Posted by : Harsh Meswania Wednesday 8 August 2012



મધ્યાંતર - હર્ષ મેસવાણિયા

એનઆરજી ઉત્પલ સાંડેસરા અને તેના અમેરિકન દોસ્ત ટોમ વૂટને હાર્વર્ડ યુનિર્વિસટની ફેલોશિપથી ૬ વર્ષ મહેનત કરી અસંખ્ય જીવ લેનાર મચ્છુ ડેમ હોનારત પર 'નો વન હેડ એ ટંગ ટુ સ્પીક' નામે એક પુસ્તક તૈયાર કર્યું છે. હોનારતની વરસી આવી રહી છે, ત્યારે એ બંનેના સંશોધન વિશે તેમની સાથે વાતચીત કરીએ..

સંશોધન માટે મોરબી હોનારત જ કેમ પસંદ કરી?
ઉત્પલઃ ૨૦૦૪માં આવેલા ત્સુનામીનાં દૃશ્યો ટીવી પર જોતી વખતે મારી મમ્મીની આંખના ખૂણા ભીના થઈ ગયા હતા, પૂછયું તો કહ્યું કે "મેં પણ મોરબીમાં પાણીનું આવું જ ભયાનક દૃશ્ય જોયું છે અને હું માંડ આમાંથી બચી શકી હતી." મારા નાના મોરબીની આર્ટ્સ કોલેજમાં પ્રોફેસર હતા એટલે ત્યાં રહેતા હતા અને રક્ષાબંધન આવતી હોવાથી મારાં મમ્મી તે દિવસે મોરબીમાં હતાં એટલે દુર્ઘટનાનાં તેઓ સાક્ષી બન્યાં હતાં. ત્યાર પછી તો મચ્છુ હોનારત વિશે ઘણી લોકવાયકાઓ સાંભળવા મળતી રહેતી. મને મોરબીની એ ઘટના વિશે જાણવાની ઉત્સુકતા રહેતી જે પછીથી મને સંશોધન કરવા તરફ દોરી ગઈ.

પરદેશી હોવા છતાં પણ આ સંશોધનમાં તમને કેમ રસ પડયો?
ટોમઃ અમે બંને સાથે અભ્યાસ કરતા હતા. ઉત્પલે મને મોરબી હોનારતની અને તેના પર સંશોધન કરવાની વાત કરી એટલે મેં તેમાં જોડાવાનું નક્કી કર્યું. હું આ પહેલાં હરીકેન કેટરીના હોનારત પછી પુનર્વસન પર કામ કરી ચૂક્યો હતો એટલે કુદરતિ આપત્તિના સંશોધનમાં મને વધુ રસ પડે છે.

હાર્વર્ડ યુનિ.એ તમારી પ્રપોઝલ કઈ રીતે મંજૂર કરી?
ટોમઃ વિશ્વમાં બનેલી કમનસીબ ઘટનાઓમાં મોરબી હોનારત પણ એક છે. વિશ્વમાં ભાગ્યે જ આવી કમનસીબ ઘટનાઓ બને છે જેમાં વર્ષો સુધી કેટલા લોકો મૃત્યુ પામ્યા છે એ તો જાણી શકાતું જ નથી પણ દુર્ઘટનાનું સાચું કારણ પણ મળતું નથી. આ જ વાત અમે હાર્વર્ડની પ્રપોઝલમાં લખી હતી. જેના કારણે હાર્વર્ડને રસ પડયો અને સંશોધન કરવા માટે અમને દસ હજાર ડોલર (આશરે પાંચ લાખ રૂપિયા)નું અનુદાન મળ્યું.

સંશોધનના પ્રારંભે કેવા અનુભવો થયા?
ઉત્પલઃ અમે જૂન ૨૦૦૬માં ગુજરાત આવ્યા. સરકારી દસ્તાવેજોમાં હતું કે સમયસર ડેમના દરવાજાઓ ન ખોલવાથી પાણીનો ભરાવો થયો હતો અને ડેમ તૂટયો એટલે તારાજી સર્જાઈ હતી. સરકારી અધિકારીઓને મળવાનું શરૂ કર્યું, અમુક અધિકારીઓએ કહ્યું કે આટલાં વર્ષે શું ઉપાડયું છે! હવે તો બધું પૂરું થઈ ગયું છે. સંશોધન જ કરવું હોય તો કચ્છના ભૂકંપ પર કરો, તમને તરત વિગતો મળી જશે! મોરબીમાં ગયા ત્યારે જાણ્યું કે એમાંના ઘણા મૃત્યુ પામ્યા છે અને જેને યાદ છે તે આ દુર્ઘટના ભૂલી જવા માંગે છે.

અને મોરબીનો અનુભવ...?
ટોમઃ પ્રારંભમાં ઓરડો ભાડે રાખવામાં થોડી મુશ્કેલી પડી હતી. મોરબીમાં સીધી કોઈ ઓળખાણ ન હોવાથી કોઈ જલદી ઓરડો ભાડે ન આપે તે સ્વાભાવિક છે. વળી, અમારો આ સંશોધન પાછળનો હેતુ પણ લોકોને વારેવારે સમજાવવો પડતો હતો. જોકે, પછીથી મોરબીના લોકોએ ખૂબ સહકાર આપ્યો હતો.

સરકારમાંથી પૂરતી વિગતો સરળતાથી મળી?
ઉત્પલઃ ના, સિંચાઈ વિભાગે પ્રથમ તો ડોક્યુમેન્ટસ બતાવવાની જ આનાકાની કરી. મુખ્યમંત્રીને મળ્યા પછી અમુક દસ્તાવેજો જોવા મળ્યા.

સંશોધન પહેલાં શું ધારીને ગુજરાતમાં આવ્યા હતા અને સંશોધન પછી કેવાં તારણો મળ્યાં?
ઉત્પલઃ સંશોધન પહેલાં વિચાર્યું હતું કે આવડી મોટી દુર્ઘટનાની વિગતો પુસ્તકોમાંથી અને સરકારી દસ્તાવેજોમાંથી મળી જશે, પણ અમારા આશ્ચર્ય વચ્ચે એક પણ પુસ્તક અમને ન મળ્યું. સંશોધન આગળ વધતું ગયું તેમ તેમ જાણવા મળ્યું કે કર્મચારીઓની બેદરકારી ઉપરાંત પણ બીજાં ઘણાં પરિબળો આ દુર્ઘટના પાછળ જવાબદાર હતાં.

કયાં પરિબળો...?
ટોમઃ કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે સંકલનનો અભાવ હોનારત પાછળનું મુખ્ય કારણ છે. સૌરાષ્ટ્ર સરકારે જૂની પદ્ધતિથી બંધની ડિઝાઈન તૈયાર કરી હતી. કેન્દ્ર સરકારે પછીથી જૂની પદ્ધતિને બદલે નવી પદ્ધતિથી બાંધકામ કરવાનુ સૂચવ્યું પણ કામ શરૂ થઈ ગયું હોવાથી રાજ્ય સરકારે એ સૂચનાની અવગણના કરી હતી. બંધમાં પાણીની મહત્તમ આવકની ગણતરીમાં પણ ખામી હતી. વળી, પાણીની સપાટી સતત વધી રહી હતી ત્યારે લોકોને ચેતવણી આપવામાં આવી ન હતી. સરકારના દસ્તાવેજોમાં મૃત્યુ આંક ૨,૨૦૦ બતાવવામાં આવ્યો છે પણ આ સંખ્યા દસ હજાર જેટલી હોવાની શક્યતા છે.

ઉત્પલઃ લીલાપર ગામ સિવાય એક પણ ગામને ચેતવણી આપવામાં આવી ન હતી. વળી સંપર્કનાં સાધનો પર્યાપ્ત હતાં નહી અને જે હતાં તે બંધ હાલતમાં હોવાથી ઉચ્ચ સ્તરે યોગ્ય જાણ કરી શકાઈ ન હતી. સરકારે લાપરવાહી રાખી હતી.

શું લાપરવાહી..?
ઉત્પલઃ કેશુભાઈ પટેલ ત્યારે કૃષિમંત્રી હતા અને સિંચાઈ વિભાગ તેનામાં આવતો હતો. તે દિવસે તેઓ
રાજકોટમાં હતા. વાંકાનેરમાં પાણી ભરાયું હોવાની વાત તેમણે સાંભળી એટલે તેઓએ વાંકાનેર જવાનું અધિકારીઓને કહ્યું. અધિકારીઓ તેઓને લઈને વાંકાનેર જવા નીકળ્યા પણ સનાળા પાસે પહોંચ્યા ત્યારે પાણી ખૂબ જ ભરાઈ ગયું હતું. વાહનો આગળ જઈ શકે તેમ ન હતાં. થોડી વાર રાહ જોયા પછી તેઓ આગળ ગયા ન હતા અને રાજકોટ પરત આવી ગયા. તેમણે મોરબીની સ્થિતિ અંગે ઉપરી અધિકારીઓને કોઈ જ પગલાં ભરવાની સૂચના રાત્રે ન આપી. સવારે તેઓ જાગ્યા ત્યારે ખૂબ જ મોડું થઈ ચૂક્યું હતું.

સંશોધન લોકોને કઈ રીતે ઉપયોગી થશે?
ટોમઃ એક સંતોષ છે કે આવી મોટી હોનારત પાછળ ચોક્કસ કામ થઈ શક્યું છે. અત્યાર સુધી આ દુર્ઘટનાને લગતી માહિતી માત્ર સરકારી કચેરીઓમાં છૂટક છૂટક હતી અને લોકોની વાતોમાં સચવાયેલી હતી જેને શબ્દોનું સ્વરૂપ આપી શકાયું છે. અમને બંનેને તો ઉપયોગી નિવડશે જ પણ અન્ય લોકોને પણ આ હોનારતની પૂરતી માહિતી આમાંથી મળશે એવી આશા છે.

દુર્ઘટના અમેરિકામાં થઈ હોત તો?
દુર્ઘટના અમેરિકામાં ઘટી હોત તો પણ રાહતકામ આપણે કરી શક્યા એવું તો ત્યાં પણ ન થઈ શક્યું હોત. ટોમે હરીકેન કેટરીના હોનારત પછી પુનર્વસન પર સંશોધન કર્યું હતું. જેમાં તેને જાણવા મળ્યું હતું કે રાહતકામો ગુજરાતમાં મોરબી હોનારત પછી થયાં એવાં નહોતાં થયાં. વળી, તત્કાલીન મુખ્યમંત્રી બાબુભાઈએ ખુદ મોરબી આવીને રાહતકામોની તપાસ કરી હતી એવી તપાસ હરીકેન કેટરીના હોનારત વખતે જ્યોર્જ બુશે પણ કરી ન હતી. જોકે, અમેરિકા અને ભારત આવી હોનારતની બાબતમાં ક્યાં અલગ પડે છે એમ જ્યારે ટોમને પૂછયું ત્યારે તેણે કહ્યું હતું કે અહીં જેમ હોનારત પહેલાં બેદરકારી રાખવામાં આવી એવી બેદરકારી ત્યાં રાખવામાં આવી ન હોત. વળી, જે તે વખતે યોગ્ય તપાસ કરીને જવાબદારો સામે ત્વરિત પગલાં પણ લેવાયાં હોત.

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Blog Archive

Total Pageviews

By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
Journalist at Gujarat Samachar

- Copyright © Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -