Posted by : Harsh Meswania Saturday, 18 August 2012

મધ્યપ્રદેશના હોશંગાબાદ જિલ્લામાં સાતપૂડાની પર્વતમાળામાં આવેલા હિલસ્ટેશન પંચમઢીની ખાસિયત એ છે કે તે ભારતભરમાં તેના પ્રાકૃતિક સૌંદર્ય માટે તો ઓળખાય જ છે, પણ તેનું ઐતિહાસિક મહત્ત્વ પણ એટલું જ છે. પાંચ પાંડવો આ સ્થળે રહ્યા હોવાની માન્યતા હોવાથી લોકો ધાર્મિક આસ્થા સાથે આ સુંદર સ્થળની મુલાકાત લેવા આવે છે.

* સાતપૂડાની પર્વતમાળામાં સ્થિત આ સ્થળનું લાડકું નામ 'સાતપૂડાની રાણી' રાખવામાં આવ્યું છે. પંચમઢી સમુદ્રની સપાટીથી ૧૦૭૦ મીટરની ઊંચાઈ પર આવેલું સ્થળ છે.

* યુનિસેફે પંચમઢીના જંગલ પ્રદેશને ૨૦૦૯માં જીવરક્ષા આરક્ષણ વિસ્તાર જાહેર કર્યો છે. પંચમઢી સાતપૂડા રાષ્ટ્રીય પાર્કનો ભાગ હોવાના કારણે પણ પ્રવાસીઓને આકર્ષે છે.

* એક ધાર્મિક માન્યતા અનુસાર પંચમઢીનું નામ પાંચ પાંડવોની પાંચ ગુફાઓ પરથી પડયું છે. એમ મનાય છે કે પાંચ પાંડવોએ અજ્ઞાતવાસનો ઘણો સમય અહીં વિતાવ્યો હતો. હવે અહીંની પાંડવ ગુફાઓને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરીને વિશેષ રક્ષણ આપવામાં આવે છે.

* પંચમઢીમાં આવેલું મહાદેવનું મંદિર એક ગુફામાં આવેલું છે અને આ ગુફા ૩૦ મીટર લાંબી છે. અહીં સુંદર ચિત્રો ધ્યાનાકર્ષક છે. આ ગુફાનું તાપમાન કાળઝાળ ગરમીમાં પણ ક્યારેય ૨૦ ડિગ્રીથી ઉપર જતું નથી.

* અંગ્રેજ શાસન દરમિયાન ૧૮૬૨માં કેપ્ટન જેમ્સ ર્ફોસિથે પ્રિયદર્શન પોઇન્ટ પરથી સૂર્યાસ્ત નિહાળ્યો અને ત્યાર બાદ પંચમઢીથી પ્રભાવિત થયો હતો. ૧૮૭૦ આસપાસ અંગ્રેજોએ આ સ્થળનો વિકાસ એક હિલસ્ટેશન તરીકે કર્યો હતો.

* પંચમઢીમાં આવેલું પ્રિયદર્શન ત્રણ શિખરમાળાની વચ્ચે આવેલું નયનરમ્ય સ્થળ છે, અહીંથી સૂર્યાસ્તનાં દર્શન રમણીય હોય છે. પંચમઢીની મુલાકાત વખતે મોટાભાગના પ્રવાસીઓ અહીંના સૂર્યાસ્તનાં દર્શનનો લહાવો લે છે.

* ભોપાલથી પંચમઢી ૨૧૧ કિલોમીટરના અંતરે આવ્યું છે. સોહાગપુરના રેલવે સ્ટેશનથી પંચમઢી માત્ર ૧૭ કિલોમીટરની દૂરી પર આવેલું છે.

* પંચમઢીની મુલાકાત લેવા માટેનો શ્રેષ્ઠ સમયગાળો જૂન-જુલાઈ મનાય છે. જોકે, ચોમાસામાં અહીંની હરિયાળી જોવા માટે પણ સહેલાણીઓ આવે છે.  
(સંદેશની પૂર્તિમાં પ્રકાશિત)

Leave a Reply

Subscribe to Posts | Subscribe to Comments

Harsh Meswania

Harsh Meswania

Popular Post

Blog Archive

Total Pageviews

47,176
By Harsh Meswania & Designed By Smith Solace. Powered by Blogger.

About Harsh

My Photo
હર્ષ મેસવાણિયા લેખક-પત્રકાર (એમ.ફિલ - પત્રકારત્વ-માસ કોમ્યુનિકેશન) 15 વર્ષથી લેખન-પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત. ગુજરાતી અખબાર-સામયિકોમાં 1200 જેટલાં માહિતીપ્રદ, અભ્યાસપૂર્ણ લેખો પ્રસિદ્ધ થયા છે. 2020માં પ્રસિદ્ધ થયેલાં ‘ગ્રેટ ઇન્ડિયન સર્કસ’ પુસ્તકને હાસ્ય-વ્યંગની કેટેગરીમાં ‘ગુજરાત સાહિત્ય અકાદમી’નો પ્રતિષ્ઠિત દ્વિતીય પુરસ્કાર મળ્યો હતો. ‘સુપર વુમન’ પુસ્તક 2024માં વિશ્વ મહિલા દિવસે પ્રસિદ્ધ થયું હતું. ‘ભોંયરાના ભોમિયા’ કિશોર-સાહસ કથા પ્રસિદ્ધ થઈ ચૂકી છે. ગુજરાત સમાચારની ‘સાઇન ઇન’ કૉલમને 2020માં શ્રેષ્ઠ ગુજરાતી કૉલમની કેટેગરીમાં ‘લાડલી મીડિયા ઍવૉર્ડ’ મળ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ શ્રેષ્ઠ કોલમનો એવોર્ડ આપ્યો હતો. ‘ગુજરાત સમાચાર’માં પૂર્તિસંપાદક તરીકે ગુજરાતી નવલકથાના 150 વર્ષ, શેક્સપિયરની 400મી પુણ્યતિથિ, પ્રથમ વિશ્વયુદ્ધનાં 100 વર્ષ, મધર્સ ડેની ઉજવણીના 100 વર્ષ, ભારતની સ્વતંત્રતાના 70 વર્ષ. ગાંધીજી અને કસ્તૂરબાના જન્મનાં 150 વર્ષ, ઓસ્કર ઍવૉર્ડ્સ, ભારતના રાષ્ટ્રપતિ, હિંદ છોડો આંદોલનના 75 વર્ષ, પર્યાવરણ, સાયન્સ, હેરિટેજ, નોબેલ પ્રાઇઝ, કળા, સંગીત, સાહિત્ય જેવાં વિધવિધ વિષયોમાં સ્પેશિયલ એડિશન પર કાર્ય કર્યું છે. રાજકીય વ્યંગની સાપ્તાહિક કૉલમ ‘આપનાં તો અઢાર વાંકાં’ અને આંતરરાષ્ટ્રીય રાજકીય પ્રવાહો પર વર્લ્ડ વિન્ડો કોલમ પ્રસિદ્ધ થાય છે.

- Copyright © 2025 Harsh Meswania - Metrominimalist - Powered by Blogger - Designed by Johanes Djogan -