાસ્ય-વ્યંગની કેટેગરીમાં ‘ગુજરાત સાહિત્ય અકાદમી’નો પ્રતિષ્ઠિત દ્વિતીય પુરસ્કાર મળ્યો હતો. ‘સુપર વુમન’ પુસ્તક 2024માં વિશ્વ મહિલા દિવસે પ્રસિદ્ધ થયું હતું. ‘ભોંયરાના ભોમિયા’ કિશોર-સાહસ કથા પ્રસિદ્ધ થઈ ચૂકી છે. ગુજરાત સમાચારની ‘સાઇન ઇન’ કૉલમને 2020માં શ્રેષ્ઠ ગુજરાતી કૉલમની કેટેગરીમાં ‘લાડલી મીડિયા ઍવૉર્ડ’ મળ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ શ્રેષ્ઠ કોલમનો એવોર્ડ આપ્યો હતો. ‘ગુજરાત સમાચાર’માં પૂર્તિસંપાદક તરીકે ગુજરાતી નવલકથાના 150 વર્ષ, શેક્સપિયરની 400મી પુણ્યતિથિ, પ્રથમ વિશ્વયુદ્ધનાં 100 વર્ષ, મધર્સ ડેની ઉજવણીના 100 વર્ષ, ભારતની સ્વતંત્રતાના 70 વર્ષ. ગાંધીજી અને કસ્તૂરબાના જન્મનાં 150 વર્ષ, ઓસ્કર ઍવૉર્ડ્સ, ભારતના રાષ્ટ્રપતિ, હિંદ છોડો આંદોલનના 75 વર્ષ, પર્યાવરણ, સાયન્સ, હેરિટેજ, નોબેલ પ્રાઇઝ, કળા, સંગીત, સાહિત્ય જેવાં વિધવિધ વિષયોમાં સ્પેશિયલ એડિશન પર કાર્ય કર્યું છે. રાજકીય વ્યંગની સાપ્તાહિક કૉલમ ‘આપનાં તો અઢાર વાંકાં’ અને આંતરરાષ્ટ્રીય રાજકીય પ્રવાહો પર વર્લ્ડ વિન્ડો કોલમ પ્રસિદ્ધ થાય છે.

- Copyright © 2025 Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -