- Back to Home »
- Science Talk »
- પર્વત સમુદ્રથી કેટલો ઊંચો છે તે કેમ નક્કી થાય?
Posted by :
Harsh Meswania
Saturday 18 August 2012
આપણે અવારનવાર સાંભળીએ છીએ કે પેલો પર્વત કે પેલું સ્થળ સમુદ્રની સપાટીથી આટલા મીટર ઊંચું છે. સમુદ્રથી પર્વત કેટલો ઊંચો છે કે પછી ઊંચે ઊડતું વિમાન કેટલું ઊંચે છે તે કેમ નક્કી થતું હશે તે પ્રશ્ન સ્વાભાવિક રીતે જ થયા વિના ન રહે. આ ઊંચાઈ માપવા માટેનું એક સાધન એટલે ઓલ્ટિમીટર. ઓલ્ટિમીટર પહેલાં થિઓડોલાઇટ નામનું સાધન ઊંચાઈ માપવા માટે વપરાતું હતું. જોકે, તેમાં વિમાનની ચોક્કસ ઊંચાઈ માપી શકાતી ન હતી. એના બદલે ઓલ્ટિમીટર વધુ સગવડતાભર્યું છે.
ઓલ્ટિમીટર એક રીતે જોતાં તો સીધું સાદું બેરોમીટર જ છે. ઊંચાઈમાં જેમ વધારો થાય તેમ વાતાવરણનું દબાણ ક્રમશઃ ઘટે છે, એ સિદ્ધાંત તેમાં લાગુ પડે છે. ઓલ્ટિમીટરમાં હવાનું દબાણ માપતી સીલબંધ કેપ્સ્યુલમાં શૂન્યાવકાશ હોવાના કારણે દબાણ વધારે હોય ત્યારે કેપ્સ્યુલનું પતરું સહેજ દબાતાં ડાયલના કાંટા ઓછી ઊંચાઈનો આંકડો બતાવે છે.
હવાનું દબાણ ઘટે એટલે આ પતરું સહેજ ઊંચું જાય છે અને ડાયલના કાંટા તે પ્રમાણે ખસે છે. આ રીતે ઓલ્ટિમીટરમાં હવાનું દબાણ મપાય છે અને એના આધારે પર્વત હવાની સપાટીના આધારે કેટલો ઊંચો છે તે નક્કી કરી શકાય છે. ઊડતા વિમાનની બાબતમાં પણ આ જ વાત લાગુ પડે છે. જોકે, વિમાનને સતત બદલાતા હવામાનનો સામનો કરવો પડે છે એટલે તેમાં એવી ખાસ સવલત આપવામાં આવે છે કે હવાનું દબાણ એકસરખું ન હોવા છતાં વિમાનમાં રહેલા મશીનને એ રીતે સેટ કરવામાં આવે, જેથી ઊંચાઈ માપી શકવામાં સરળતા રહે છે.
(સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)