Posted by : Harsh Meswania Saturday 4 August 2012

ભારતમાં આઝાદી પહેલાં રાજકીય સંગઠનોનો અભાવ હતો. આવા સમયે રાજકીય સંગઠન સ્થાપીને લોકજાગૃતિનું મહત્ત્વનું કામ બંગાળી નેતા સુરેન્દ્રનાથ બેનરજીએ ઉપાડયું હતું. બે દિવસ પછી સુરેન્દ્રનાથ બેનરજીની પુણ્યતિથિ છે ત્યારે આપણે અહીં ૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ પછીના અને ગાંધીજીના ઉદય પહેલાંના સૌથી લોકપ્રિય નેતા સુરેન્દ્રનાથ બેનરજી વિશે થોડું જાણીએ.
* ૧૦ નવેમ્બર, ૧૮૪૮ના રોજ કોલકાતામાં જન્મેલા સુરેન્દ્રનાથ બેનરજી પર તેમના પિતા ડો. દુર્ગાચરણ બેનરજીના વિચારોની ઊંડી અસર હતી.
* તેઓએ ઇંગ્લેન્ડમાં જઈને ભારતીય સિવિલ સર્વિસની પરીક્ષા ૧૮૬૮માં પસાર કરી હતી. એ પહેલાં ભારતમાંથી એકમાત્ર સત્યેન્દ્રનાથ ટાગોર ૧૮૬૭માં આઈ.સી.એસ. બન્યા હતા.
* અનિયમિતતાનું કારણ આગળ ધરીને બ્રિટિશ સરકારે ૧૮૭૪માં તેમને બરતરફ કર્યા હતા. આ ઘટના પછી તેમણે અંગ્રેજ સરકાર ભારતીયો સામે ભેદભાવ રાખતી હોવાનું અનુભવ્યું હતું. પછી તેમણે અખિલ ભારતીય રાષ્ટ્રીય સંગઠનની સ્થાપના કરી હતી.
* ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના પછી તેમણે પોતાના સંગઠનને કોંગ્રેસમાં વિલિન કરી દીધું હતું. ત્યારે તેઓ કોંગ્રેસના મહત્ત્વના નેતા હતા. તેઓ બે વાર કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા હતા.
* અંગ્રેજ સરકારે અધિકારી તરીકે તેમને બરતરફ કર્યા પછી તેઓ મેટ્રોપોલિટન ઇન્ટિટયૂટમાં પ્રોફેસર બન્યા. તેમણે રિયન કોલેજની સ્થાપના પણ કરી હતી, જે હવે સુરેન્દ્રનાથ બેનરજી કોલેજ કહેવાય છે.
* બંગાળના વિભાજનનો તેમણે ખૂબ વિરોધ કર્યો હતો. પરિણામે ૧૯૧૧માં બંગાળનું વિભાજન રોકી દેવામાં આવ્યું હતું, જે સુરેન્દ્રનાથ બેનરજીની મોટી સિદ્ધિ માનવામાં આવે છે.
* બંગાળમાં જ્યારે કોઈ મોટા નેતાઓનો ઉદય થયો ન હતો ત્યારે સુરેન્દ્રનાથ બેનરજી 'બંગાળી બાદશાહ' તરીકે લોકોમાં લોકપ્રિય હતા.
* છેલ્લાં વર્ષોમાં ગાંધીજીનો પ્રભાવ વધવા લાગ્યો હતો અને ગાંધીજીએ અંગ્રેજ સરકાર સામે છેડેલી અસહકારની ચળવળને તેમણે ટેકો આપ્યો ન હોવાથી તેઓ રાજનીતિથી દૂર થઈ ગયા હતા.
* ૧૯૨૧માં અંગ્રેજ સરકારે સરની ઉપાધી આપી હતી. ૧૯૨૫ની ૬ઠ્ઠી ઓગસ્ટે બૈરખપુરમાં ૭૭ વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.
(સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Blog Archive

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -